સાસરિયાઓ માંગતા હતા દીકરો, પરંતુ થયો બે દીકરીનો જન્મ- 8 વર્ષની હેરાનગતિથી કંટાળી મહિલાએ કરી લીધો આપઘાત

Published on Trishul News at 11:46 AM, Sun, 7 August 2022

Last modified on August 7th, 2022 at 11:46 AM

ભારતીય મૂળની મહિલા મનદીપ કૌરે અમેરિકા (America)ના ન્યૂયોર્ક (New York)માં આપઘાત કરી લીધો છે. હવે અમેરિકામાં આપઘાત કરનાર મનદીપ કૌરના મામલામાં એક ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. મનદીપ કૌરના પરિવારજનોએ તેના પતિ અને સાસરિયાઓ પર તેને હેરાન કરવાનો આરોપ લગાવ્યો છે.

મનદીપ કૌરની બહેન કુલદીપ કૌરે આરોપ લગાવ્યો છે કે તેનો પતિ અને પરિવાર તેની પાસેથી પુત્રની ઇચ્છા રાખતા હતા. આ સિવાય સાસરિયાઓ દહેજમાં 50 લાખ રૂપિયાની માંગ કરી રહ્યા હતા અને આ માટે મનદીપ કૌર પર મારપીટ કરવામાં આવી રહી હતી. જેના કારણે મારી બહેનને આપઘાત કરવાનો વારો આવ્યો હતો. વધુમાં તેણે જણાવ્યું કે, તેના લગ્ન પછી તરત જ મનદીપને હેરાન કરવામાં આવી રહી હતી.

મળતી માહિતી અનુસાર, મનદીપના લગ્ન ફેબ્રુઆરી 2015માં થયા હતા. લગ્ન પછી જ સાસરિયાં અને મનદીપ ન્યુયોર્ક, યુએસએ રહેવા ગયા અને તેણે તેણીને હેરાન કરવાનું શરૂ કર્યું હતું. જાણવા મળ્યું છે કે, મનદીપ કૌરને બે દીકરીઓ છે. સાસરિયાંને દીકરો જોઈતો હતો પણ બે દીકરીઓ હતી. દહેજના 50 લાખ રૂપિયા ન મળતા અને બે પુત્રીઓ હોવા છતાં મનદીપને તેના પતિ અને પતિના પરિવારના સભ્યો દ્વારા વધુ ત્રાસ આપવામાં આવતો હતો.

આપઘાત પહેલા મનદીપે વીડિયોમાં દર્દ વ્યક્ત કર્યું હતું:
મનદીપ કૌરે ફાંસી લગાવીને આપઘાત કરતા પહેલા એક વીડિયો જાહેર કરીને પોતાનું દર્દ વ્યક્ત કર્યું હતું. વીડિયોમાં મનદીપે કહ્યું, “તેઓએ મને મરવા માટે મજબૂર કરી છે”. આપઘાત પહેલા કથિત રીતે રેકોર્ડ કરાયેલા આ વીડિયોમાં મનદીપે કહ્યું કે, મારા મૃત્યુ માટે મારા પતિ અને મારા સાસરિયા જવાબદાર છે. તેણે મને જીવવા ન દીધી. છેલ્લા 8 વર્ષથી તે મને માર મારી રહ્યા છે.

8 વર્ષથી બધું જ સહન કરી રહ્યું છે, છતાં કંઈ બદલાયું નથી:
વધુમાં મનદીપ કૌર વીડિયોમાં કહેતી જોવા મળે છે કે, છેલ્લા 8 વર્ષથી મેં મારા પતિનો ત્રાસ સહન કર્યો એ વિચારીને કે તે એક દિવસ સુધરી જશે પણ એવું થયું નહીં. તેણે છેલ્લા 8 વર્ષથી મારી સાથે મારપીટ કરી હતી. મેં બધો પ્રયત્ન કર્યો. દરરોજ મારી સાથે દુર્વ્યવહાર થાય છે. હું હવે ત્રાસ સહન કરી શકતી નથી. મનદીપે વીડિયોમાં કહ્યું કે, મેં તેને અવગણ્યું અને અહીં ન્યૂયોર્ક આવી ગયા. પરંતુ અહીં પણ તેણે મને મારવાનું શરૂ કર્યું, પછી ભલે તે નશામાં હોય કે નહીં. તેણે પોતાનું અફેર પણ ચાલુ રાખ્યું હતું.

મનદીપ કૌરના પિતાએ કેસ દાખલ કર્યો:
મનદીપ કૌરના પિતા જસપાલ સિંહે FIR દાખલ કરી છે, જેમાં મનદીપ કૌરના પતિ રણજોતવીર સિંહ સંધુ, રણજોતવીરના પિતા મુખ્તાર સિંહ, માતા કુલદીપ રાજ કૌર અને ભાઈ જસવીર સિંહ પર આપઘાત માટે ઉશ્કેરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. રણજોતવીર પર અન્ય મહિલા સાથે અફેર હોવાનો પણ આરોપ છે. પોલીસ દ્વારા આ અંગે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

ભારતીય એમ્બેસીએ તમામ મદદની ખાતરી આપી છે:
ન્યૂયોર્ક પોલીસ મનદીપ કૌરના આપઘાત કેસની તપાસ કરી રહી છે. મનદીપ કૌરનો પરિવાર મૃતદેહને ભારત લાવવાનો પ્રયાસ કરી રહ્યો છે. ન્યૂયોર્કમાં ભારતીય દૂતાવાસના અધિકારીઓએ મનદીપ કૌરના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. ભારતીય દૂતાવાસના અધિકારીઓએ કહ્યું છે કે, તેઓ આ ઘટના અંગે અમેરિકી અધિકારીઓના સંપર્કમાં છે અને પરિવારના સભ્યોને તમામ મદદ પૂરી પાડવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Be the first to comment on "સાસરિયાઓ માંગતા હતા દીકરો, પરંતુ થયો બે દીકરીનો જન્મ- 8 વર્ષની હેરાનગતિથી કંટાળી મહિલાએ કરી લીધો આપઘાત"

Leave a comment

Your email address will not be published.


*