આણંદ(ગુજરાત): હાલમાં રાજ્યમાંથી એક ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં આણંદ(Anand)માં ઠક્કર ખમણના નામે ધંધો કરતા અને બોરસદ(Borsad)માં રહેતા વેપારીની પત્નીનું શંકાસ્પદ મોત થતાં પંથકમાં ચકચાર મચી ગઈ છે. પરિણીતાના પિયરિયાંએ શંકા વ્યક્ત કરતાં મૃતદેહનું પોસ્ટમર્ટમ(Postmortem) કરવામાં આવ્યું હતું, જેમાં ગળાના ભાગે નિશાન મળી આવ્યાં છે. હાલમાં પોલીસ(Police) દ્વારા અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, બોરસદ-આણંદ રોડ ઉપર આવેલી લેગસી સોસાયટીમાં રહેતા અને ઠક્કર ખમણ હાઉસથી સમગ્ર વિસ્તારમાં પ્રખ્યાત એવા અમિત ઠક્કરના લગ્ન પંદર વર્ષ પહેલાં સુરત ખાતે રહેતી રોક્ષા નામની યુવતી સાથે થયા હતા. તેમને સંતાનમાં એક પુત્રી અને પુત્ર છે. મંગળવારે સવારે તેમનું બાથરૂમમાં નાહવા જતા સમયે શંકાસ્પદ મોત નીપજ્યું હતું. આ બાબતે સાસરીપક્ષવાળાઓ દ્વારા તેના પિયરિયાંને ફોન કરી રોક્ષાને પડી જવાથી ઈજા થવાનું જણાવવામાં આવ્યું હતું. ત્યારબાદ થોડા જ સમય પછી ફરી ફોન કરીને તેનું મોત નીપજ્યું હોવાની જાણ કરી હતી, જેને પગલે સુરતમાં રહેતા પરિણીતાનાં પરિવારજનો ડઘાઈ ગયાં હતાં. તેઓ બોરસદ સ્થિત નિવાસસ્થાને આવ્યાં એ પહેલાં તેના અંતિમવિધિની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી હતી.
જાણવા મળ્યું છે કે, આ સમગ્ર ઘટનામાં યુવતીના મોતને લઈને શંકા જતાં મૃતકના ભાઈ ધવલ ગંગદેવે અંતિમવિધિ પહેલાં મૃતકનું પોસ્ટમોર્ટમ કરવામાં આવે એવી માંગ કરી હતી. બુધવારે તેનું કરમસદ ખાતે પીએમ કરતાં ગળાના ભાગે નિશાન મળી આવ્યાં હતાં. જોકે, હાલમાં ફોરેન્સિક રિપોર્ટની રાહ જોવામાં આવે છે. આ મામલે ભાઈ ધવલે બહેનના મૃત્યુ પાછળ તેનાં સાસરિયાંનો હાથ હોવાની શંકા વ્યક્ત કરી છે.
સાસરિયાં દ્વારા પરિણીતાનું ગળું દબાવીને દ્વારા હત્યા કરાઈ હોવાની શંકા પિયરિયાં દ્વારા વ્યકત કરવામાં આવી છે. જોકે, સાસરિયાં દ્વારા બાથરૂમમાં પડી જવાથી મોત થયું હોવાની વાર્તા ઊપજાવી કાઢીને હત્યાને અકસ્માતમાં ખપાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, તબીબ દ્વારા આપેલા પ્રાથમિક રિપોર્ટમાં ગળાના ભાગે નિશાન મળી આવ્યાં હોવાનું જાણવા મળ્યું છે.
સોમવારની રાત્રે સવા એક વાગ્યા હશે અને મારી બહેને મને મેસેજ કર્યો હતો. આ મેસેજ વ્હોટ્સએપ ફરતો હોય એ પ્રકારનો હતો, પરંતુ એમાં જાણે સાસરિયાંની જે માગ હોય એને રજૂ કરતો હતો. જોકે, તેણે મોકલેલો મેસેજ મેં સવારે જોયો હતો, પરંતુ હું કામમાં હોવાથી તેને ફોન કરવાનું રહી ગયું હતું.
મૃતકના નાના ભાઈ ધવલભાઈ ગંગદેવે આક્ષેપ કર્યો હતો કે, પાંચ-સાત વર્ષ અગાઉ મારો મોટા ભાઈ અંકુર બોરસદ ખાતે તેના ઘરે રહેવા માટે ગયો હતો. એ સમયે તે સૂતો હતો ત્યારે બેનની રૂમમાંથી મારવાનો અને તેના રડવાનો અવાજ આવતો હતો. એને પગલે એ જ દિવસે તે રોક્ષા તથા તેનાં બંને બાળકોને લઈને સુરત આવી ગયા હતા. ત્યારબાદ દોઢ-બે મહિના રહીને તેમણે સમાધાન કરી તેને પરત લઈ ગયા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.