વડોદરા સામુહિક આપઘાત કેસમાં સોની પરિવારના વધુ એક સભ્યનું મોત, 4 દિવસની સારવાર બાદ અંતિમ શ્વાસ લીધા

ગુજરાતમાં અવાર-નવાર આપઘાતની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે થોડા દિવસ પહેલા વડોદરાના સમા વિસ્તારમાં એક પરિવારે સામૂહિક આપઘાત કરી લેતા આજુબાજુના સમગ્ર વિસ્તારમાં અરેરાટી…

ગુજરાતમાં અવાર-નવાર આપઘાતની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે થોડા દિવસ પહેલા વડોદરાના સમા વિસ્તારમાં એક પરિવારે સામૂહિક આપઘાત કરી લેતા આજુબાજુના સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. એક જ પરિવારના 6 સભ્યોએ એક સાથે સામૂહિક આપઘાતનો પ્રયાસ કરાયો હતો. જેમાં સદનસીબે 3 વ્યક્તિઓના કરૂણ મોત નિપજ્યા હતા, ત્યારે આજ રોજ વધુ એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. જ્યારે અન્ય 2 વ્યક્તિઓ સારવાર હેઠળ છે. સોની પરિવારે સામૂહિક આપઘાત કેસમાં સયાજી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃતક નરેન્દ્રભાઇ સોનીના પત્ની દિપ્તીબેન સોનીનું મૃત્યુ થયું છે. સામૂહિક આપઘાતમાં દિપ્તીબેને પતિ નરેન્દ્રભાઇ પુત્રી રીયા અને પૌત્ર પાર્થને ગુમાવ્યા હતા.

આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, વડોદરાના સમા વિસ્તારની સ્વાતિ સોસાયટીમાં આજે એક જ પરિવારના 6 લોકોએ સામૂહિક આપઘાતનો પ્રયાસ કરતા વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે. જાણવા મળી રહ્યું છે કે પરિવારમાં 6 સભ્યો હતો અને કોઈ અગમ્ય કારણોસર તેમને ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો છે. આ ઘટનામાં 3 વ્યક્તિઓના કરૂણ મોત થયા છે, જ્યારે 3 સારવાર હેઠળ હોસ્પિટલમાં ખસેડાયા છે.

અત્રે ઉલેખનીય છે કે, તાંત્રિક વિધિના ચક્કરમાં આવીને આપઘાત કર્યો હોવાનું સામે આવી રહ્યું છે. વડોદરાના સમા સ્પોર્ટસ્ કોમ્પ્લેક્ષની સામે આવેલી સ્વાતિ સોસાયટીમાં રહેતા સોની પરિવાર પાસેથી વડોદરા, અમદાવાદ અને રાજસ્થાનના પુષ્કરના 9 જ્યોતિષીએ 32.25 લાખ રૂપિયા વિધી, વાસ્તુદોષ અને જમીનમાંથી ધન કાઢી આપવાના બહાને પડાવી લીધા હતા. દેવામાંથી મુક્તિ મેળવવાની લાલચમાં જ્યોતિષીઓ પાસે વિધિ કરાવવા માટે સોની પરિવારના મોભી મકાન ગીરવે મૂકીને ફાઇનાન્સ કંપનીમાંથી લોન લીધી હતી. અમદાવાદના જ્યોતિષી ઘરમાં ખાડો ખોદી સોનાના સિક્કા ભરેલા તાંબાના બે કળશ કાઢી આપી પરિવારના મોભીને વિશ્વાસમાં લીધા હતા. ધન ભરેલા બીજા 16 કળશ કઢાવવા મોભીએ જ્યોતિષીને પ્રાઇવેટ ફાઇનાન્સ કંપનીમાંથી રૂપિયા 13.50 લાખ લોન લઇને આપ્યા હતા.

સામૂહિક આપઘાત કેસમાં બચી ગયેલા સોની પરિવારના ભાવિન સોનીએ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, સ્વાતી સોસાયટીમાં આવેલું મકાન રૂપિયા 40 લાખમાં વેચવા માટે અને એક સાથે દેવું ચૂકવવા માટે પિતા નરેન્દ્રભાઇ જ્યોતિષીના ચક્કરમાં આવી ગયા હતા. જેમાં વડોદરા, અમદાવાદ અને રાજસ્થાન પુષ્કરના જ્યોતિષી સહિત 9 જ્યોતિષીઓએ વિધી, વાસ્તુદોષ, ઘરમાં ખાડો ખોદીને દાટેલું ધન કાઢવા માટે રૂપિયા 32 લાખ પડાવ્યા હતા. જ્યોતિષીઓના ભરોસે રહેલા પિતાએ મકાન બાનાખત પેટે અશોકભાઇ મિસ્ત્રી પાસેથી લીધેલા રૂપિયા 23.50 લાખ વાયદા મુજબ પરત આપી શકે તેમ ન હોવાથી પિતાના કહેવાથી પરિવારે ઝેરી દવા ગટગટાવી લઇ આપઘાત કરી લેવાનું નક્કી કર્યું હતું.

જ્યોતિષે કહ્યું કે, તમારા ઘરમાં ગુપ્ત ધન દાટેલું છે. જે ખાડો ખોદીને કાઢવું પડશે
ભાવિન સોનીએ સમા પોલીસને આપેલા નિવેદનમાં જણાવ્યું હતું કે, વડોદરાના ગોત્રી કેનાલ પાસે રહેતા જ્યોતિષી હેમંત જોષી મકાન વેચવાની આપેલી જાહેરાત વાંચીને પિતાનો સંપર્ક કર્યો હતો, ત્યાર બાદ તે ઘરે આવ્યો હતો. ઘરે આવેલા જ્યોતિષી હેમંત જોષીએ ઘરમાં તપાસ કરીને જણાવ્યું કે, તમને વાસ્તુદોષ નડે છે અને તમારા ઘરમાં ગુપ્ત ધન દાટેલું છે. જે ખાડો ખોદીને કાઢવું પડશે. તે માટેની વિધિ માટે 35 હજાર રૂપિયા લીધા હતા.

ત્યાર બાદ હેમંત જોષીએ અમદાવાદના જ્યોતિષી સ્વારજ જોષીનો સંપર્ક કરાવ્યો હતો. સ્વરાજ જોષી પણ ઘરે આવ્યો હતો. તેણે રસોડાની એક ટાઇલ્સ હટાવી ખાડો ખોદી તેમાંથી બે તાંબાના કળશ બહાર કાઢ્યા હતા. જે પૈકી એક કળશમાંથી સોનાના સિક્કા અને બીજા કળશમાંથી હાડકા નીકળ્યા હતા. સોનાના સિક્કા ભરેલ કળશ તિજોરીમાં મૂકી દીધો. જ્યોતિષી સ્વરાજે રસોડામાં બીજા 16 કળશ દટાયેલા હોવાનું જણાવતા પરિવાર ખુશ થઇ ગયો હતો.

ધન ભરેલા કળશ કાઢવા 15 લાખની લોન લીધી
ધન ભરેલા 16 કળશ કાઢવા માટે રૂપિયા 13.50 લાખનો ખર્ચ થશે, તેમ જણાવતા મોભી નરેન્દ્રભાઇએ જના ફાઇનાન્સમાં મકાન ગીરવે મૂકી 15 લાખ રૂપિયાની લોન લીધી હતી. જે પૈકી રૂપિયા 8 લાખ આવાસ ફાઇનાન્સમાં ભરી દીધા હતા. બાકી વધેલા રૂપિયા 7 લાખ અને મકાન વેચાણના બાના પેટે મેળેલા રૂપિયા 7 લાખ મળીને કુલ રૂપિયા 14 લાખમાંથી રૂપિયા 13.50 લાખ જ્યોતિષી સ્વરાજને આપ્યા હતા. જે રકમ આપ્યા બાદ બીજા ત્રણ કળશ ભાડાના મકાનમાં ખાડો ખોદીને કાઢ્યા હતા.

ત્રણ કળશ પૈકી એક કળશમાંથી માટી, બીજા કળશમાંથી હાડકાં અને ત્રીજા કળશમાંથી બે કિલો ચાંદી નીકળી હતી. પહેલાં નીકળેલા સોનાના સિક્કા ભરેલા કળશમાંથી એક ચિઠ્ઠી લખી હતી કે, આ કળશ તળાવમાં પધરાવી દેવો. જેથી પિતા સોનાના સિક્કા ભરેલો કળશ પાણીમાં પધરાવી આવ્યા હતા. જ્યોતિષી સ્વરાજે બીજી વિધિ કરવા માટે બીજા રૂપિયા 9 લાખની માંગણી કરતા નરેન્દ્રભાઇએ બીજી વિધિ કરવાનો ઇન્કાર કરી દીધો હતો.

ઘરમાંથી સાડા ત્રણ ફૂટનો સાપ કાઢીને બતાવ્યો
દરમિયાન ઘરે જ બેસી રહેતા નરેન્દ્રભાઇ સોનીએ અખબારોમાં આવતી જ્યોતિષીની જાહેરાતો જોઇને અમદાવાદના પ્રહલાદ નામના જ્યોતિષીનો સંપર્ક કર્યો હતો. તેઓએ ઘરમાં વિધિ કરવા માટે 2 લાખ રૂપિયા લીધા હતા. જ્યોતિષી પ્રહલાદે તેઓના સાગરીત દિનેશને ઘરે મોકલ્યો હતો. દિનેશે ઘરમાંથી સાડા ત્રણ ફૂટનો સાપ કાઢીને બતાવ્યો હતો. જે સાપ દિનેશ પ્લાસ્ટિકના ડબામાં લઇને જતો રહ્યો હતો. બાદમાં જ્યોતિષી પ્રહલાદે પરિવારના મોભી નરેન્દ્રભાઇને જણાવ્યું કે, સાપના નિવારણ માટે રૂપિયા 7 લાખ જેટલો ખર્ચ થશે. જોકે, નરેન્દ્રભાઇ સાપની વિધિ કરવાનો ઇન્કાર કરી દીધો હતો.

અમદાવાદના જ્યોતિષે વિધિ માટે રૂપિયા 5 લાખ લીધા હતા
થોડા સમય બાદ નરેન્દ્રભાઇ સોની અમદાવાદ રાણીપ વિસ્તારના જ્યોતિષી સમીર જોષી પાસે ગયા હતા. તેને પણ ઘરમાં ધન દટાયેલું હોવાનું જણાવ્યું હતું અને તેની વિધિ માટે રૂપિયા 5 લાખ લીધા હતા. સમીર જોષી વિધિ માટે ઘરે આવ્યો હતો. અને ઘરમાંથી ચાર કળશ દાટેલા કાઢ્યા હતા. જે પૈકી એક કળશમાંથી ચાંદી નીકળી હતી અને બાકીના ત્રણ કળશમાંથી હાડકાં નીકળ્યા હતા. હાડકાં ભરેલા કળશ જ્યોતિષી લઇ ગયો હતો. એક કળશમાંથી નીકળેલી ચાંદી વડોદરાના માંડવી ખાતે આવેલા જિંજુવાડીયા જ્વેલર્સની ત્યાં વેચતા સોની પરિવારને રૂપિયા 1.50 લાખ મળ્યા હતા. જ્યોતિષી સમીરે બીજી વિધિ કરવા માટે બીજા રૂપિયા 8 લાખ માગતા સોની પરિવારે આપ્યા ન હતા.

રાજસ્થાન પુષ્કરના જ્યોતિષે 4 લાખ રૂપિયા પડાવ્યા
તે બાદ વર્ષ-2019માં નરેન્દ્રભાઇ રાજસ્થાન પુષ્કર દર્શન કરવા માટે ગયા હતા. જ્યાં એક જ્યોતિષી મળી જતાં તેઓને પોતાની આર્થિક સ્થિતી અંગે વાત કરી હતી. તે જ્યોતિષીએ વિધિ કરીને દેવામાંથી મુક્ત કરી દેવાની લાલચ આપી રૂપિયા 4 લાખ લીધા હતા. જોકે, આ જ્યોતિષી વિધિ કરવા વડોદરા આવે તે પહેલાં તેનું મોત નીપજ્યું હતું. આ ઉપરાંત નરેન્દ્રભાઇએ વડોદરાના પાણીગેટ આયુર્વેદીક ત્રણ રસ્તા પાસે સાહિલ વ્હોરા નામના જ્યોતિષીનો સંપર્ક કર્યો હતો. તેઓને વિધિ કરવા માટે રૂપિયા 3.50 લાખ આપ્યા હતા. સાહિલ વ્હોરા ઓગષ્ટ-2020માં ઘરે આવ્યો હતો. અને તેણે ઘરમાં ખાડો ખોદી 10 ચાંદીના સિક્કા તથા સન-1920ની સાલના ચલણી સિક્કાઓ કાઢીને આપ્યા હતા. જે સાહિલ વ્હોરા લઇ ગયો હતો.

અમદાવાદના એક જ્યોતિષે 4 લાખ રૂપિયા પડાવ્યા
આ ઉપરાંત અમદાવાદના જ્યોતિષી વિજય જોષીનો સંપર્ક કર્યો હતો. તેને પણ ઘરમાં આવી વિધી કરવાના નામે ટુકડે-ટુકડે રૂપિયા 4 લાખ પડાવ્યા હતા. જ્યારે તેના અન્ય એક સાગરીત અલ્કેશ જોષી પણ વિધિ કરવા માટે ઘરે આવ્યો હતો. અને રસોડામાં ખાડો ખોદ્યો હતો. પરંતુ, કંઇ મળી આવ્યું ન હતું. આમ જ્યોતિષીઓ 32.25 લાખ રૂપિયા પડાવી લેતા પરિવાર દેવાદાર બની ગયો હતો અને છેવટે સામૂહિક આપઘાત કરવાનો વારો આવ્યો હતો. જેમાં પરિવારના 3 સભ્યોના મોત થયા હતા અને 3 સભ્યો હાલ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે.

નાણાંની વ્યવસ્થા ન થતાં પરિવારે 3 માર્ચના રોજ સામૂહિક આપઘાત કરી લીધો હતો. પરિવારના મોભી નરેન્દ્રભાઇ સોનીએ 2 માર્ચેની રાત્રે પરિવારના સભ્યોને ભેગા કરીને 3 માર્ચના રોજ આપઘાત કરીને લેવાનું નક્કી કર્યું હતું. બપોરે 2 કલાકે નરેન્દ્રભાઇ સોનીએ દીકરી રીયા પાસે સુસાઇડ નોટ લખાવી હતી. તે બાદ પિતાએ પરિવારને જંતુનાશક દવા ભેળવેલ પેપ્સી અને મિરીન્ડા બધાને પીવડાવી દીધી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *