ગુજરાત સરકારની ‘ગુડ સમરિટન પુરસ્કાર યોજના’: માર્ગ અકસ્માતમાં ઘાયલને બચાવશો તો મળશે આટલા રૂપિયા

Road Accident: ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં વિવિધ જિલ્લાઓમાં ગુડ સમરિટનની ઉમદા કામગીરી કરતા કુલ 43 નાગરિકોને રૂ. 2 લાખના રોકડ ઇનામ અને પ્રમાણપત્ર (Road Accident) આપી સન્માનિત કરવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે, રાજ્યમાં સર્જાતા માર્ગ અકસ્માતનો ભોગ બનેલા વ્યક્તિઓને મદદ કરનાર નાગરિકોને સન્માનિત કરવા ‘ગુડ સમરિટન પુરસ્કાર’ યોજના કાર્યરત છે.

માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવનારના ચિંતાજનક આંકડા
દેશમાં દર વર્ષે મોટી સંખ્યામાં માર્ગ અકસ્માતો થાય છે, જેમાં અનેક લોકો પોતાનું જીવન ગુમાવે છે. છેલ્લા 10 વર્ષમાં અંદાજે 15 લાખથી વધુ લોકો માર્ગ અકસ્માતોના ભોગ બન્યા છે. પોલીસ અને હોસ્પિટલ ખાતે પૂછપરછ તેમજ કાનૂની પ્રક્રિયાના ભયના કારણે દેશના અંદાજિત 75 ટકા લોકો રસ્તા પર અકસ્માત પીડિતને મદદ કરવાની હિંમત કરતા નથી. ભારતના કાનૂન આયોગના અહેવાલ મુજબ 40 ટકા મૃત્યુ માત્ર સમયસર સારવાર ન મળવાના કારણે થયા છે. જો માર્ગ અકસ્માતનો ભોગ બનેલા વ્યક્તિને સમયસર હોસ્પિટલ લઈ જવામાં આવે તો અનેક લોકોના જીવ બચાવી શકાય છે.

‘ગુડ સમરિટન પુરસ્કાર’
ગુજરાતમાં માર્ગ અકસ્માતનો ભોગ બનેલા વ્યક્તિઓને મદદ કરવા, તેમનું જીવન બચાવવા તેમજ અન્યને પ્રેરણા આપવા માટે નાગરિકોને સન્માનિત કરતી યોજના એટલે ‘ગુડ સમરિટન પુરસ્કાર’ યોજના. આ યોજના અંતર્ગત માર્ગ અક્સ્માતમાં ઘાયલ વ્યક્તિને ગોલ્ડન અવરમાં મદદરૂપ બનનારને રૂ. 5,000 રોકડ પુરસ્કાર અને પ્રમાણપત્ર આપવામાં આવે છે.

ગોલ્ડન અવર એટલે શું ?
માર્ગ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ વ્યક્તિઓને ગોલ્ડન અવરમાં હોસ્પિટલ કે ટ્રોમા–કેર સેન્ટરમાં પહોંચાડનાર વ્યક્તિને ‘ગુડ સમરિટન’ તરીકે ઓળખવામાં આવે છે. જેમાં ગોલ્ડન અવર એટલે કે માર્ગ અકસ્માત પછીનો પહેલો એક કલાક કે જેમાં તાત્કાલિક તબીબી સારવાર આપવામાં આવે તો ઘાયલ વ્યક્તિનું મૃત્યુ મહદઅંશે ટાળી શકાય છે.

જીવલેણ કે ફેટલ અકસ્માત એટલે શું ?
માર્ગ અકસ્માતમાં ઘાયલ વ્યક્તિને સારવાર દરમિયાન મોટી સર્જરી કરવી પડે, મગજની ઈજા હોય, ઓછામાં ઓછા ત્રણ દિવસ માટે હોસ્પિટલમાં દાખલ થવું પડે, કરોડરજ્જુમાં ગંભીર ઈજા કે સલામત સારવાર દરમિયાન મૃત્યુ જેવી કોઈપણ પરિસ્થિતિ ઉભી થાય તેને ફેટલ અકસ્માત કહેવામાં આવે છે. જે માટે હોસ્પિટલ દ્વારા તે અંગેનું જીવલેણ અકસ્માતનું પ્રમાણપત્ર આપવામાં આવે છે.

શું છે “ગુડ સમરિટન પુરસ્કાર” યોજના ?
કેન્દ્ર સરકારના‌ મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવેઝ-MoRTH વિભાગ દ્વારા ગુડ સમરિટનને ઇનામ આપવાની યોજના વર્ષ 2021 થી અમલમાં મૂકવામાં આવી છે.