રાજકોટ અગ્નિકાંડના આરોપી મનસુખ સાગઠિયાની ઓફીસમાંથી મળ્યો ખજાનો, રોકડ સહિત 10.55 કરોડની બેનામી સંપત્તિ જપ્ત

Mansukh Sagathia Rajkot: રાજકોટ મહાનગર પાલિકાના તત્કાલીન ટીપીઓ અને TRP ગેમ ઝોન અગ્નિકાંડના આરોપી મનસુખ સાગઠિયાની ઓફિસ ખાતે સીલ ખોલી સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું. જ્યાંથી 15 કરોડ રૂપિયાનું 22 કિલો સોનું, 2 લાખ રૂપિયાની અઢી કિલો ચાંદી, 8.50 લાખની ડાયમંડ જ્વેલરી, 3,05,33,500 રોકડ રકમ, જુદા જુદા દેશોની ચલણી નોટો(Mansukh Sagathia Rajkot) જેની ભારતીય કિંમત 1,82,000 રૂપિયા, સોનાના પટ્ટાવાળી 2 ઘડિયાળ તથા અન્ય 6 કિંમતી ઘડિયાળ કિંમત આશરે 1,03,100 રૂપિયા થાય છે. આ તમામ વસ્તુઓ કબ્જે કરી મનસુખ સાગઠિયાની એસીબી દ્વારા ધરપકડ કરવામાં આવી છે.

મળતી માહિત અનુસાર એસીબીએ ગઈકાલે મનસુખ સાગઠિયાનો જેલમાંથી કબ્જો મેળવ્યો હતો અને ત્યારે બાદ  તેની ઓફિસની તપાસ કરવામાં આવી હતી. આ દરમિયાન સોના-ચાંદીના દાગીના તથા રોકડ રકમ સહિત કુલ રૂ.18 કરોડથી વધુની અપ્રમાણસર મિલકત મળી આવતા એસીબી દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

લાંચ રૂશ્વત વિરુધી બ્યુરો દ્વારા મનસુખ સાગઠિયાની પ્રાથમિક તપાસ દરમિયાન 10.55 કરોડથી વધુની અપ્રમાણસર મિલકતનો ગુનો રાજકોટ શહેર એસીબી પોલીસ સ્ટેશન ખાતે ભ્ર.નિ.અધિ.1988 (સુધારા-2018)ની કલમ 13(1)(બી), 13(2) મુજબનો ગુનો તા.19.6.2024ના રોજ સરકાર તરફે દાખલ થયો હતો.

ત્યારે આ ગુનાની તપાસમાં આરોપીની મધ્યસ્થ જેલ રાજકોટથી કબ્જો મેળવી આરોપીની ગઈકાલે 7.50 વાગ્યે અટકાયત કરી હતી. એસીબીએ રાજકોટ ખાતે 150 ફૂટ રિંગ રોડ ઉપર આવેલ ટ્વીન સ્ટાર ટાવરના નોર્થ બ્લોકમાં ઓફિસ નં. 901ની ઓફિસને સીલ કરી હતી. જો કે આગળની તપાસ માટે એકમના અધિકારીઓ તથા ક્રાઈમ બ્રાન્ચના અધિકારી સાથે પંચો રૂબરૂ તપાસ કરતા નીચે મુજબ સોના, ચાંદીના દાગીના તથા રોકડ ચલણી નોટો મળી આવી હતી.

તમને જણાવી દઈએ કે રાજકોટ એસીબીમાં મહાનગરપાલિકાના ક્લાસ વન અધિકારી તત્કાલીન ટીપીઓ મનસુખ સાગઠિયા વિરુદ્ધ અપ્રમાણસર મિલકત અંગે ફરિયાદ નોંધાઈ હતી. જેની તપાસમાં ઓફિસમાં સીલ ખોલી સર્ચ કરવામાં આવતા 5 કરોડની રોકડ રકમ તેમજ કરોડોની કિંમતનું સોનું મળી આવ્યું છે. એસીબી દ્વારા ઓફિસ ખાતેથી 3 જેટલાં બોક્સમાં રૂપિયા, સોનું, એક મોટી તિજોરી, સોનાના દાગીના, પ્રિન્ટર સહિત અનેક દસ્તાવેજો કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. ત્યારે સાગઠિયાની તપાસમાં શું નવા ખુલાસા થશે તે જોવું મહત્ત્વનું રહેશે.