વડોદરામાં વહેલી સવારે 2 જગ્યાએ આગ લાગી, એક વ્યક્તિ ઊંઘમાં જીવતો સળગ્યો

Vadodara fire: વડોદરાના મકરપુરા વિસ્તારમાં આવેલ એસઆરપી ગ્રુપ 9 ના સ્ટોર રૂમોમાં અચાનક આગ ફાટી નીકળતા ફાયર લાશ્કરોએ 45 મિનિટની જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. આ આગમાં સ્ટોર રૂમોમાં રાખેલ મટીરીયલ સળગીને રાખ થઈ જતા (Vadodara fire) નુકસાન પહોંચ્યું છે. સદનસીબે કોઈ જાનહાની થવા પામી નથી. આગ લાગવા પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. આગ ઉપર કાબુ મેળવ્યા બાદ હાલ કુલિંગની કામગીરી ચાલી રહી છે.

વડોદરા શહેરના મકરપુરા એસઆરપી ગ્રુપ 9 ખાતે આગનો બનાવ સામે આવ્યો છે. એસઆરપીએફ ગ્રુપ 9ના સ્ટોર રૂમોમાં આજે સવારે અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી હતી. સંદેશો મળતા જીઆઇડીસી, ગાજરાવાડી, ટીપી 13, દાંડિયા બજાર ફાયર સ્ટેશન ખાતેથી ટીમો રવાના કરવામાં આવી હતી. ફાયર લાશ્કરોએ સતત 45 મિનિટ પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. પાણીની જરૂરિયાત વધુ જણાતાં છ ટેન્કર પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા હતા. આગ વધુ ના પ્રસરે તે માટે આસપાસથી જ્વલનશીલ વસ્તુઓ દૂર કરાઈ હતી.

ઘટનાની જાણ થતા મદદનીશ પોલીસ કમિશનર પ્રણવ કટારીયા, ફાયર ઓફિસર નિકુંજ આઝાદ, એસઆરપી ગ્રુપના અધિકારીઓ કર્મચારીઓ સ્થળ પર દોડી ગયા હતા. વર્ષો જૂનું બાંધકામ ધરાવતા આ સ્ટોર રૂમમાં લાકડાનું પ્રમાણ વધુ હોય આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આ આગના કારણે સ્ટોર રૂમમાં રાખેલ ટેન્ટ, લાકડાની વસ્તુઓ, ગેસના બોટલ, સાધન સામગ્રી સહિતનુ મટીરીયલ સળગીને રાખ થઈ જતા નુકસાન પહોંચ્યું છે.

બીજી ઘટનામાં આગમાં એક વ્યક્તિનું મોત
બીજી ઘટનાની વાત કરીએ તો વડોદરાના સયાજીપુરામાં ઘરમાં આગ લાગતાં 43 વર્ષીય કિરણકુમાર બંસીવાલ રાણા નામની વ્યક્તિનું મોત થયું છે, મૃતકની પત્ની નોકરી જતાં રહ્યાં એની 10 મિનિટ બાદ આ દુર્ઘટના બની હતી. દુર્ઘટના સમયે તેઓ ઘરમાં એકલા જ હતા.