કોરોનાની રસી સામાન્ય ભારતીય નાગરિકને ક્યારે કેટલી કિંમતે મળશે? થયો મોટો ખુલાસો- જાણો જલ્દી

કોરોનાની મહામારીને બરાબર એક વર્ષ પૂરું થયું છે ત્યારે સમગ્ર વિશ્વમાં આજદિન તક 5.5 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે. 1.35 લાખથી વધુના મૃત્યુ થયા…

કોરોનાની મહામારીને બરાબર એક વર્ષ પૂરું થયું છે ત્યારે સમગ્ર વિશ્વમાં આજદિન તક 5.5 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે. 1.35 લાખથી વધુના મૃત્યુ થયા છે. ભારત સહિત યુકે, યુરોપ અને અમેરિકામાં ફરી એકવાર કેસોની સંખ્યામાં શિયાળાને કારણે ભારે ઉછાળો આવી રહ્યો છે, ત્યારે ગુડ ન્યૂઝ એ છે કે અમેરિકાની મોર્ડના અને ફાઇઝર ફાર્માસ્યુટિકલ્સ કંપનીએ વિકસાવેલી વેક્સિન(રસી) ક્લિનિકલ ટ્રાયલમાં અનુક્રમે 94 અને 95 ટકા સફળ થઇ હોવાના દાવા રજૂ થયા છે.

ઓક્સફર્ડ યુનિવર્સિટીએ એસ્ટ્રાવેનેકા નામની ફાર્માસ્યુટિકલ કંપની સાથે વિકસાવેલી રસી પણ ફાઇનલ સ્ટેજમાં છે તો જ્હોન્સન એન્ડ જ્હોન્સન ઉપરાંત ભારતની બે કંપનીઓ સહિત લગભગ એક ડઝન જેટલી ફાર્માસ્યુટિકલ્સ કંપની ફાઇનલ સ્ટેજમાં 90થી 95 ટકા સફળતાના દાવા સાથે જે તે દેશ દ્વારા અપ્રુવલની રાહ જોઇ રહી છે. દા.ત. અમેરિકાની ફાઇઝર અને મોર્ડના ફાર્માસ્યુટિકલ્સ કંપનીએ ફૂડ એન્ડ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશન સામે અંતિમ મંજૂરી માટેની અરજી કરી દીધી છે અને જે અંગે 10મી ડિસેમ્બરે યોજાનારી રિવ્યુ મીટિંગમાં નિર્ણય આવે તેવી શક્યતા છે.

અમેરિકાની આ બે ફાર્માસ્યુટિકલ્સ કંપનીની રસી ડિસેમ્બરના બીજા સપ્તાહ સુધીમાં, જ્યારે ઓક્સફર્ડ યુનિવર્સિટીની વેક્સિન ફેબ્રુઆરીના અંત સુધીમાં માર્કેટમાં આવે તેવી શક્યતા છે. આ અગાઉ રશિયા દ્વારા પ્રમાણિત કરાયેલી સ્પુતનિક વેક્સિનનું માર્કેટિંગ આક્રમક ઢબે ભારત અને આફ્રિકન દેશોમાં રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન દ્વારા થઈ રહ્યું છે, પરંતુ તબીબી આલમમાં હજુ આ રસીનાં અંતિમ પરિણામો અને અપ્રુવલની રાહ જોવાઈ રહી છે. ત્યારે આવનારા ત્રણ-ચાર મહિનામાં કોરોનાની રસી ઉપલબ્ધ થશે એ વાત નિશ્ચિત બની છે, પરંતુ યક્ષ પ્રશ્ન એ છે કે સામાન્ય ભારતીય નાગરિકને આ રસી ક્યારે ઉપલબ્ધ થશે? આ પ્રશ્નનું તાત્પર્ય એ છે કે દેશની 135 કરોડ જનતાને મફત કે સરકારી રાહત દરે કે પોતાના અંગત ખર્ચે રસી ક્યારે પ્રાપ્ત થશે?

રશિયાના સેક્રેટરી જનરલ એન્ટોનિયો ગુટ્રેસ આ બાબતે ચિંતિત છે. જી-20 રાષ્ટ્રસમૂહના વડાઓને ઉદ્દેશીને શ્રીમાન એન્ટોનિયોએ વિનંતી કરી છે કે કોરોનાની રસી આપવામાં અમીર કે ગરીબ દેશોના નાગરિક વચ્ચે ઊંચ અને નીચનો ભેદભાવ નહીં રહે તે જોવાની અમીર દેશોની જવાબદારી છે. અત્યાર સુધી ઉપલબ્ધ માહિતી અને ડેટા અનુસાર અમેરિકન વેક્સિન્સને ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં મંજૂરી મળે તો ડિસેમ્બરમાં 5 કરોડ અને આવતા વર્ષે 1.3 અબજ વેક્સિનના ડોઝ આ બે કંપનીઓ તૈયાર કરી શકે તેમ છે, પરંતુ વૈશ્વિક જરૂરિયાત કમસે કમ દસ ગણી છે. દા.ત. ફાઇઝર કંપની દ્વારા વિકસાવવામાં આવેલી વેક્સિનના બે ડોઝ આપવા પડે તેમ છે અને એક ડોઝની કિંમત 20 ડોલર એટલે કે 1500 રૂપિયા છે અને બે ડોઝનાં ઇન્જેક્શન 21 દિવસના અંતરે આપવાનાં રહેશે. ફાઇઝરની આ રસી માઇનસ 70થી માઇનસ 80 ડિગ્રી તાપમાનમાં જાળવીને રાખવી પડશે અને તેની સેલ્ફ લાઈફ મહત્તમ 48 કલાક હોવાનું મનાય છે.

ભારત જેવા દેશમાં આ પ્રકારની વેક્સિન લાવવાનું અને જાળવવાનું કામ અત્યંત કપરું મનાય છે. બીજી બાજુ મોર્ડના વેક્સિનની વાત કરીએ તો તેનો એક ડોઝ 35 ડોલરનો છે. ટૂંકમાં સામાન્ય ભારતીય નાગરિકને આ રસી પોસાય તેમ નથી. અલબત્ત, મોર્ડનાની રસીને માઇનસ 20 ડિગ્રી ટેમ્પરેચરમાં રાખવાની હોય છે, જે ભારત માટે શક્ય છે, કારણ કે ફ્રીઝરના ટેમ્પરેચરમાં આ રસી જાળવી શકાય, પરંતુ આર્થિક દૃષ્ટિએ સામાન્ય માનવીને આ રસી પરવડે તેમ નથી. ફાઇઝરનો ડોઝ 30 માઈક્રોગ્રામનો છે. જ્યારે મોર્ડના 100 માઈક્રોગ્રામ છે અને પરિણામે પ્રોડક્શન કોસ્ટમાં તફાવત સમજી શકાય છે, પરંતુ આ બંને વેક્સિનનું વેચાણ એડવાન્સમાં અમેરિકા અને યુરોપના માર્કેટમાં થઈ ચૂક્યું છે.

એક રીપોર્ટ અનુસાર 6.4 અબજ ડોઝનું એડવાન્સ બુકિંગ થઈ ચૂક્યું છે જ્યારે 3.2 અબજ ડોઝ માટે યુકે, યુરોપ, બ્રાઝિલ, જાપાન, ભારત સહિતના દેશો વચ્ચે ભાવ અંગે વાટાઘાટો ચાલી રહી છે. અમેરિકાની મોર્ડના લેબોરેટરીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે તેઓ પોતાના નફામાં બાંધછોડ કરવા માગતા નથી અને પરિણામે ભાવ-ઘટાડાનો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થતો જ નથી. ટૂંકમાં 37 ડોલર લેખે બે ડોઝ અંદાજે 75 ડોલર એટલે કે 5,625 રૂપિયા થાય. એક પરિવારના છ સદસ્ય માટે કમ સે કમ 35 હજારનો ચાંલ્લો ચોંટે. ટૂંકમાં વાતનો સાર એ કે અમેરિકાની મોર્ડના અને ફાઈઝર જેવી વેક્સિન ભારતના સામાન્ય પરિવારને પરવડે તેમ નથી.

WHO વિશ્વ આરોગ્ય સંસ્થા અને સંયુક્ત રાષ્ટ્રસંઘ બંને દ્વારા એવા પ્રયત્નો ચાલી રહ્યા છે કે, વિશ્વના ગરીબ, અલ્પવિકસીત, વિકાસશીલ અને વિકસીત દેશોને આ વેક્સિનનો લાભ એક સાથે મળે. અલબત્ત, આ ઉદ્દાત ભાવના સાકાર થતી હોય એમ દેખાતું નથી. મોર્ડના અને ફાઈઝરના સૌથી વધુ લેવાલ અમેરિકા અને યુરોપના દેશોમાં મોજુદ છે. આ બંને કંપનીની વેક્સિન કોરોનાનું જેનેટિક કોડ ઉપલબ્ધ થયાના 248 દિવસના વિક્રમ સમયમાં શક્ય બન્યું છે એ બાબત ફાર્માસ્યુટિકલ્સ કંપનીના રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ક્ષેત્રે મોટી સિદ્ધિ ગણાય છે. સાથોસાથ આ બંને વેક્સિન 12થી 15 વર્ષના બાળકો તથા 56થી 85 વર્ષના સિનિયર સિટીઝનની કેટેગરીમાં સુરક્ષિત સિદ્ધ થઈ છે, અને અસરકારકતા 95 ટકા જેટલી છે. અમેરિકામાં વેક્સિન સંશોધનમાં ડેટાની દૃષ્ટિએ સંપૂર્ણ પારદર્શકતા જળવાય છે અને વિજ્ઞાનીઓ વચ્ચે ડેટા શેરિંગથી માંડીને બૌદ્ધિક સંવાદને પણ અવકાશ રહે છે.

મહદ્અંશે આ જ વસ્તુ ઓક્સફર્ડ યુનિવર્સિટીના સંશોધનમાં જોવા મળે છે જ્યારે ચીન અને રશિયાની વેક્સિનમાં પોતાનો ડેટા પ્રગટ કરવાનું ટાળતી હોવાના આક્ષેપો થાય છે. ટૂંકમાં વેક્સિન લેનાર ગ્રાહક જવાબદાર કંપનીની રસી લેવાનો જ આગ્રહી હોય છે અને એ જ વાત ખરીદી કરતા દેશને લાગુ પડે છે. ટૂંકમાં કોઈપણ રસી સલામત, અસરકારક અને મોટાભાગના દેશો દ્વારા સ્વીકૃત હોય એ પાયાની શરત છે. આ પરિપ્રેક્ષ્યમાં ભારતને પ્રથમ તબક્કામાં અમેરિકી વેક્સિનના પુરતા ડોઝ મળે તેવી શક્યતા નહિવત છે. ભારતનો વેક્સિન માટેનો મોટાભાગનો આધાર સીરમ ઈન્સ્ટિટ્યૂટ અને ભારત બાયોટેક ઉપર રહેશે. ચીને ઈન્ડોનેશિયા સાથે વેક્સિનના ઉત્પાદનમાં પાર્ટનરશીપ કર્યું છે. ફાઈઝર પાસે જર્મનીમાં એનબાયોટેક નામનો પાર્ટનર ઉપલબ્ધ છે જ્યારે ઓક્સફર્ડ યુનિવર્સિટી સાથે તાલમેલ ધરાવતી ફાર્માસ્યુટિકલ કંપની એસ્ટ્રાજેનેકાએ બ્રાઝિલ સાથે પાર્ટનરશીપ કરી છે.

આ સંદર્ભમાં જોવા જઈએ તો ભારતમાં ઓક્સફર્ડ કોવિડ-19 વેક્સિનના ઉત્પાદનનો કોન્ટ્રાક્ટ સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાને પ્રાપ્ત થયો છે અને જો બ્રિટિશ સરકાર આ રસીને મંજૂરી આપે એ સમયગાળામાં ભારતમાં પણ તેને મંજૂરી મળશે એવી શક્યતા ફેબ્રુઆરી-2021માં દેખાઈ રહી છે. આ રસી ભારતીય નાગરિકને 1,000 રૂપિયામાં (બે ડોઝ) મળે એવી શક્યતા ઉજાગર થઈ છે, ત્યારે સીરમ ઈન્સ્ટિટ્યૂટના સીઈઓ અદર પુનાવાલાએ કહ્યું છે કે, ભારતમાં આરોગ્ય સાથે સંકળાયેલાં તબીબો, હેલ્થ વર્કર્સ અને સિનિયર સિટીઝન્સને આ વેક્સિન આપવામાં અગ્રીમતા રહેશે. જ્યારે 2024 સુધીમાં દેશના પ્રત્યેક નાગરિકને બેશક કોરોનાની રસી પ્રાપ્ત થશે.

ઓક્સફર્ડની રસી મોટાભાગના ગરીબ દેશોને પ્રાપ્ત થાય એવી સંભાવના છે. કારણ કે, તેઓ આ પ્રોજેક્ટમાંથી કોઈ પ્રોફિટ લેવા માગતા નથી. ટૂંકમાં નો-પ્રોફિટના ધોરણે ભારતમાં આ રસી સૌથી સસ્તી અત્યારના સંજોગોમાં દેખાઈ રહી છે. છતાં વ્યક્તિદીઠ 1,000 રૂપિયા રસીના ચૂકવવાના આવે તો 135 કરોડ લોકોને રસી મૂકવાનો ખર્ચો 135 હજાર કરોડ થાય. તદ્ઉપરાંત ડિસ્ટ્રીબ્યુશન, સ્ટોરેજ, ટ્રેનિંગ અને અન્ય ખર્ચા મુકીએ તો સહુને મફતમાં આ રસી આપવાનું કામ આર્થિક દૃષ્ટિએ દેશની હાલની પરિસ્થિતિ જોતાં કપરું લાગે છે. અમેરિકા અને બ્રિટન સહિત યુરોપના મોટાભાગના દેશોએ પોતાના નાગરિકોને આ રસી મફતમાં આપવાની જાહેરાત કરી છે. બિહારમાં ચૂંટણી ટાણે ભાજપે તમામ મતદારોને મફતમાં રસી આપવાનું વચન આપ્યું હતું, અને એ મુદ્દે ખાસ્સો રાજકીય વિવાદ પણ થયો હતો. કોરોનાની મહામારી વખતે રાજ્ય સરકાર અને મહાનગરપાલિકાઓએ નાગરિકોને ટેસ્ટિંગથી માંડીને હોસ્પિટલોમાં મફત સારવાર આપી છે એ હકીકત છે. એ જોતાં જો સહુને વેક્સિન આપવાનો ખર્ચ સરકાર ઉઠાવે તો ભારત સરકારને આવનારા બજેટમાં બે છેડા ભેગા કરવાનું કામ ખાસ્સું મુશ્કેલ પડશે. અલબત્ત, એ એક આડ વાત છે.

મુખ્ય મુદ્દો એ છે કે, આ વેક્સિન ઉપલબ્ધ નહીં થાય ત્યાં સુધીના સમયગાળામાં કોરોનાના કેસમાં આવતા ઉછાળાને શી રીતે નિયંત્રણમાં રાખી શકાય. દિલ્હી અને અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ છેલ્લા એક સપ્તાહમાં જે રીતે વધ્યું છે એ પેટર્નને જોતાં ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનામાં ભારતમાં કોરોનાની નવી પીક આવશે એમ તજજ્ઞો માને છે. બ્રિટન, અમેરિકા અને સ્પેનમાં આ જ પેટર્ન અનુસાર કેસોની સંખ્યા ખાસ્સી વધી રહી છે. એ દૃષ્ટિએ રસી નહીં આવે ત્યાં સુધી ભારત માટે હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને સુદૃઢ કરવાનું કામ સૌથી વધુ પડકારજનક છે.

એકતરફ ભારતની ફાર્માસ્યુટિકલ્સ કંપની કોરોનાના પડકારને ઝીલવા માટે આઉટસોર્સિંગના કોન્ટ્રાક્ટ મેળવીને 50 ટકા વેક્સિન ભારતીય માર્કેટમાં સસ્તા ભાવે સુલભ કરવાની શરતે વાટાઘાટો કરી રહી છે. ભારત સરકાર પણ ફાઈઝર, જ્હોન્સન એન્ડ જ્હોન્સન, રશિયાની સ્પુતનિક સહિતની કંપનીઓ સાથે એડવાન્સ સ્ટેજ પર વાટાઘાટોમાં વ્યસ્ત છે ત્યારે સમયનો તકાદો એ છે કે, વેક્સિન સૌને ન મળે ત્યાં સુધી હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાચવવાની સાથે કોરોનાના સંક્રમણને કાબુમાં શી રીતે રાખી શકાય?

એકતરફ કોરોનાની મહામારીનો પડકાર છે તો બીજીતરફ કોરોનાને પગલે સર્જાયેલો મહામંદીનો માહોલ. માત્ર સરકાર બધી જ સમસ્યાઓનું નિરાકરણ લાવશે એમ માનીને બેસી રહીએ તો આપણો નાગરિક ધર્મ નહીં લાજે! ભારતીય નાગરિક તરીકે આપણા સૌની ફરજ એ પણ છે કે, કોરોનાના સંક્રમણને ખાળવા સહુએ સરકારને સહકાર આપવો પડશે. માસ્ક પહેરવા ઉપરાંત સોશિયલ ડિસ્ટન્સિંગ અને સેનિટાઈઝેશન જાળવવું પડશે. દેશના પ્રત્યેક નાગરિકને રસી નહીં મળે ત્યાં સુધી અમીર અને ગરીબ વચ્ચેનો ભેદભાવ રાખ્યા સિવાય સહુએ એકબીજાને સાથ અને સહકાર આપી, સંપીને રહેવું પડશે. કોરોનાના કાળમાં વિના સહકાર નહીં ઉદ્ધાર એ ઉક્તિને સંપૂર્ણપણે સાર્થક કર્યા સિવાય કોઈ આરોઓવારો નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *