દેવાયત બોદરની પુણ્યતિથી- શોર્ય બલિદાનથી રા’ નવઘણના સંરક્ષક વીરની વીરગાથા વાંચો અહિયાં

દેવાયત બોદર (Devayat Bodar) તેમની શૌર્યતા, બલિદાન અને માતૃભૂમિના પ્રેમ માટે જાણીતાં મહત્વના વ્યક્તિ હતા, જેમની મદદ થી રા’ નવઘણ, જૂનાગઢના ચુડાસમા શાસક અને રા’…

દેવાયત બોદર (Devayat Bodar) તેમની શૌર્યતા, બલિદાન અને માતૃભૂમિના પ્રેમ માટે જાણીતાં મહત્વના વ્યક્તિ હતા, જેમની મદદ થી રા’ નવઘણ, જૂનાગઢના ચુડાસમા શાસક અને રા’ ખેંગારના પિતાએ જૂનાગઢની ગાદી મેળવી હતી. દેવાયત બોદરનો જન્મ અલિદર-બોડિદર ગામમાં આહિર સમુદાયમાં થયો હતો. તેમને તેમની પત્ની સોનલથી ઉગા નામનો પુત્ર અને જાહલ નામની પુત્રી હતી. દેવાયત બોદરે સોલંકીઓ દ્વારા રા’દિયાસને મારીને ગાદીભષ્ટ કર્યા પછી રા’નવઘણને બચાવવા માટે પોતાના પુત્ર ઉગાનું બલિદાન આપી દીધું હતું.

ગુજરાતનાં સોલંકીવંશના રાજા દુર્લભસેનની રાણીઓ કાઠિયાવાડની જાત્રાએ નીકળે છે. દામોકુંડમાં સ્નાન કરવાનો વેરો જૂનાગઢના રાજવી રા’ દિયાસે માંગતા રાણીઓને માઠું લાગ્યું અને સ્નાન કર્યા વિના પાટણ પાછી ફરી. અપમાનનો બદલો લેવા દુર્લભસેને જૂનાગઢ પર ચડાઈ કરી, પણ દિવસો સુધી મથવા છતાં કંઇ કરી ન શક્યા. છેવટે એક ચારણને જૂનાગઢના મહેલમાં રા’નું માથું દાનમાં માગી લેવા મોકલ્યો. રા’એ હરફ પણ ઉચ્ચાર્યો નહિ અને કવિરાજને માથું ઉતારી આપ્યું.

સોલંકીઓએ જૂનાગઢ હાથ કર્યું, જેથી રા’ની તમામ રાણીઓએ આત્મવિલોપન કર્યું. તેમાંની સોમલદે નામની રાણી મરતાં પહેલા પોતાનાં નાના બાળકને એક વડારણ બાઈને સોંપતી ગઈ. જેણે બાળ રા’ નવઘણને દેવાયત બોદરને સોંપ્યો.દેવાયત બોદરે રા’ નવઘણને બચાવવા માટે પોતે કંઇ પણ કરી છૂટવાની અને જૂનાગઢની ગાદી તેને સોંપવાની પ્રતિજ્ઞા લીધી હતી.દેવાયતને નવઘણની એ જ ઉંમરનાં બે સંતાન છે – દીકરો વાહણ (ઉગો) અને દીકરી જાહલ. સોલંકીઓનો કેર હોવાં છતાં બહાદુર આહીર દંપતિ નવઘણને સ્વીકારે છે. હવે બે ને બદલે ત્રણ સંતાનો દેવાયતના ઘરમાં ઉછરે છે.

સમય પસાર થતો જાય છે. ત્રણેય બાળકો માનો ખોળો મૂકી ફળીમાં રમતા થાય છે. એવે વખતે કોઈ જાણભેદુ સોલંકીઓના થાણેદારના કાન ભંભેરે છે અને વાત છતી થાય છે. ગામના ચોકમાં તમામ આહીરોને એકઠા કરી સોલંકીઓનો થાણેદાર એક-એકને પૂછે છે કે “સાચે જ દેવાયતના ઘરમાં રાજનો દુશ્મન ઉછરી રહ્યો છે?”. વફાદર આહીરો મગનું નામ મરી પાડતા નથી. આખરે દેવાયતને બોલાવી થાણેદાર એને જ પૂછે છે, અને સૌનાં આશ્ચર્ય વચ્ચે દેવાયત આ વાતની પુષ્ટિ કરતાં કહે છે – “મારે તો રાજભક્તિ દેખાડવી હતી. દિયાસનો દીકરો મારે ઘરે ઊઝરતો નથી. પણ કેદમાં રાખેલ છે. એ મોટો થાત એટલુ હું મારી જાણે જ દોરીને એની ગરદન સોળંકીયુંને સોંપી દેત. હું સોળંકીઓનો લૂણહરામી નથી.” પછી તો ઘરે પત્ની પર કાગળ લખી દેવાયત નવઘણને તેડાવે છે.

કાગળમાં લખે છે – “રા’ રાખીને વાત કરજે”. “રા’ રાખીને વાત કરજે” – સોરઠી ભાષાના આ કોયડાને ગુજરાતનાં સોલંકીઓ પકડી ન શક્યા, પણ દેવાયતની પત્ની બધું જ સમજી ગઈ. હૈયા પર પથ્થર મૂકીને એણે પેટના દીકરા ઉગાને તૈયાર કરીને મોકલ્યો. નાનકડા ઉગાને જોતાં જ આખો આહીર ડાયરો દેવાયતની સ્વામી-ભક્તિ પર ઓવારી ગયો. ખુદ બાપના હાથે દીકરાની સોલંકીઓએ કતલ કરાવી. મર્યો છે એ નવઘણ જ છે એ વાતની ખરાઈ કરવા, તેમેણે મૃત દીકરાની આંખો પર ઉઘાડા પગે આહીરાણીને ચાલવાની ફરજ પાડી! પતિ-પત્નીએ હસતા મોંએ પુત્રનું બલિદાન આપી રા’ ના કુળદીપકને જલતો રાખ્યો!

કેટલાય વર્ષ સુધી ઉગાના મૃત્યુ વિશે એક આંસુ ન પાડનાર આહિરાણીએ જ્યારે રા’નવઘણ જુનાગઢનો રાજા બને છે ત્યારે વર્ષો પછી પોકે પોકે રડે છે અને ઉગાના મરશિયા ગાય છે. આહિરોમાં ત્યારથી બંગડી કે સેંથાનો કોઈ રિવાજ રહ્યો નથી. ત્યારથી કાળુ કાપડુ પહેરીને સતત આહિર સ્ત્રીઓ ઉગાનો શોક મનાવે છે.

રા નવઘણ દ્વારા બંધાવેલ બે કૂવાઓ જૂનાગઢના ઉપરકોટમાં આવેલા છે. દેવાયત બોદરનું મંદિર બોડિદર ગામમાં જૂનાગઢ નજીક આવેલું છે. દેવાયત બોદરના સન્માનમાં બોડિદર ગામનું નામ ૨૪ એપ્રિલ થી ૧ મે ૨૦૧૧ દરમિયાન યોજાયેલા સંભારભમાં બદલીને દેવાયતગઢ કરવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *