જાણો એવી તો શું જરૂર પડી, કે ગુજરાતના ખેડૂતોને હવે બંદુક જેવા હથિયારનો ઉપયોગ કરવો પડ્યો

ગુજરાતના બનાસકાંઠામાં આવેલા સુઇગામ પંથકમાં તીડનો ત્રાસ એટલી હદે વધ્યો છેકે હવે ખેડૂતે બંદૂક જેવા હથિયાર હાથમાં લઇ લીધા છે. તીડ કાબૂમાં ન આવતા ભરડવામાં…

ગુજરાતના બનાસકાંઠામાં આવેલા સુઇગામ પંથકમાં તીડનો ત્રાસ એટલી હદે વધ્યો છેકે હવે ખેડૂતે બંદૂક જેવા હથિયાર હાથમાં લઇ લીધા છે. તીડ કાબૂમાં ન આવતા ભરડવામાં ખેડૂતે બંદૂકમાંથી ભડાકા કરીને તીડને દૂર કરવાનો પ્રયાસ કર્યો હતો. ખેડૂતનો બંદૂકથી ભડાકા કરતો વીડિયો હાલમાં વાયરલ થયો છે. આ વીડિયોને જોઇને એ વાતની અનુભૂતિ કરી શકાય છેકે આ પંથકમાં ખેડૂતો કેટલી હદે ત્રસ્ત બન્યા હશે કે હવે ખેડૂતોએ હથિયાર ઉઠાવવાનો વારો આવ્યો છે.

હળ ઉપાડીને જગતની સમસ્યાને હલ કરનાર ખેડૂત જ્યારે હાથમાં બંદૂક ઉઠાવે ત્યારે નક્કી કપરી પરીસ્થિતિ સર્જાઇ હોય છે. આવી જ કંઇક ખરાબ સ્થિતી છે બનાસકાંઠાના સરહદી ગામોમાં જ્યાં લાખોની સંખ્યામાં આકાશમાંથી ઉડીને આવતા તીડના કારણે ખેડૂતોએ હથિયાર ઉઠવવા મજબૂર થવું પડ્યું છે. આટલી હદે તીડનો ત્રાસ વધી ચુક્યો છે.

હાથમાં હથિયાર લઇને આકાશમાં ધડાકા કરતા ખેડૂતોએ આજ હાથ જોડીને સરકારને અપીલ કરી હતી કે અમારા પાકને આ તીડના ત્રાસથી બચાવો. હેલિકોપ્ટર દ્વારા દવાનો છંટકાવ કરાવી દો તો તીડના ત્રાસમાંથી મુક્તિ મળે. પણ આપણે ત્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહપ્રધાન અમિત શાહને ચૂંટણી પ્રવાસ માટે હેલિકોપ્ટર મળી શકે પણ ખેડૂતોના જીવ જેવા પાકને તીડના ત્રાસથી બચાવવા માટે થોડા કલાકો માટે દવા છાંટવા હેલિકોપ્ટર ન મળી શકે.

આનું પરિણામ આ આવ્યુ છે કે એક અઠવાડીયાથી હેલિકોપ્ટરથી દવાનો છંટકાવ કરીને તીડના ત્રાસમાંથી મુક્તિ મળે તેવી માંગ કરતા બનાસકાંઠાના સરહદી વિસ્તારના ખેડૂતોએ હવે ગમે તે ભોગે તેનાથી શકય બને તેવી રીતે તીડને ભગાડવાનો પ્રયાસ કરી રહ્યા છે.

કોઇ બંદૂકથી ભડાકા કરી રહ્યું છે તો કોઇક વાસણો બગાડીને તીડને ભગાડવાના મરણીયા પ્રયાસોમાં લાગેલુ છે. સુઇગામ તેમજ ભાભરના બેડા ઇંદરવા પણ હવે તીડના ત્રાસમાંથી બાકાત રહ્યું નથી. તો પાટણના સાંતલપુરમાં પણ હવે તો તીડે દસ્તક લઇ દીધી છે. ચરાંડા ગામે આવી પહોંચેલા તીડને દૂર કરવા સ્થાનિક ખેડૂતોએ વાસણો વગાડીને તીડને દૂર કરવાના મરણિયા પ્રયાસો કર્યા છે.

તો હવે આ સમગ્ર મામલે કિસાન સંઘ રહી રહીને હરકતમાં આવ્યું છે. અને સુઇગામ પ્રાંત કલેકટરને આવેદનપત્ર આપીને તીડથી થતા નુકસાન માટે સહાયની માંગ કરી હતી. હાલમાં સ્થિતી એવી છેકે ખેતીવાડી અધિકારીઓ તીડોના ઝૂંડના લોકેશન મેળવી તીડોનો નાસ કરવા મથામણ કરી રહ્યા છે. વહીવટી તંત્રની ફક્ત ત્રણ ટીમો દ્રારા કામગીરી કરવામાં આવી રહી છે. જેથી ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. જગતનો તાત ગણાતો ખેડૂત તીડો સામે લાચાર બની પોતાના ખેતરમાંથી તીડ ભગાડવા મહા મહેનત કરી રહ્યો છે.

ગાંધીનગર ખાતે રૂપાણી સરકારની કેબિનેટ બેઠક યોજાઈ. જેમાં મગફળી, સરહદી પંથકમાં તીડના આક્રમણ અને માવઠા બાદ સરકારે જાહેર કરેલા રાહત પેકેજની ચુકવણી સહિતના મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. આપણે ત્યાં વિકાસની મોટી મોટી વાતો થાય ખેડૂત લક્ષી હોવાની વાતો થાય. પણ જે સમસ્યાનું સમાધાન હેલિકોપ્ટરથી દવા છાંટીને થઇ શકતું હતું તે સમસ્યાનું સમાધાન નહીં કરીને જાણે ખેડૂતોનો પાક ખતમ થઇ જાય તેની રિતસરની રાહ જોવાઇ. હવે તંત્ર તીડને દૂર કરવાના પ્રયાસો કરી રહ્યું છે ત્યારે તીડની ત્રાસદીથી ખેડૂતો ક્યારે મુક્ત થશે તે તો ભગવાન જાણે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *