મારે એક બાબો આવ્યા બાદ મારું ડાબું સ્તન નાનું થઈ ગયું હોય એવું લાગે છે, મને સલાહ આપો

હું ૧૭ વર્ષની છું, મારી બહેનપણીનો પિતરાઈ ભાઈ મારી સાથે મિત્રતા કરવા માગે છે. મારી ફ્રેન્ડ આમાં મદદ કરવા તૈયાર હતી, પણ મેં ના પાડી.…

હું ૧૭ વર્ષની છું, મારી બહેનપણીનો પિતરાઈ ભાઈ મારી સાથે મિત્રતા કરવા માગે છે. મારી ફ્રેન્ડ આમાં મદદ કરવા તૈયાર હતી, પણ મેં ના પાડી. જો હું તેની સાથે બહાર ફરવા ન જાઉં, તો એ આત્મહત્યાની ધમકી આપે છે. હું શું કરું? એક યુવતી (અમદાવાદ)

ઉત્તર: કિશોરાવસ્થાનો પ્રેમ માત્ર વિજાતીય આકર્ષણ હોય છે. તમારે એ છોકરા સાથે જવું નહીં અને તેની ધમકીથી ગભરાવું નહીં. તમારી બહેનપણી મળવા માટેનું દબાણ કરતી હોય, તો તેના ઘરે જવાનું બંધ કરી દો. તમારી ઉંમર હજી ખૂબ નાની છે. તમારા ભણતર તરફ ધ્યાન આપો, જીવનમાં એ જ જરૂરી છે.

હું ૨૩ વરસની પરિણીત મહિલા છું. મારા લગ્નને ત્રણ વરસ થયા છે.મને એક બાબો છે. મારી ડિલિવરી નોર્મલ થઈ હતી. ચાર મહિનાથી મને લાગે છે કે મારી ડાબી છાતી નાની થઈ ગઈ છે. હું ઘણી પાતળી છું. મારું શરીર પણ વધતું નથી આંખ નીચે કાળા કુંડાળા છે. કમર પણ દુઃખે છે. યોગ્ય સલાહ આપશો. એક યુવતી – (અમદાવાદ)

છાતી નાની થઈ ગઈ છે એ તમારો ભ્રમ છે. ઘણી વાર આવું લાગે છે. તમે પાતળા હોવાથી તમને આવો ભ્રમ થતો હશે. શરીરની ચરબી વધે એવો ખોરાક ખાવ. કોઈ ડાયેટિશિયનની સલાહ લો. સ્તનનું કદ વધે એવી કોઈ દવા નથી. વ્યાયામ કરો અને યોગ્ય આહાર લો. આંખની નીચે કાળા કુંડાળા ટેન્શન, અપૂરતી ઊંઘ જેવા ઘણા કારણસર થઈ શકે છે. યોગ્ય કારણ જાણી ઉપચાર કરો. કાળા કુંડાળા દૂર કરવા માટે આંખ પર દસ મિનિટ સુધી કાકડીના પૈતા મુકો. કોઈ સારા ડૉક્ટરની સલાહ લો.

પ્રશ્ન: હું ૩૩ વર્ષની વિધવા છું. મારે એક બેબી છે, મને મારા પતિની જગ્યા પર નોકરી મળી છે. હું એક પરિણિત સહકાર્યકર પુરુષને પ્રેમ કરું છું અને અમે બન્ને ૧૫-૨૦ દિવસે એકાંતમાં મળીએ છીએ. હું એના સુખી સંસારમાં આગ લગાડવા નથી ઇચ્છતી, છતાં એના વિના રહી નથી શકતી. શું કરવું? એક સ્ત્રી (ચોટીલા)

ઉત્તર: તમારા પત્ર પરથી સ્પષ્ટ થાય છે કે તમે જાણી જોઈને અપરાધ કરી રહ્યાં છો. એ પરિણીત પુરુષનો પ્રેમ નથી, વાસના છે. એ તમારી લાગણી સાથે રમત રમી રહ્યો છે. તમે પગભર છો, માટે તમારી દીકરીના ઉછેર તરફ ગંભીરતાથી ધ્યાન આપો અને જીવનસાથીની ઉણપ સાલતી હોય, તો કોઈ વિધુર અથવા છૂટાછેડા લીધેલ પુરુષ સાથે પુનર્લગ્ન કરી નાખો. તમે વહેલી તકે તે પરિણીત પુરુષને મળવાનું બંધ કરી દો. એમાં જ બન્નેનું અને બન્નેના પરિવારનું હિત છે.

પ્રશ્ન: મારી ઉંમર ૨૦ વર્ષ છે. હું મારી એક સંબંધી યુવતીને પ્રેમ કરતો હતો, પણ અમારાં લગ્ન થવાં અશક્ય હતાં. હાલમાં અમે બન્ને વિવાહિત હોવા છતાં પોતપોતાના જીવનસાથીથી અસંતુષ્ટ છીએ. અમે બન્ને હજી પણ ઘણી વાર ફોન પર વાત કરીએ છીએ. શાંતિ મેળવવા શું કરું? એક યુવક

ઉત્તર: હવે તમે બન્ને પરિણીત હોવાથી જે વાસ્તવિકતા છે, તે સ્વીકારી લો. તમારા બન્નેના પરિવાર તથા જીવનસાથીથી સંતુષ્ટ રહેવાની કોશિશ કરો.

પ્રશ્ન: હું ૨૩ વર્ષની છું. મારી સગાઈ થઈ ગઈ છે. થોડા જ સમયમાં મારા લગ્ન છે. અમારે એક વરસ સુધી સંતાન જોઈતું નથી. મને યોગ્ય ગર્ભ નિરોધક પદ્ધતિ વિશે જણાવો. ગર્ભ નિરોધક ગોળીનો ઉપયોગ કઈ રીતે કરવો એની જાણકારી આપો. એક યુવતી (ગુજરાત)

ઉત્તર: તમારો પતિ નિરોધનો ઉપયોગ કરે અથવા તમે ગર્ભ નિરોધક ગોળી લો એ ઉપાય હમણા યોગ્ય છે. ગર્ભ નિરોધક ગોળીઓ માસિક આવી ગયા પછી લેવાની હોય છે. આ કોર્સ પૂરો થતા અમુક દિવસની અંદર માસિક આવે છે. ગોળી ક્યારે લેવી અને કેટલા દિવસ લેવી અને સર્વ માહિતી ગોળીના પેકેટ પર આપી હોય છે, પરંતુ આ ગોળી લેતા પૂર્વે તમારા ફેમિલિ ડૉક્ટરની સલાહ અવજ્ઞાા લેવી કારણ કે લિવરની બીમારી, સ્તન કેન્સર, ગર્ભાશય કે યોનિને લગતા અસાધારણ રક્તસ્ત્રાવ કે હાઈપર ટેન્શન જેવી કેટલીક સમસ્યા માટે એ ગોળી યોગ્ય નથી આથી ડૉક્ટરની સલાહ વિના ગર્ભ નિરોધક સાધન વાપરવું નહીં. નિરોધ આમ તો સુરક્ષિત છે, પરંતુ કેટલી વાર ફાટી જતા ગર્ભ રહેવાના ચાન્સ રહે છે.

પ્રશ્ન: હું બારમા ધોરણમાં અભ્યાસ કરતી ૧૬ વર્ષની વિદ્યાર્થિની છું. હું જીવનથી એટલી બધી કંટાળી ગઈ છું કે ગૃહ ત્યાગ કરવા ઇચ્છું છું. કોઈ મહિલાઆશ્રમ કે અનાથાશ્રમનું સરનામું જણાવશો, જ્યાં શાંતિથી રહી શકું. એક કન્યા (સુરત)

ઉત્તર: સમસ્યાઓથી ગભરાઈને ગૃહત્યાગ કરવામાં સમજદારી નથી. ઘર છોડવાથી સમસ્યાઓનો અંત નહીં આવે, પણ તેમાં વધારો થશે. આથી આવું કોઈ અવિચારી પગલું ભરશો નહીં.

પ્રશ્ન: હું ૨૨ વર્ષની યુવતી છું. મારા સગા મામાના દીકરાને ચાહું છું. અમે બન્ને લગ્ન કરવા માગીએ છીએ. જોકે કુટુંબીજનોને અમારા પ્રેમ વિશે ખબર નથી. તેઓ આ લગ્ન માટે સંમત નહીં થાય, તે તો સ્પષ્ટ છે, જ્યારે હું કુટુંબીજનોની મંજૂરીથી લગ્ન કરવા ઇચ્છું છું. મારે શું કરવું? એક યુવતી (નવસારી)

ઉત્તર: હિન્દુ લગ્ન કાયદા અનુસાર આ લગ્ન કાયદેસર ગણાશે નહીં, આથી તમે તમારા પ્રેમસંબંધો પર અહીંથી જ પૂર્ણવિરામ મૂકી દો, તો વધારે સારું.

પ્રશ્ન: તાજેતરમાં મારી મરજી વિરુદ્ધ મારાં લગ્ન થયાં હતાં. જાતીય જીવનની બાબતોમાં હું બિનઅનુભવી હતો અને મેં જ્યારે મારી પત્ની સાથે સંભોગ કરવાની કોશિશ કરી ત્યારે તે પ્રયાસ નિષ્ફળ ગયો. મારી પત્ની સાથે સંભોગ કરતાં મને પીડા તથા બેચેની લાગી. પછીથી મને ખબર પડી કે મારા શિશ્નની બહારની ચામડી પૂરેપૂરી ખેંચાઈ ગઈ હતી. હું તેની સાથે સંભોગ ચાલુ ન રાખી શક્યો. હકીકતમાં તે દિવસે બીજી વાર મારું શિશ્નોત્થાન પણ થયું નહીં. ત્યાર પછી મને પેશાબ કરવામાં કોઈ તકલીફ પડી નથી અને મેં નોર્મલ રીતે હસ્તમૈથુન પણ કર્યું છે, પરંતુ મારી પત્ની સાથે સંભોગ કર્યો નથી. આને પરિણામે અમારા લગ્નજીવનમાં ભારે તનાવ સર્જાયો છે. એક પતિ (ભરૂચ)

ઉત્તર: તમે તમારા શિશ્ન પરની ત્વચા પાછી ખેંચવામાં તકલીફ અનુભવતા હો એમ લાગે છે. તમને બાળપણમાં એ કઈ રીતે કરવું તે શીખવાડયું હોત તો સારું થાત, કારણ કે ઉપલી ત્વચા પાછી ખેંચવી અને પછી શરીરના બીજા કોઈ પણ ભાગની માફક સાબુ તથા પાણીથી શિશ્ન ધોઈ નાખવું તે પુરુષના આરોગ્ય માટે મહત્ત્વનું છે.

મારું સૂચન છે કે તમે  શિશ્ન પર તેલ લગાડીને તેના પરની ત્વચા પાછી ખેંચવાની કોશિશ કરો. જો તમે થોડાક દિવસ આમ કરશો તો સંભોગ દરમિયાન પીડા નહીં થાય. તેનાથી સંભોગની ક્રિયા વધારે આરામદાયક લાગશે. તેમ છતાં જો પીડા ચાલુ રહે તો તમારા સર્જ્યનને મળવું જોઈએ અને ત્વચા કઢાવી નાખવી જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *