ધડામ દઈને ગયો ભ્રષ્ટાચારનો પૂલ: કરોડોના ખર્ચે તૈયાર થયેલો બ્રિજ તાશના પત્તાની જેમ ધરાશાયી

Bihar Bridge Collapse: બિહારમાં એક બાદ એક પુલ તૂટવાની ઘટનાઓ બની રહી છે જે તંત્રની કામગીરી પર ઘણા સવાલો ઉભી કરી છે. પહેલા અરરિયા ત્યાર બાદ સિવાન બાદ આજે મોતિહારીમાં નિર્માણાધીન પુલ પણ તૂટી પડ્યો હતો. બિહારમાં એક અઠવાડિયામાં આ ત્રીજો પુલ છે જે ચાલુ થયા પહેલા જ તૂટી પડ્યો છે. આ ઘટનામાં જિલ્લાના ઘોડાસાહન બ્લોક વિસ્તારના અમવાથી ચૈનપુર જવાના(Bihar Bridge Collapse) માર્ગ પર બનેલો પુલ ધરાશાયી થયો છે, જોકે કોઈ જાનહાની થઈ નથી.

એવું કહેવાય છે કે ધીરેન્દ્ર કન્સ્ટ્રક્શન દ્વારા લગભગ 1.5 કરોડ રૂપિયાના ખર્ચે આ બ્રિજ બનાવવામાં આવી રહ્યો હતો, જે ચાલુ થાય તે પહેલા જ તૂટી પડ્યો હતો. પુલ ધરાશાયી થયા બાદ હવે લોકો વિવિધ આક્ષેપો કરી રહ્યા છે તો બીજી તરફ સરકારની પણ બદનામી થઈ રહી છે. એક બાદ એક પુલ તૂટવાની ઘટનાથી લોકો ભયભીત બન્યા છે, તેમજ તંત્રની કામગીરી સામે પણ પ્રશ્ન કરી રહ્યા છે.

મળતી માહિતી મુજબ, અરરિયામાં તૂટી પડેલા પુલની જેમ મોતિહારીમાં જે બ્રિજ તૂટી પડ્યો હતો તે પણ નિર્માણાધીન હતો. પુલનું મોટાભાગનું કામ પૂર્ણ થઈ ગયું હતું, પરંતુ રવિવારે પુલ ધરાશાયી થઈ ગયો હતો. અરરિયાના ઘોરસાહનમાં તૂટી પડેલો અંડર કન્સ્ટ્રક્શન બ્રિજ પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ બનાવવામાં આવી રહ્યો હતો અને મોતિહારીમાં પણ તૂટી પડ્યો હતો તે અંડર કન્સ્ટ્રક્શન બ્રિજ ધીરેન્દ્ર કન્સ્ટ્રક્શન પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા બનાવવામાં આવી રહ્યો હતો.

પહેલા અરરિયા, પછી સિવાન અને આજે મોતિહારીમાં પુલ તૂટી પડ્યો
અરરિયાના સિક્તી વિસ્તારમાં બકરા નદી પર બનેલો પુલ તેના ઉદ્ઘાટન પહેલા જ તૂટી ગયો હતો. તમને જણાવી દઈએ કે 7 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે બનેલા આ પુલનું નિર્માણ કાર્ય લગભગ પૂર્ણ થઈ ગયું હતું. અગાઉના પુલનો એપ્રોચ કપાયા બાદ આ પુલ બનાવવામાં આવ્યો હતો. પરંતુ આ પુલ બનાવતાની સાથે જ તૂટી પડ્યો  હતો.

અરરિયામાં પુલ તૂટી પડ્યા બાદ 22 જૂન શનિવારના રોજ સિવાન જિલ્લાના મહારાજગંજના પટેધા ગામમાં સ્થિત નહેર પર બનેલો પુલ અચાનક તૂટી પડ્યો હતો, જેના કારણે આસપાસના ડઝનેક ગામોનો સંપર્ક તૂટી ગયો હતો. કહેવામાં આવી રહ્યું છે કે આ પુલ ઘણો જૂનો હતો અને માટીના ધોવાણને કારણે તૂટી પડ્યો હતો.