શરીર બહાર હતા આંતરડા, શરીરમાં અંદર સ્થાપિત કરીને વડોદરાના ડોક્ટરોએ કર્યો કમાલ

Published on Trishul News at 12:39 PM, Fri, 26 February 2021

Last modified on February 26th, 2021 at 12:39 PM

વડોદરાની સયાજી હોસ્પિટલ એ મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ છે અને માત્ર પૂર્વ કે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ જ નહિ પરંતુ છેક મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને મહારાષ્ટ્રથી આરોગ્ય સેવાના જરૂરતમંદોને અહી સારવાર આપવામાં આવે છે. આ હોસ્પિટલનો બાળ રોગ વિભાગ ડો.શીલા ઐયરના નેતૃત્વ હેઠળ કાર્યરત છે અને આ સમર્પિત ટીમ અધૂરા માસે જન્મેલા, નવજાતથી લઈને બાળ વય સુધીના બાળકોની જે સારવાર કરે છે, તે મેડિકલ મીરેકલથી ઓછી નથી. જોકે, તેઓ ચમત્કારનો કોઈ દાવો કર્યા વગર સમર્પિત પણે તેમનું આ કામ નિશ્વાર્થ ભાવે કરે છે. ખાસ કરીને અધૂરા માસે જન્મતા બાળકોના વિવિધ અંગો, અવયવોનો પૂરતો વિકાસ થયેલો ન હોવાને લીધે તબીબી મુશ્કેલીઓ સર્જાતી હોય છે.

વડોદરાની સયાજી હોસ્પિટલના ડો.શીલાબેને જણાવ્યું કે, હાલમાં જ વડોદરાથી લગભગ પોણા બસો કિલોમીટરના અંતરે અલીરાજપુરથી લગભગ 34 મહિનાની ગર્ભાવસ્થાએ જન્મેલી બાળકીને અહી લાવવામાં આવી હતી. જેને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી. 1750 ગ્રામ જેટલું ઓછું વજન ધરાવતી આ બાળકીના ફેફસાંનો યોગ્ય વિકાસ થયો ન હોવાથી તેને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી અને તેની સારવારની યોગ્ય સુવિધા અલીરાજપુરમાં ન હોવાથી મધ્ય પ્રદેશ આરોગ્ય તંત્ર દ્વારા આ બાળકીને સયાજી હોસ્પિટલમાં રિફર કરવામાં આવી હતી. અહી બાળ રોગ વિભાગની સમર્પિત ટીમે આ માસૂમ બાળકની તબીબી તકલીફોનો ઉકેલ મેળવી એને સિપેપ વેન્ટિલેટર પર રાખીને સરફેક્ટેન્ટ જેવી મોંઘી દવાઓ આપીને તેના સ્વાસ્થ્યને સ્થિરતા આપી છે. હાલના તબક્કે તેની જીવનની રક્ષા કરવામાં આવી છે અને સારવાર ચાલુ છે. શ્વાસની આવી તકલીફ સાથે આટલી લાંબી મુસાફરી કરીને તાજુ જન્મેલું બાળક અહી ખુબ જ  મુશ્કેલીથી લાવવામાં આવ્યું હતું એ પણ ચમત્કારથી ઓછુ નથી એવું ડોકટરનું કહેવું છે.

જન્મજાત ખામીઓ સાથે જન્મતા બાળકોની મુશ્કેલીઓ ખૂબ જ જટિલ હોય છે અને નાજુક, અપરિપકવ અંગો હોવાથી કોઈપણ પ્રોસિજર કરવી મુશ્કેલ હોય છે. આવો જ એક કિસ્સો એવો સામે આવ્યો છે જેમાં એક નવજાત બાળકના આંતરડાનો વિકાસ શરીરની બહાર થયો છે. તબીબી વિજ્ઞાન આ વિસંગતિને ગેસ્ટરો સ્કાયાશિશ જેવા અઘરા નામે ઓળખે છે. આ બાળકના શરીર બહાર વિકસેલા આંતરડાને ખૂબ જટિલ ઓપરેશન દ્વારા શરીરની અંદર મૂળ સ્થાને બેસાડીને તેની હાલત સુધારવામાં આવી છે અને શરીરના અંગોને યોગ્ય રીતે કાર્યરત કરવામાં આવ્યા છે. જેના પરિણામે બાળકની તબિયત સારી છે. આ ઉપરાંત બાળકના માતાપિતા અને પરિવારને મોટી રાહત મળી છે.

બીજું એક બાળક ડાયા ફ્રેગમેટિક હર્નીયાની મુશ્કેલી સાથે જન્મ્યું હતું. માના પેટમાં જ આંતરડા જેવા અંગોના અવ્યવસ્થિત વિકાસને લીધે આ બાળકના ઉદર પટલમાં ખામી સર્જાઈ હતી. જેનો તબીબી કુશળતા સાથે ઈલાજ કરીને તેને નવું જીવન આપવામાં આવ્યું છે. વધુ એક કિસ્સામાં એક બાળકને ભરૂચ જિલ્લાના નેત્રંગથી અહી લાવવામાં આવ્યું હતું. જેના શરીરમાં અન્નનળી અને શ્વાસનળી જોડાયેલા હતા. નાજુક શરીર પર જટિલ સર્જરી ખૂબ કુશળતા પૂર્વક કરવામાં આવી હતી. આ બંને વાયટલ ઓર્ગન્સને ફરીવાર સ્થાપિત કરીને આ બાળકને નવું જીવન આપવામાં આવ્યું છે તો જન્મ વખતે જ મોટી ગાંઠ, ઓવેરિયન સિસ્ટ ધરાવતા બાળકને જરૂરી ઓપરેશન દ્વારા સાજુ કરવામાં આવ્યું છે.

ડો.શીલાબેન કહે છે કે, આવા અધૂરા મહીને જન્મેલા કે નવજાત બાળકોની શારીરિક અને અવયવ વિષયક ગૂંચવણો તબીબી જ્ઞાનની કસોટી કરનારી હોય છે. પરંતુ અમારા સમર્પિત બાળરોગ ડોકટરો, નર્સિંગ સ્ટાફ જરાય મૂંઝાયા વગર પોતાના જ્ઞાન અને અનુભવને કારણે કુશળતાનો વિનિયોગ કરીને તેમને નવું જીવન આપવામાં જરાય અચકાતા નથી. બાળ સર્જરીના નિષ્ણાત ડોકટરો, એનેસ્થેટિસ્ટ અને સયાજી હોસ્પિટલની સર્જીકલ ટીમનું નાના બાળકોની નાજુક અને જટિલ શસ્ત્રક્રિયાઓ ઘણું સંનિષ્ઠ અને સમર્પિત યોગદાન છે. એવી લાગણી વ્યક્ત કરતાં તેમણે જણાવ્યું કે, હકીકતમાં બાળ સારવારમાં ઘણી તબીબી શાખાઓના સહયોગથી સમન્વિત કામગીરી અનિવાર્ય છે. કોરોનાના લોકડાઉનમાં પણ આ વિભાગની કામગીરી એટલી જ ધમધમતી રહી હતી.

આ વિભાગ સાથે સંકળાયેલા એકમોમાં નવજાત બાળકો ગવના આંખના પડદાની, શ્રવણ શક્તિના વિકાસની અને અન્ય જરૂરી તપાસો કરવામાં આવે છે. જે તેમને ખૂબ યોગ્ય સમયે જરૂરી સારવાર આપી આજીવન ખામીમાંથી મુક્ત કરે છે. સરકારી દવાખાનાને સાધન, સુવિધા અને સ્ટાફની મર્યાદા હોય છે. આ તમામની વચ્ચે અહી શક્ય તેટલી ઉત્તમ સારવાર લગભગ મુલ્ય વગર આપવામાં આવે છે.

Be the first to comment on "શરીર બહાર હતા આંતરડા, શરીરમાં અંદર સ્થાપિત કરીને વડોદરાના ડોક્ટરોએ કર્યો કમાલ"

Leave a comment

Your email address will not be published.


*