ખીચડી સરકારમાં નિતીશ અને નાયડુના મુસ્લિમ પ્રેમને PM મોદી કેમ સહન કરશે?

લોકસભાની ચૂંટણી પૂરી થઇ ગઈ છે અને તેના પરિણામો બાદ દિલ્હીમાં હલચલ વધી ગઈ છે. નરેન્દ્ર મોદીના નેતૃત્વ ત્રીજી વખત એનડીએ સરકાર બનવા જઈ રહી છે, જો કે બે વખત બહુમતીના દમ પર સરકાર બનાવનાર નરેન્દ્ર મોદીને ત્રીજીવાર સરકાર બનવવામાં મુશ્કેલી ઉભી થઇ છે. નરેન્દ્ર મોદીની સાથે હવે સત્તાની ચાવી (PM Narendra Modi Oath) ચંદ્રબાબુ નાયડુની ટીડીપી અને નીતિશ કુમારની જેડીયુના હાથમાં આવી ગઈ છે. જેના પરથી લાગી રહ્યું છે કે આગળ જતા સરકારના વલણો ઘણા ફેરફાર જોવા મળશે. કારણ કે મોદીના કેટલાક એજન્ડા પર ટીડીપી અને જેડીયુ સહમત નથી. ત્યારે હવે પ્રશ્ન એ થાય છે કે નરેન્દ્ર મોદીના એજેન્ડાનું શું?

નરેન્દ્ર મોદીએ તાબડતોબ રાજીનામું આપી દીધું છે અને 8 જૂને ફરી વડાપ્રધાન તરીકે શપથ લેશે.  ત્યારે હવે ચર્ચાય રહ્યું છે કે મોદી હવે સરકાર બનાવવાની ઉતાવળ કરી રહ્યા છે. જેનાં ત્રણ કારણ છે. એક તો એ કે દેશમાં મોદી સરકાર બની રહી છે કે નહીં, એ ચર્ચા પર ફુલસ્ટોપ લાગી જાય. બીજું, વિપક્ષ તોડજોડના પ્રયાસો કરી શકે નહીં અને ત્રીજું, નીતિશ કુમાર અને ચંદ્રાબાબુ નાયડુનાં મન બદલાઈ ન જાય. આ બધા વચ્ચે નાયડુ અને નીતિશ વિશલિસ્ટ લઈને દિલ્હી પહોંચ્યા છે. નાયડુએ 6 મંત્રાલય અને નીતિશે 3 મંત્રાલય માગી લીધાં છે. સ્પીકરપદની ડિમાન્ડ થઈ છે. એક બાજુ એનડીએ અને બીજી બાજુ ઈન્ડિયા ગઠબંધનની બેઠકોનો ધમધમાટ ચાલી રહ્યો છે. આવનારા બે-ત્રણ દિવસમાં ભારતીય રાજનીતિમાં નવી હલચલ જોવા મળશે.

ગઠબંધનની કિંમત ભાજપે ચૂકવી પડશે:
ત્યારે હવે મોદી માટે ગઠબંધનને લઈને ચાલવું ઘણું મુશ્કેલ બનશે. કારણ કે ચંદ્રબાબુ નાયડુ અને નીતીશ કુમાર બને ગઠબંધન યુગના દિગ્ગજ નેતા છે. ગઠબંધનનો લાભ લઇ કેવી રીતે પોતાનું કામ કાઢવી લેવું એમાં બનેવ નેતા માહિર છે, ત્યારે હવે આ તરફ જેડીયુએ પોતાની ડિમાન્ડનો સંકેત આપી દીધો છે, પણ ટીડીપી હજી મૌન છે. જેડીયુના વરિષ્ઠ નેતા કે.સી. ત્યાગી કહી ચૂક્યા છે કે જો અમને આમંત્રણ મળશે તો સરકાર સાથે જોડાણ અંગે વિચારીશું. અમને આશા છે કે નવી એનડીએ સરકાર બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો આપશે અને જ્ઞાતિ આધારિત વસતિગણતરી કરવા અંગે વિચાર કરશે. જોકે ત્યાગીએ એ સ્પષ્ટ કર્યું છે કે આ અમારી શરત નથી. અમે શરત વગર એનડીએને સમર્થન કર્યું છે. જ્યાં સુધી નાયડુનો સવાલ છે હજી એ સ્પષ્ટ થયું નથી કે તેઓ શું ડિમાન્ડ કરી શકે છે. ટીડીપી સૂત્રોએ સંકેત આપ્યો છે કે પાર્ટી કેન્દ્રમાં મહત્ત્વનાં મંત્રાલયોની માગણી કરી શકે છે. ત્યારે ચર્ચા થઇ રહી છે કે બને મહારથીઓને ચાવવા માટે ભાજપે મોટી કિંમત ચૂકવી પડી શકે છે.

નીતિશ-નાયડુ UCC લાગુ કરવા દેશે નહીં ત્યારે હવે નરેન્દ્ર મોદીના એજેન્ડાનું શું?

1. વન નેશન વન ઇલેક્શનઃ નીતિશનું સમર્થન, પરંતુ નાયડુનું સ્ટેન્ડ સ્પષ્ટ નથી
ભાજપનો એજેન્ડા છે વન નેશન વન ઈલેકશન, પરંતુ હજુ સુધી ગઠબંધન નેતાઓએ ખુલ્લેઆમ ભાજપની વિચારધારાને સમર્થન કર્યું નથી. આ વિચારધારાને સમર્થન કરતી47 રાજકીય પક્ષોમાંથી 32 તૈયાર છે. સમિતિ દ્વારા તેનો રીપોર્ટ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને સોંપી દીધો છે.નીતીશ કુમારે અત્યાર સુધીમાં વન નેશન વન ઈલેક્શનનો ખુલ્લેઆમ વિરોધ કે સમર્થન કર્યું નથી. સપ્ટેમ્બર 2023માં જ્યારે વન નેશન વન ઈલેક્શન અંગે ચર્ચા થઈ ત્યારે નીતિશ કુમાર ઈન્ડિયા બ્લોકનો ભાગ હતા. તેમણે કહ્યું હતું કે એક દેશ, એક ચૂંટણીનો ખ્યાલ જૂનો છે. આવું પહેલા થતું હતું.

જો કે એનડીએ સાથે આવ્યા બાદ પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના રિપોર્ટમાં જેડીયુએ એક દેશ એક ચૂંટણીના મુદ્દાને સમર્થન આપ્યું હતું. ચંદ્રબાબુ નાયડુએ વન નેશન વન ઈલેક્શનના મુદ્દે હજુ સુધી પોતાનું વલણ સ્પષ્ટ કર્યું નથી. વન નેશન વન ઈલેક્શનને લઈને રચાયેલી કમિટીના સૂચનોનો કોઈ જવાબ ન આપનાર પાર્ટીઓમાં TDP પણ સામેલ છે.

2. યુનિફોર્મ સિવિલ કોડનો અમલનો સખત વિરોધી છે જેડીયુ, કોઈપણ સંજોગોમાં લાગુ થવા દેવાશે નહીં
હાલમાં ભાજપ સરકાર UCCને અમલ કરવા માટે સૌથી આગળ હતી. કારણ કે સમગ્ર દેશમાં સમાન નાગરિક સંહિતાનો અમલ હંમેશા ભાજપના મુખ્ય એજન્ડામાં સામેલ છે. આ મુદ્દાને લઈને ભાજપની જૂની પાર્ટી જનસંઘના સંસ્થાપક શ્યામા પ્રસાદ મુખર્જીએ નેહરુ કેબિનેટમાંથી રાજીનામું આપી દીધું હતું. તમને જણાવી દઈએ કે ભાજપ હંમેશા કહે છે કે તે દેશમાં સમાન નાગરિક સંહિતા લાગુ કરશે. મોદી સરકાર બન્યા બાદ પણ આ મુદ્દો ગૃહમાં ઘણી વખત ઉઠાવવામાં આવ્યો છે. ભાજપના સાંસદો આ અંગે ખાનગી બિલ પણ લાવ્યા છે.

28 જૂન, 2023ના રોજ પીએમ મોદીએ કહ્યું હતું કે ભારતને યુસીસીની જરૂર છે, કારણ કે દેશ “વિવિધ સમુદાયો માટે અલગ કાયદા” ની બેવડી સિસ્ટમ સાથે ચાલી શકે નહીં. આવી જ રીતે  ટ્રિપલ તલાકના મામલામાં પણ ઘણા મુસ્લિમો કહે છે કે આ તેમનો અંગત મામલો છે જેમાં સરકારે દખલ કરી છે.

જો કે જેડીયુ નેતા નીતિશ કુમાર હંમેશા સમાન નાગરિક સંહિતાના વિરોધમાં રહ્યા છે. જુલાઈ 2023માં તેમણે કહ્યું હતું કે તે કોઈપણ કિંમતે બિહારમાં UCC લાગુ કરવા દેશે નહીં. અગાઉ 2017માં નીતીશ કુમારે પણ કેન્દ્ર સરકારને પત્ર લખ્યો હતો કે UCC લાગુ કરવામાં ન આવે.

UCC અંગે ટીડીપીનું વલણ 

જો કે એમાં કોઈ આશ્ચર્યની વાત નથી કે જે પાર્ટીઓ પહેલા મોદી સરકારનો વિરોધ કરતી હવે એજ પાર્ટીઓ ગઠબંધન કરી સરકાર બનાવવા જઈ રહી છે. UCC મામલે જેડીયુ જેવું જ વલણ ટીડીપીનું છે. ગયા વર્ષે જુલાઈમાં જ્યારે દેશમાં UCCની ચર્ચા થઈ હતી, ત્યારે મુસ્લિમ સમુદાયના કેટલાક લોકો ચંદ્રબાબુ નાયડુને મળ્યા હતા. જે બાદ નાયડુએ કહ્યું હતું કે તેઓ હંમેશા મુસ્લિમોના હિતોની રક્ષા માટે તેમની સાથે ઉભા રહેશે. તેમની પાર્ટી મુસ્લિમોના હિતોની વિરુદ્ધ કોઈ પગલું નહીં ભરે.નીતીશ કુમાર અને નાયડુના સ્ટેન્ડથી સ્પષ્ટ છે કે મોદી સરકાર માટે UCC લાગુ કરવું ઘણું મુશ્કેલ હશે. આ બંને પક્ષો આ મુદ્દે સરકારથી અલગ થઈ શકે છે. તેથી, મોદી સરકાર તેના એજન્ડાને આગળ વધારવાનો ભાગ્યે જ પ્રયાસ કરશે.

3. પ્લેસ ઓફ વર્શિપ એક્ટમાં ફેરફાર
મોદી સરકારનો અન્ય એક એજન્ડો છે પ્લેસ ઓફ વર્શિપ એક્ટમાં ફેરફાર. હકીકતમાં 1991માં કોંગ્રેસની નરસિમ્હા રાવ સરકાર પ્લેસ ઓફ વર્શીપ એક્ટ લાવી હતી. આ અંતર્ગત 15 ઓગસ્ટ, 1947ના રોજ અસ્તિત્વમાં આવેલા કોઈપણ ધાર્મિક સ્થળને અન્ય ધર્મના પૂજા સ્થળમાં બદલી શકાશે નહીં. જો કે નિષ્ણાતો માને છે કે કાશી અને મથુરામાં વિવાદિત સ્થળો પર મંદિરો બનાવવા માટે આ કાયદામાં ફેરફાર કરવો અથવા તેને નાબૂદ કરવો જરૂરી છે. તેથી આ મુદ્દે તાજેતરના વર્ષોમાં ભાજપના વરિષ્ઠ નેતાઓ કાશી અને મથુરામાં વિવાદિત સ્થળો પર મંદિરો બાંધવાથી દૂર રહ્યા છે. ગયા મહિને એક ઈન્ટરવ્યૂમાં બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાએ કહ્યું હતું કે હાલમાં કાશી અને મથુરામાં વિવાદિત સ્થળો પર મંદિર બનાવવાની કોઈ યોજના નથી.

આ વખતે ભાજપને એકલા હાથે બહુમતી મળી નથી. તેના સાથી પક્ષો ખાસ કરીને ટીડીપી, જેડીયુ અને એલજેપી (રામ વિલાસ) આ મુદ્દે ભાજપને સમર્થન નહીં આપે. આવી સ્થિતિમાં મોદી સરકાર આ વખતે આ એજન્ડા નહીં લાવે તે નિશ્ચિત છે.