ગાંધીનગર મનપાની ચૂંટણીના શ્રી ગણેશ નથી થયા તે પહેલા જ ભાજપમાં ભડકો, 2 નેતાઓના રાજીનામા પડતા ખળભળાટ

ગાંધીનગર મહાનગર પાલિકાની ચૂંટણી એટલા માટે રસપ્રદ બની રહી છે કારણ કે આ ગૃહમંત્રી અમિતશાહનો સંસદીય વિસ્તાર ગણવામાં આવે છે. ગાંધીનગર મહાનગર પાલિકા પર કેસરીયો…

ગાંધીનગર મહાનગર પાલિકાની ચૂંટણી એટલા માટે રસપ્રદ બની રહી છે કારણ કે આ ગૃહમંત્રી અમિતશાહનો સંસદીય વિસ્તાર ગણવામાં આવે છે. ગાંધીનગર મહાનગર પાલિકા પર કેસરીયો લહેરાવવા ભાજપ તડામાર તૈયારીઓ કરી રહ્યું છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટીની એન્ટ્રીથી રાજકારણમાં ભારે ગરમાવો આવ્યો છે. સુરતમાં આમ આદમી પાર્ટીના જોરદાર પ્રદર્શન બાદ હવે વિધાનસભા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટી પણ ગાંધીનગરને ઝાડુથી સાફ કરવાની તૈયારી કરી રહી છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીને ચૂંટણી પહેલા જ મોટો ફટકો લાગ્યો છે. ભારતીય જનતા પાર્ટીના નેતા વિજયસિંહ વાઘેલા, ગિરીશસિંહ વાઘેલાએ રાજીનામું ધરબી દેતા ભાજપમાં હડકંપ મચી જવા પામ્યો છે.

ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી ટાણે ભાજપમાં મસમોટું ગાબડું પડ્યું છે. પેથાપુર પૂર્વ સરપંચના પુત્ર વિજયસિંહ વાઘેલા ઘણા સમયથી ગાંધીનગર જિલ્લામાં ભાજપના સક્રિય કાર્યકર્તા તરીકે ફરજ બજાવતા હતા. તો બીજી તરફ રાજીનામું આપનાર ગિરીશસિંહ વાઘેલા ભારતીય જનતા પાર્ટીના કિસાન મોરચાના મંત્રી હતા. જે પણ ઘણા સમયથી ભારતીય જનતા પાર્ટી માટે તનતોડ મહેનત કરી રહ્યા હતા. અચાનક ચૂંટણી પહેલા રાજીનામું આપી દેતા રાજકારણમાં ભારે ગરમાવો આવ્યો છે. બીજી તરફ એ પણ વાત વહેતી થઈ છે કે, બંને આમ આદમી પાર્ટીના સંપર્કમાં છે. આમ વર્ષોથી ભાજપમાં દિવસ રાત એક કરીને કામ કરી રહેલા કાર્યકરની વિકેટો પડતાં ગાંઘીનગર મહાનગર પાલિકામાં ભાજપ માટે બેટિંગ કરવી આગામી સમયમા મુશ્કેલ બની શકે છે

સમગ્ર ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીની જવાબદારી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને સોંપવામાં આવી છે, તેમજ જ્યાં સુધી ચૂંટણી પૂરી ન થાય ત્યાં સુધી મંત્રીઓને ગાંધીનગરમાં જ રહેવાનો આદેશ ભૂપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા આપવામાં આવ્યા છે. ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી એટલા માટે પણ રસસ્પદ બની રહેશે કેમકે આ વખતે ચૂંટણી આમ આદમી પાર્ટી પણ ઝંપલાવી ચુકી છે. તો બીજી તરફ ગાંધીનગર મતવિસ્તાર અમિત શાહનો મતવિસ્તાર હોવાથી ભારતીય જનતા પાર્ટીની ચૂંટણી જીતવા જોર લગાવી દેશે. અત્રે ઉલ્લેખનીય છે કે, 3 ઓક્ટોબરે મહાનગરપાલિકાની ચૂંટણી માટે મતદાન થનાર છે. તેમજ 5 ઓક્ટોબરના દિવસે ચુંટણીનું પરીણામ જાહેર કરવામાં આવશે.

અત્રે ઉલ્લેખનિય છે કે, ચૂંટણીઓ નજીક આવતા જ રાજીનામાં પડતા ગુજરાતના રાજકારણમાં ભારે ગરમાવો આવ્યો છે. અમિત શાહના સંસદીય વિસ્તારમાં આ પ્રકારના રાજીનામાં આપવા એટલે રાજકારણમાં ભારે ઉથલ પાથલ સર્જાઈ શકે છે. આમ પણ આમ આદમી પાર્ટી ગાંધીનગરમાં સક્રિય થઇ છે. ત્યારે જોવું રહ્યું છે આગામી સમયમાં યોજાનારી ચુંટણીમાં કઈ પાર્ટીનું પલડું ભારે હશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *