જંબુસરમાં માછીમારોની જાળમાં સ્ફટિક શિવલિંગ: શંખ- નાની મૂર્તિઓ અને ચાંદીનો શેષનાગ હોવાનો દાવો, દર્શન કરવા લોકોની ભીડ ઊમટી; જુઓ વિડીયો

Crystal Shivling in Jambusar: દક્ષિણ ગુજરાતનું સોમનાથ ગણાતા કાવી-કંબોઈ સ્થિત સ્તંભેશ્વર તીર્થ સ્થાનથી થોડેક જ દૂર દરિયામાં ધનકા તીર્થ અખાત બંદરેથી માછીમારોને અઢી ફૂટનું તરતું સ્ફટિકનું શિવલિંગ મળી આવતા આશ્ચર્ય સર્જાયું છે.આ શિવલિંગને(Crystal Shivling in Jambusar) જોવા મોટી સંખ્યામાં ભક્તો આવી રહ્યાં છે.

અનોખુ શિવલિંગ મળી આવ્યું
ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કાવી ગામના માછીમારોની જાળમાં અઢી ફૂટની ઊંચાઈ અને આશરે 100 કિલોથી વધુ વજન ધરાવતું સ્ફટિકનું બનેલું શિવલિંગ આવતાં આશ્ચર્ય ફેલાયું છે. બુધવારે જંબુસરના કાવી ગામેથી દરિયામાં માછીમારી પકડવા ગયેલા માછીમારોની જાળમાં શિવલિંગ ફસાઈ ગયું હતું, પરંતુ એ ઘણું વજનદાર હોવાથી માછીમારોએ ભારે જહેમતથી શિવલિંગને પોતાની બોટમાં મૂકીને કાવી દરિયાકિનારે લાવ્યા હતા, જેની જાણ ગ્રામજનોને થતાં જ દરિયાકાંઠે શિવલિંગને નિહાળવા મોટી સંખ્યામાં લોકો ઊમટી પડ્યા હતા.જંબુસર તાલુકાના કાવી ગામના માછીમારીનો વ્યવસાય કરતા કાળીદાસ વાઘેલા, મંગળ કાળીદાસ ફકીરા સહિત અન્ય 12 જેટલા માછીમારો છગનભાઈ વાઘેલાની બોટ લઈને દરિયામા ધનકા તીર્થ પાસે તેમણે બાંધેલી જાળમાંથી મચ્છી કાઢવા માટે ગયા હતા. ત્યારે આ સમયે તેમની જાળમાં શિવલિંગ આકારનું કંઈક ફસાઈ ગયું હતું.

દરિયાના પાણીમાં તરતુ શિવલિંગ જોઈ માછીમારો ચોંકી ઉઠ્યા
માછીમારોની જાળમાં શિવલિંગ આકારનું કંઇક ફસાઈ જતાં માછીમાર ભાઈઓએ એને ઊંચકવાનો પ્રયત્ન કરતાં એ ઘણું જ વજનદાર હોવાથી તેમનાથી ઊચકાતું નહોતું. જેથી માછીમારોએ અન્ય બોટના માછીમારોની મદદ મેળવી 10થી 12 વ્યક્તિઓએ ભેગા મળી એને ઊંચકી બોટમાં ચઢાવ્યું હતું અને માછીમારો ભારે જહેમત બાદ એને કાવીના દરિયાકિનારે લાવ્યા હતા.દરિયાકિનારે લાવ્યા બાદ માછીમારોએ જાળમાંથી બહાર કાઢી સાફ કરીને જોતાં એ સ્ફટિકનું શિવલિંગ અને એમાં શંખ, નાની મૂર્તિઓ અને ચાંદીનો શેષનાગ હોવાનું જણાઈ આવ્યું હતું. આ અંગેની વાત ગામમાં વાયુવેગે પ્રસરી જતાં ગ્રામજનોનાં ટોળેટોળાં શિવલિંગને જોવા ઊમટી પડ્યાં હતાં. આ અંગે માછીમારોને કાવીના પીએસઆઈ વૈશાલી આહીરને જાણ કરી હતી.

ખાસ શિવલિંગમાં શેષ નાગ, શંખ સહિત દ્રશ્યમાન
લોકોએ શુધ્ધ પાણીથી શિવલિંગને અભિષેક કરી જોતાં તેમાં શેષ નાગ, શંખ, મુર્તિ દેખાઈ આવે છે. અનોખું શિવલિંગ જોતાં જ શિવ ભક્તોએ હર હર મહાદેવના નારા લગાવ્યા હતા. આ અઢી ફૂટનું શિવલિંગ સ્ફટિક પથ્થરમાંથી બન્યું હોવાનું પણ જાણવા મળ્યું છે.

પૌરાણિક શિવલિંગ મળી આવતા માછીમારોમાં અનેરી ખુશી
માછીમારોના જણાવ્યા અનુસાર આ શિવલિંગ ઘણા વર્ષો પૌરાણિક માનવામાં આવી રહ્યું છે. જો કે હજી સુધી જાણી શકાયું નથી કે, આ શિવલિંગ કેટલા વર્ષ પૌરાણિક છે, તેનું તથ્ય આવ્યું નથી. તો તેઓ આ શિવલિંગના બનાવેલા વીડિયોને પણ લોકો સુધી શેર કરવાની અપીલ કરી રહ્યા છે. માછીમારોમાં શિવલિંગને લઈને અનેરી ખુશી જોવા મળી રહી છે.