સુરતમાં ખેડૂતોને પૂછ્યા વગર પાવર લાઈન નખાતી હોવાનો આક્ષેપ, જાન દેગે જમીન નહિં જેવા નારા લગાવી કરાયો વિરોધ

Farmers Protested: સુરતના કામરેજના વલથાણ ખાતે ખેડૂતો પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા કંપની સામે વિરોધ કરી રહ્યો છે. ખેડૂતોને ધાકધમકી આપી અધિકારીઓ દ્વારા બળજબરી પૂર્વક ૭૬૫ KV ની વીજ લાઈન ઊભી કરવાના પ્રયત્નો કરવામાં આવતા જીલ્લાના 5 તાલુકાના ખડૂતો વિરોધ(Farmers Protested) કરી રહ્યા છે. ખેડૂતો રેલી સ્વરૂપે સુરત કલેકટર કચેરી પહોંચી પાવર ગ્રીડ વીજ લાઈન અંગે રજૂઆત કરી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે સુરતમાં પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા કંપની દ્વારા 765 kvની એક નવી વીજ લાઈન નાખવાના હોવાની માહિતી સામે આવી છે.  આ નવી વીજ લાઈન નાખવાથી પર્યાવરણ તેમજ ખેતીને નુકસાન થવાના ડરથી ખેડૂતોઓ પાવર ગ્રીડ સામે વિરોધ કરી રહ્યા છે. આ સાથે જ ગ્રામ ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે કે જમીનમાંથી વીજ લાઈન નાખવાને લઈને કંપની દ્વારા પૂછવામાં આવ્યું નથી. તેથી પોતાના ખેતરમાંથી લાઈન પસાર ન થવા દેવા બાબતે ખેડૂત સમાજે કામરેજથી રેલી કાઢી સુરત જિલ્લા કલેક્ટર કચેરીએ પોતાના પ્રશ્નની રજૂઆત કરવા પહોંચ્યા હતા.

સુરત જિલ્લાના માંડવી, માંગરોળ, કામરેજ, બારડોલી અને પલસાણા તાલુકાના 100થી વધુ ગામોને પાવર લાઈનની અસર થઈ શકે છે. જેના કારણે વિરપોર ગામે ખેડૂત સમાજ અને ગ્રામજનોએ વીજ લાઈનનો વિરોધ કર્યો હતો. ખેડૂતોએ જણાવ્યું હતું કે તેઓ કોઈપણ સંજોગે વીજ લાઈન નાખવા દેશે નહિ. તેથી સુરત કલેક્ટરે કચેરી ખાતે ખેડૂતોએ હાથમાં બેનર લઈને નારા લગાવી વિરોધ કર્યો હતો. બેનરમાં લખ્યું હતું કે, સરકાર હમસે ડરતી હૈ, પોલીસ કો આગે કરતી હૈ, જાન દેગે જમીન નહિં, જય જવાન જય કિસાન, ખેડૂત સમાજ જિંદાબાદ, ખેતી બચાવો દેશ બચાવો, કિસાન બોના જાનતા હૈ તો કાંટના ભી જાનતા હૈ જેવા સુત્રો લખીને સુરત જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ખેડૂતો પહોંચ્યા હતા.

તમને જણાવી દઈએ કે પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા કંપની દ્વારા નવી વીજ લાઈન નાખવાનું શરૂ કરવામાં આવ્યું છે. મળતી માહિતી મુજબ ખાવડાથી નવસારી સુધી આ લાઈન જવાની છે અને ત્યાં નવું પાવર સ્ટેશન બનાવનું છે. આ લાઈનના કારણે જમીનના ભાવ પર અસર થશે, લાઈનના વિસ્તારમાં એક બિલ્ડીંગ કંટ્રોલ લાઈન નક્કી કરવામાં આવ્યું છે. ત્યાં મોટા વૃક્ષો વાવી શકતા નથી તેમજ ત્યાં બાંધકામની પણ મજુરી મળતી નથી. 765 kvની લાઈનથી આવતા અવાજને કારણે પર્યાવરણ-ખેતીને નુકસાન, પાવર લીકેજની સમસ્યા થશે સાથે વળતર પણ જમીન સંપાદન કરતા નહિવત છે. જેના કારણે ખેડૂતો આ લાઈનનો વિરોધ કરી રહ્યા છે.

છેલ્લા ઘણા સમયથી ખેડૂતો પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઈન્ડીયાનો વિરોધ નોંધાવી રહ્યા છે. ખેડૂતોના ખેતરો માંથી ગેરકાયદેસર રીતે વીજ લાઈન પસાર કરવામાં આવી રહી હોવાનો આક્ષેપ ખેડૂતો દ્વારા કરવામાં આવી રહ્યો છે. ખેડૂતોની મહામૂલી જમીન ઉપર વીજ લાઈન ઊભી કરતાં ખેડૂતો ચિંતામાં મુકાયા છે. ૧૮૮૫ ટેલિગ્રાફ એક્ટ હેઠળ વીજ લાઈન ઉભી કરવા માંગે છે જેનો ખેડૂતોએ વિરોધ નોંધાવી રહ્યા છે. જમીન સંપાદન કાયદા હેઠળ વીજ લાઈન નાખવા ખેડૂતો માંગ કરી રહ્યા છે.