રથયાત્રા ઉત્સવનું માહત્મ્ય- શા માટે અને ક્યારથી નીકળી રહી છે રથયાત્રા? વાંચો અહી

Published on Trishul News at 12:53 PM, Thu, 4 July 2019

Last modified on July 4th, 2019 at 12:53 PM

ભારતભરમાં ગુજરાતી પંચાંગ પ્રમાણે અષાઢ સુદ બીજને દિવસે મનાવવામાં આવે છે. ભગવાન જગન્નાથનું મુળ મંદિર ઓરિસ્સાનાં જગન્નાથ પુરી શહેરમાં આવેલું છે.

ભગવાન કૃષ્ણ તેમના ભાઈ ભગવાન બલરામ સાથે દ્વારકાની બહાર ગયા હતા. ત્યારે કૃષ્ણ ભગવાનની ૧૬૧૦૮ રાણીઓએ રોહિણી માતાને (બલરામની માતા) પુછ્યુ કે અમે કૃષ્ણ ભગવાનની આટલી સેવા કરીએ છે છતા કૃષ્ણ ભગવાન આખો દિવસ રાધાનું નામ કેમ લે છે. ત્યારે રોહિણી માતા બોલયા જો કૃષ્ણ અને બલરામ રાજમહેલમા ન પ્રવેશે તો હું કહું. રાણીઓએ વિચાર કરીને સુભદ્રાને દરવાજાની બહાર ધ્યાન રાખવા ઉભા રાખ્યા અને કહ્યુ કે કોઇને અંદર પ્રવેશવા ન દેતા. પછી રોહિણી માતાએ કથા ચાલુ કરી. સુભદ્રા દરવાજા પર કાન રાખીને અંદરની કથા સાંભળવા લાગ્યા.

ત્યારે કૃષ્ણ અને બલરામ પાછા આવ્યા તો એમણે જોયુ કે સુભદ્રા દરવાજા પર કાન રાખીને ઉભા છે. કૃષ્ણ અને બલરામ રાજમહેલમાં પ્રવેશવા ગયા તો સુભદ્રાએ તેમને રોક્યા. તો કૃષ્ણ અને બલરામ સુભદ્રાની જેમ દરવાજા પર કાન રાખીને અંદરની કથા સાંભળવા લાગ્યા. ત્યારે અચાનક ભક્તિના ભાવને લીધે ત્રણેના હાથ અને પગ સંકોચાવા માંડ્યા અને આંખો મોટી થવા માંડી. ત્યારે કૃષ્ણ ભગવાનને મળવા નારદ મુનિ દ્વારકા આવ્યા તો તેમણે જોયુ કે કૃષ્ણ ભગવાનના હાથ અને પગ સંકોચાઇ ગયા હતા અને આંખો મોટી થઈ ગઈ હતી. નારદ મુનિએ કૃષ્ણ ભગવાનને કહ્યું કે તમારુ આ રૂપ જગતને બતાવો. તો કૃષ્ણ ભગવાને નારદ મુનિને આ રૂપ ત્રેતાયુગમાં જગતને બતાવવાનુ વચન આપ્યુ.

ભારતમાં રથયાત્રા  

ભારતમાં મુખ્ય રથયાત્રા જગન્નાથ પુરીની રથયાત્રા છે, આ ઉપરાંત અનેક શહેરોમાં આ જ દિવસે રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે. ગુજરાતમાં અમદાવાદનાં જગન્નાથ મંદિરેથી નીકળતી રથયાત્રા ગુજરાતની સૌથી મોટી રથયાત્રા છે,અમદાવાદમાં પણ આષાઢી બીજના દિવસે રથયાત્રાનું આયોજન થાય છે. અહીં ૧૪૦ વર્ષથી રથયાત્રા યોજાય છે. ઈ.સ.૨૦૧૭માં યોજાતી રથયાત્રા ૧૪૦મી રથયાત્રા છે. અહીં જમાલપુરમાં આવેલાં ૪૦૦ વર્ષ જૂના જગન્નાથ મંદિરમાંથી સવારે રથયાત્રાનો પ્રારંભ થાય છે અને કુલ ૧૪ કિ.મી.નું અંતર કાપી સાંજે ફરી મંદિરે આવે છે. વડોદરામાં ઇસ્કોન દ્વારા આયોજીત થતી રથયાત્રાને ગણાવી શકાય. આ સિવાય સુરતમાં પણ ઇસ્કોન દ્વારા આ જ દિવસે રથયાત્રાનું આયોજન મોટે ભાગે દર વર્ષે કરવામાં આવે છે. હરરોજ ભક્તોએ ભગવાનનાં દર્શન કરવા ભગવાન પાસે જવું પડે છે, પરંતુ રથયાત્રાનાં દિવસે ભગવાન સ્વયં સામે ચાલીને પોતાના ભક્તો પાસે જાય છે.

જગન્નાથની આ રથયાત્રા છેક પુરાણ કાલિન હોવાનું જણાય છે. બ્રહ્મ પુરાણ, પદ્મ પુરાણ અને સ્કંદ પુરાણમાં આ રથયાત્રાનું આબેહુબ વર્ણન જોવા મળે છે. કપિલ સંહિતામાં પણ રથયાત્રાનો ઉલ્લેખ મળે છે. મુઘલ કાળ દરમિયાન પણ, જયપુર, રાજસ્થાનના રાજા રામસિંહે પણ ૧૮મી સદીમાં પુરી ખાતે યોજાતી જગન્નાથજીની રથયાત્રાનું વર્ણન કરેલું છે. ઓડિશામાં, મયુરભંજ અને પર્લાખેમુંડીના રાજાઓ પણ પુરીની જેમ જ રથયાત્રા યોજતા.

જગન્નાથ (કૃષ્ણ), સુભદ્રા અને બલરામની મૂર્તિઓનું જગન્નાથ મંદિરમાં તો આખું વર્ષ પૂજન અર્ચન કરાય જ છે પણ વર્ષમાં એક વખત, અષાઢી બીજના દિવસે, ત્રણે મૂર્તિઓને મોટા મોટા રથમાં પધરાવી બડા ડન્ડા તરીકે ઓળખાતી પુરીની મુખ્ય બજારમાં થઈ આશરે ત્રણ કિ.મી. દૂર સ્થિત ગુંડિચા મંદિરે લવાય છે અને જાહેર જનતાને દર્શનનો લાભ આપવામાં આવે છે. આ તહેવાર “રથયાત્રા” તરીકે ઓળખાય છે. આ રથ ખુબ જ મોટાં પૈડાંવાળા, સંપૂર્ણ કાષ્ટનાં બનેલા હોય છે. જે દર વર્ષે નવા બનાવાય છે અને તેને ભાવિકજનો દ્વારા ખેંચીને લઈ જવાય છે. જગન્નાથજીનો રથ આશરે ૪૫ ફિટ ઊંચો અને ૩૫ ફીટનો ચોરસ ઘેરાવો ધરાવતો હોય છે જેને બનાવતા બે માસ જેટલો સમય લાગે છે. પુરીનાં કલાકારો અને ચિત્રકારો આ રથનાં વિશાળ પૈડાંઓ કાષ્ટમાંથી કોતરેલા રથ અને ઘોડાઓ પર ફૂલપાંખડીઓ અને અન્ય આકૃત્તિઓ ચીતરે છે તેમજ સુંદર રીતે શણગારે છે. રથના સિંહાસનની પીઠિકા પર પણ ઉલટા કમળફૂલોની આકૃત્તિઓ ચિતરવામાં આવે છે. જગન્નાથનાં આ વિશાળ રથોને રથયાત્રા સમયે ખેંચવાની ક્રિયા પરથી અંગ્રેજી ભાષામાં “Juggernaut” (જગરનૉટ) શબ્દ રચાયો છે.રથયાત્રાને ગુંડીચા યાત્રાપણ કહેવામાં આવે છે.

yatra

રથયાત્રા સાથે સંકળાયેલી ખાસ નોંધપાત્ર વિધિ છેરા પહેરાની છે. જેમાં તહેવાર દરમિયાન, ગજપતિ રાજા (ગજપતિ રાજ્યનો રાજા) સફાઈ કામદારનો પહેરવેશ સજી અને મૂર્તિઓ તથા રથની આસપાસની જગ્યા પાણી વડે ધોવાની વિધિ કરે છે. તે ઉપરાંત રથયાત્રાનાં આગમન પૂર્વે રાજા, અત્યંત ભક્તિભાવથી, સોનાનાં હાથાવાળા સાવરણાથી રથયાત્રાનો માર્ગ વાળે છે તેમજ તે પર સુખડકાષ્ટનું સુગંધી જળ અને પાવડર છાંટે છે. રિવાજ પ્રમાણે, ગજપતિ રાજા એ કલિંગ સામ્રાજ્યનો સર્વોચ્ચ હોદ્દેદાર અને મહાનુભાવ વ્યક્તિ ગણાય છે, તે પણ જગન્નાથજીની સેવામાં નાનામાં નાનું કામ પણ કરે છે અને એ દ્વારા આશય એવો સંદેશ આપવાનો હોય છે કે ભગવાન જગન્નાથજી સમક્ષ મહાશક્તિશાળી સમ્રાટ કે સામાન્ય ભક્ત વચ્ચે કોઈ ભેદ હોતો નથી. ચેર પહરની વિધિ બે દિવસ સુધી કરાય છે, રથયાત્રાના પ્રથમ દિવસે, જ્યારે મૂર્તિઓને મૌસીમાં મંદિર (ફૂલઘર) તરફ લઈ જવાય છે ત્યારે અને પછી છેલ્લા દિવસે, જ્યારે મૂર્તિઓને ફરી શ્રી મંદિર તરફ લઈ જવાય છે ત્યારે.

એક અન્ય વિધિ મૂર્તિઓને શ્રી મંદિરમાંથી રથ પર પધરાવવાની હોય છે જે પહાંદી વિજયકહેવાય છે.

રથયાત્રાના તહેવારમાં, મૂર્તિઓને જગન્નાથ મંદિરેથી રથમાં ગુંડિચા મંદિરે લઈ જવાય છે. જ્યાં તે નવ દિવસ સુધી રહે છે. તે પછી, મૂર્તિઓ ફરી રથ પર બિરાજીને શ્રી મંદિરે પધારે છે એને બહુડા યાત્રાકહે છે. આ પરત વેળાની યાત્રામાં ત્રણે રથ મૌસીમાં મંદિરે વિરામ લે છે અને ત્યાં ભાવિકો “પોડા પીઠા” (જે બહુધા ગરીબ લોકોના મુખ્ય ખોરાક સમો એક પ્રકારનો રોટલો હોય છે)નો પ્રસાદ લે છે.

વધુમાં, સ્ટાર્ઝા નોંધે છે કે ઈ.સ. ૧૧૫૦ આસપાસ ગંગા સામ્રાજ્યનાં રાજકર્તાઓ મહાન મંદિરોની પૂર્ણતા સમયે રથયાત્રાનું આયોજન કરતા. હિન્દુઓનાં કેટલાંક તહેવારોમાંનો આ એક એવો તહેવાર છે જેનાથી પશ્ચિમી જગત બહુ પહેલેથી જાણકારી ધરાવતું હતું. અર્થાત, આ તહેવાર ખુબ જ જૂના કાળથી વિશ્વના અન્ય લોકોમાં પણ જાણીતો બનેલો છે. પોર્ડેનોનનાં ફરિયાર ઓડોરિક નામનાં પ્રવાસીએ ઈ.સ.૧૩૧૬-૧૩૧૮ દરમિયાન ભારતની મુલાકાત લીધેલી, માર્કો પોલો પછી આશરે ૨૦ વર્ષે. તેણે ૧૩૨૧માં લખેલી પોતાની યાત્રાનોંધમાં વર્ણવ્યું છે કે, લોકો પોતાનાં પુજ્યોને (મૂર્તિઓને) રથમાં પધરાવતા પછી રાજા, રાણી અને બધાં લોકો તેમને “ચર્ચ” (મંદિર)માંથી ગાતાં વગાડતા લઈ જતા.

ભારત બહાર રથયાત્રા

ભારતની બહાર પણ અનેક દેશોમાં છેલ્લાં ચાલીસેક વર્ષથી રથયાત્રોનું આયોજન થાય છે જેનો શ્રેય ઇસ્કોનનાં સંસ્થાપક આચાર્ય એ.સી. ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદને જાય છે. અમેરિકાનાં લૉસ એન્જેલિસ, ન્યુ યોર્ક, સાન ડિયેગો, સાન ફ્રાંસિસ્કો વગેરે શહેરો ઉપરાંત ઇંગ્લેંડનાં લંડન, બર્મિંગહામ, કોવેન્ટ્રી, બ્રાઇટન, વગેરે શહેરો તથા પેરિસ, ટોરેન્ટો, બુડાપેસ્ટ વગેરે અનેક શહેરોમાં ઇસ્કોન દ્વારા જુન-જુલાઇ મહિનામાં રથયાત્રાઓનું આયોજન કરવામાં આવે છે. આ રથયાત્રાઓ પાશ્ચાત્ય દેશોની પ્રણાલીને અનુસરતા તથા ત્યાંના કાયદાઓનું પાલન કરતા મોટેભાગે શની-રવી વારે યોજવામાં આવે છે, અને તે કારણે હંમેશા અષાઢી બીજને દિવસે યોજાય તેમ નથી બનતું.

ધમરાઈ જગન્નાથ રથયાત્રા (બાંગ્લાદેશ)

ધમરાઈ જગન્નાથ રોથ એ ધામરાઈ, બાંગ્લાદેશ ખાતે આવેલું, ભગવાન જગન્નાથજીને સમર્પીત, રથ મંદિર છે (બંગાળી ભાષામાં “રથ”નો પહોળો ઉચ્ચાર “રોથ” કરાય છે). અહીં દર વર્ષે યોજાતી રથયાત્રામાં હજારો લોકો ભાગ લે છે. બાંગ્લાદેશનાં હિન્દુ સમાજ માટે ધમરાઈમાં યોજાતી રથયાત્રા બહુ જ મહત્વનો ધાર્મિક તહેવાર છે. અહીં જે મૂળ ઐતિહાસિક રથ હતો તે પાકિસ્તાનનાં સૈન્ય દ્વારા ૧૯૭૧માં બાળી નાખવામાં આવ્યો હતો. ત્યાર પછી ભારતની સહાયથી નવા રથનું નિર્માણ કરાયું હતું.

જાણવા જેવું

જગનાથ પુરીમાં દર વર્ષે ભગવાનનાં ત્રણે રથો નવેસરથી તૈયાર કરવામાં આવે છે.

આ રથોની ઉંચાઇ લગભગ ૪૫ ફુટ (૪-૫ માળ) જેટલી હોય છે.

પુરીનાં જગન્નાથ મંદિરમાં ભારતીય હિંદુ સિવાય અન્યને પ્રવેશ મળતો નથી.

રથયાત્રાને દિવસે નાત જાતનાં ભેદ ભાવ વગર હર કોઇ દર્શન કરી શકે છે તથા રથ ખેંચી શકે છે.

અમદાવાદની રથયાત્રામાં દર વર્ષે ફણગાવેલાં મગ, કાકડી, કેરી અને જાંબુનો હજારો (૩૦,૦૦૦-૪૦,૦૦૦) કીલો પ્રસાદ વહેંચવામાં આવે છે.

પુરીની રથયાત્રામાં જગન્નાથનાં રથનું નામ નંદીઘોષ છે.

અંગ્રેજી ભાષામાં, અતિશક્તિશાળી જેને રોકી ન શકાય તેવું, રસ્તામાં આવનાર તમામ અવરોધોને કચડી કાઢનાર, વગેરે અર્થમાં વપરાતો શબ્દ ‘જગરનોટ’ (Juggernaut), જગન્નાથપુરીની રથયાત્રા પરથી લેવામાં આવેલ છે.

Be the first to comment on "રથયાત્રા ઉત્સવનું માહત્મ્ય- શા માટે અને ક્યારથી નીકળી રહી છે રથયાત્રા? વાંચો અહી"

Leave a comment

Your email address will not be published.


*