મીડિયા કહે છે સરકાર કોરોના મોતના આંકડા છુપાવે છે, જાણો ગૃહમંત્રીએ શું કહ્યું

Published on Trishul News at 5:32 PM, Sat, 15 May 2021

Last modified on May 15th, 2021 at 5:32 PM

કોરોનાએ હાલમાં સમગ્ર ગુજરાતને પોતાના ભરડામાં લીધું છે. કોરોનાને કારણે ગુજરાતની સ્થિતિ દિવસેને દિવસે બગડી રહી છે. ક્યાય ઓક્સીજન ઘટે છે તો ક્યાંક વેન્ટીલેટર, ક્યાંક દવાઓ નથી મળી રહી તો ક્યાંક બેડ જ નથી મળી રહ્યા. આવી કપરી પરિસ્થિતિનો સામનો કરતુ ગુજરાત હાલ ભગવાન ભરોશે જીવી રહ્યું છે. ક્યાંક બેડ માટે દર્દીઓ લડત લડી રહ્યા છે તો ક્યાંક સારવાર માટે જીવન અને મોત વચ્ચે લડી રહ્યા છે. ત્યારે મોટા ભાગના લોકો દરથી જ મોતને ભેટતા હોય છે.

અવાર-નવાર એવા સમાચાર સામે આવત રહે છે કે, કોરોનામાં મોતનાં આંકડા સરકાર છુપાવે છે એના અહેવાલો વચ્ચે આજે રોજ ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ (Home Minister Pradipsinh Jadeja) કહ્યું છે કે, ‘સરકાર મોતના આંકડા છુપાવી રહી છે, તે વાટ તદ્દન ખોટી છે. રાજ્યમાં ડેથ સર્ટિફિકેટ આપવાની પ્રક્રિયા એકદમ પારદર્શી છે.’

મુખ્ય મંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં સરકારના સંશાધનો-લોક સહયોગ સુદૃઢ આરોગ્ય સેવાઓ દ્વારા કોરોના સંક્રમણથી લોકોને બચાવવાના સફળ પરિણામોને ઉજાગર કરવાનું દાયિત્વ પ્રચાર માધ્યમ નિભાવે ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ રાજ્યના એક અગ્રણી અખબારે ‘‘ગુજરાતમાં મૃત્યુના આંકડા સરકાર છૂપાવે છે. ૭૧ દિવસમાં ૧.ર૩ લાખ ડેથ સર્ટીફીકેટ ઇસ્યુ થયાં’’ એવા પ્રસિદ્ધ કરેલા સમાચારને હકીકતલક્ષી વિગતોથી તદ્દન જુદા અને આધારવિહીન ગણાવ્યા છે.

ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ આ સંદર્ભમાં સ્પષ્ટપણે જણાવ્યું છે કે, આ અહેવાલમાં મરણ પ્રમાણપત્ર-ડેથ સર્ટીફીકેટને આધાર બનાવીને જે મૃત્યુની સંખ્યા ગણવામાં આવી છે તે યોગ્ય નથી તેમજ તેની સરખામણી કોવિડ-૧૯થી થયેલા મૃત્યુ સાથે કરવામાં આવી છે તે પણ અયોગ્ય છે. તેમણે આ વિષયે ગાંધીનગરમાં પ્રચાર માધ્યમો સાથેની વાતચીતમાં સ્પષ્ટપણે જણાવ્યું કે, ગુજરાતમાં મરણ નોંધણી પ્રમાણપત્ર અને ડેથ સર્ટીફીકેટ ઓન લાઇન આપવાની પારદર્શી પદ્ધતિ વિકસાવવામાં આવેલી છે.

ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું કે, જયારે કોઇ પરિવાર-કુટુંબમાં મોભીનું કે, સ્વજનનું મૃત્યુ થાય ત્યારે તેમને મરણ પ્રમાણપત્રની બેંક, ઇન્સ્યોરન્સ, એલ.આઇ.સી. જેવી વિવિધ બાબતો માટે જરૂર પડતી હોય છે. સ્વજનના મૃત્યુના દુ:ખદ સમયે ઘર-પરિવારને આ ઓનલાઇન પદ્ધતિથી ઘરે બેઠાં સરળતાથી પ્રમાણપત્ર મળી રહે તેવી સંવેદનાશીલતા સાથે આ પારદર્શી પદ્ધતિ વિકસાવવામાં આવેલ છે અને વિવિધ વિષયો માટે ડેથ સર્ટીફીકેટની જરૂર પડતી હોય તેવા સંજોગોમાં કોઇવાર એક જ મૃત્યુના કિસ્સામાં એક થી વધુ વખત રજીસ્ટ્રેશન થયું હોય તેવી શક્યતા નકારી શકાતી નથી. આના પરિણામે, ઇશ્યુ ડેથ સર્ટીફીકેટ અને થયેલ મૃત્યુની સંખ્યામાં તફાવત હોઇ શકે છે.

ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ ઉમેર્યું કે, આમ, મૃત્યુ સમય, રજીસ્ટ્રેશન અને પ્રમાણપત્ર ઇશ્યુ થવું એ ત્રણેય બાબતો અલગ અલગ છે. તેને એકસાથે સાંકળીને આ અખબારી અહેવાલમાં જે સંખ્યા બતાવાઇ છે અને નિષ્કર્ષ-તારણ દર્શાવાયા છે તે બિલકુલ અનુચિત અને અયોગ્ય છે.

ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહજી જાડેજાએ ઉમેર્યું કે, આ અખબારી અહેવાલમાં ર૦ર૦ના વર્ષની દર્શાવાયેલી આંકડાકીય વિગતોમાં એકયુરસી-ચોક્કસતા નથી. આ અહેવાલમાં માર્ચ અને એપ્રિલ-ર૦ર૦માં કુલ મરણ પ્રમાણપત્ર ઇશ્યુ થવાની સંખ્યા ૪૪,૯૪૩ બતાવવામાં આવી છે અને હકીકતે ડેટા જોઇએ તો ૬૧,૫૦૫ છે એટલે કે, ૧૬,૫૬ર ઓછા બતાવ્યા છે. જે ૩૦ ટકા ઓછા છે. આમ અંડર રીપોર્ટીંગ છે. તેના કોઇ ચોક્કસ આધાર નથી

આ ઉપરાંત, જયારે મૃત્યુના આંકડાની ટકાવારીની સરખામણી પાછલા કે, અગાઉના વર્ષો સાથે કરવામાં આવે ત્યારે જનસંખ્યામાં થયેલ વૃદ્ધિ તેમજ કુદરતી મૃત્યુ-નેચરલ ડેથના આંકડા પણ ધ્યાને લેવાવા જોઇએ જે આ અહેવાલમાં ધ્યાનમાં લીધા વિના જ તૂલના કરવામાં આવેલી છે, તેમ શ્રી જાડેજાએ જણાવ્યું હતું.

ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ એમ પણ કહ્યું કે, આ અહેવાલમાં ર૦ર૦ અને ર૦ર૧ના વર્ષના મરણ પ્રમાણપત્રના આંકડાઓની તુલના કરવામાં આવી છે. અહેવાલમાં જે સમયગાળા દરમિયાનની તુલના કરાઇ છે તે ર૦ર૦ના વર્ષમાં લોકડાઉનનો સમય હોવાથી રાજ્ય સરકારે આ સમયમાં થયેલ મૃત્યુના મરણ પ્રમાણપત્ર એક વર્ષ એટલે કે ૩૧ જુલાઇ, ર૦ર૧ સુધી લેઇટ ફી કે એફીડેવીટ વિના આપવાનો નિર્ણય કરેલો છે. તે પણ ધ્યાનમાં લેવાવું જોઇએ એમ તેમણે જણાવ્યું હતું. આમ, સમગ્રતયા આ અખબારી અહેવાલમાં કરવામાં આવેલ વિશ્લેષણ પદ્ધતિ અને આંકડા ધ્યાને લઇએ તો રાજ્ય સરકાર દ્વારા મોતના જે આંકડા છૂપાવવાની વાત કરવામાં આવી છે તે યોગ્ય નથી

ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ એમ પણ જણાવ્યું કે, કોવિડ-૧૯થી થતા મૃત્યુની સંખ્યા માટે જે ચોક્કસ પ્રસ્થાપિત પદ્ધતિ કોરોના ડેથ પ્રોટોકોલ અન્વયે અપનાવવામાં આવી છે તેનું રાજ્ય સરકાર યોગ્ય પાલન કરે છે અને કોવિડ-૧૯ના મૃત્યુની સંખ્યાનું પણ ચોક્કસ રીપોર્ટીંગ કરવામાં આવે છે. કેટલીક વાર પોસ્ટ કોવિડ રીકવરીના કિસ્સામાં પણ મૃત્યુ થાય છે તેને કોવિડ ડેથ તરીકે અખબારી અહેવાલમાં ગણવા તે પણ યોગ્ય નથી.

ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ વધુમાં જણાવ્યું કે, વિશ્વવ્યાપી મહામારી કોરોના સામે ગુજરાતે જનસહયોગ, તબીબી જગત અને રાજ્ય સરકારના સહિયારા પુરૂષાર્થથી જંગ આદરીને કોરોના સંક્રમણ નિયંત્રણમાં મહદઅંશે સફળતા મેળવી છે. રાજ્યમાં કોરોનાની શરૂઆતથી જ મુખ્ય મંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના માર્ગદર્શનમાં રાજ્યના આરોગ્ય વિભાગે કોરોના સંક્રમણ નિયંત્રણના અને સારવારના સઘન ઉપાયો હાથ ધર્યા છે.

રાજ્ય સરકારે હોસ્પિટલોમાં બેડની સંખ્યા પણ હાલ ૧ લાખથી વધુ કરી છે તેમજ ઓક્સિજનનો પુરવઠો પણ સતત-અવિરત આપીને કોઇ હોસ્પિટલમાં ઓક્સિજનના અભાવે એક પણ કોઇપણ વ્યક્તિએ જાન ગુમાવવો ન પડે તેની વિશેષ કાળજી લીધી છે.  ધનવંતરી આરોગ્ય રથ, સંજીવની રથ, ૧૦૪ હેલ્પ લાઇન આ બધા જ ઉપચાર-સારવાર માધ્યમોથી રાજ્યમાં કોરોનાગ્રસ્તોની ઝડપી સારવાર-ટ્રીટમેન્ટ થાય છે.

મુખ્ય મંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્યના ગામડાંઓને કોરોના મુક્ત રાખવા ‘‘મારૂં ગામ, કોરોના મુક્ત ગામ’’નું જન અભિયાન રાજ્યના સ્થાપના દિવસ ૧લી મે થી શરૂ કરીને ગ્રામીણ વિસ્તારોમાં ૧.૩૫ લાખ બેડની સુવિધા સાથેના કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટરની પણ સુવિધા કોરોના સંક્રમણ નિયંત્રણમાં રાખવા ઉભી કરી છે. સાથોસાથ કોરોના સામે રક્ષણ આપતી વેકસીન- રસીકરણની કામગીરી પણ રાજ્યભરમાં વેગવાન બનાવીને ૧ કરોડ ૪૭ લાખ ડોઝ અત્યાર સુધી રસીકરણ કરાયું છે.

કોરોના સામે લોકસહયોગ-જનજાગૃતિ અને અસરકારક સારવારના પરિણામે રાજ્યમાં પાછલા એક સપ્તાહમાં કેસોની સંખ્યામાં સતત ઘટાડો થતો રહ્યો છે. અને ગઇકાલે કેસોની સંખ્યા ૧૦ હજાર કરતાં પણ ઓછી થઇ ગઇ છે અને સાજા થઈને ઘરે પરત જનારા વ્યક્તિઓની સંખ્યા પણ ૧૫,૦૦૦થી વધુ જેટલી થઇ ગઇ છે. અને આવા સંક્રમિતો સાજા થઇને પાછા ઘરે ગયા છે. આમ હવે રીકવરી ઝડપથી વધી રહી છે અને સાજા થવાનો રેસિયો પણ વધી રહ્યો છે.

તેમણે કહ્યું કે, મુખ્ય મંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં રાજ્ય સરકારના સંશોધનો, આરોગ્ય કર્મીઓ, તબીબો, પ્રજાજનો સૌ કોરોના સંક્રમણ સામે જંગ આદરીને કોરોના મહામારી પર વિજય મેળવવા એક જૂથ થયા છે અને પ્રવર્તમાન સ્થિતિમાં કોરોના સંક્રમણથી લોકોના જીવન બચાવવાના અને ઓછામાં ઓછા મૃત્યુ થાય તેને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે.

આવા સમયે લોકશાહીના ચોથા સ્થંભ ગણાતા પ્રચાર માધ્યમોના આવા આધારવિહીન અને સત્યથી વેગળા અહેવાલોથી લોકોમાં બિનજરૂરી પેનિક ભય-ડરનો માહોલ ઉભો થવાની શકયતાઓ રહેલી છે. હકીકતે કોરોના સંક્રમણ નિયંત્રણ માટેના રાજ્ય સરકાર, લોકો અને સંગઠનોના પ્રયાસોમાં સહયોગ આપી જનહિતમાં સમાજ દાયિત્વ પ્રચાર માધ્યમોએ નિભાવવું જોઇએ, તેવી અપીલ પણ ગૃહ રાજ્ય મંત્રીશ્રીએ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Be the first to comment on "મીડિયા કહે છે સરકાર કોરોના મોતના આંકડા છુપાવે છે, જાણો ગૃહમંત્રીએ શું કહ્યું"

Leave a comment

Your email address will not be published.


*