હવે અંધશ્રદ્ધા ફેલાવનારાઓની ખેર નહીં: ગુજરાતમાં કાળો જાદુ, અઘોરી અને અમાનવીય પ્રવૃત્તિઓ સામે બનશે કાયદો

Law Against Superstition: ગુજરાત સહીત દેશભરમાં ઘણા લોકો અંધશ્રદ્ધાનો શિકાર બની રહ્યા છે. આસ્થાના નામ પર ઘણા ઢોંગીઓ ભોળા- નિર્દોષ લોકોને શિકાર બનાવતા હોય છે. રાજ્યમાં બનનારા અંધશ્રદ્ધાના કિસ્સાઓ તમે સાંભળ્યા જ હશે. ત્યારે હવે સરકાર પણ અંધશ્રદ્ધાને(Law Against Superstition) ડામવા કાયદો લાવવાનું વિચાર કરી રહી છે.

અંધશ્રદ્ધાને ડામવા માટે રાજ્ય સરકાર કાયદો લાવશે
ગુજરાત રાજ્ય સરકાર અંધશ્રદ્ધાને ડામવા માટે કાયદો લાવવા કવાયત કરી રહી છે. અંધશ્રદ્ધાની નાબૂદી માટે અને કાળાજાદૂની નાબૂદી માટે તેમજ જાહેરહિતની હાઈકોર્ટમાં અરજી કરાઈ હતી. ત્યારે આ મામલે સુનાવણી દરમિયાન ગૃહ વિભાગના ડેપ્યુટી સેક્રેટરીઓ હાઈકોર્ટમાં સોગંદનામું જાહેર કર્યું હતું, જેમાં ખાતરી આપવામાં આવી હતી કે આગામી વિધાનસભા સત્રમાં કાળુ જાદુ અને અંધશ્રદ્ધા અંગે બિલ પસાર કરવામાં આવશે.

હાઇકોર્ટમાં એક એનજીઓ દ્વારા અંધશ્રદ્ધા વિરુદ્ધમાવજાહેરહિતની અરજી કરવામાં આવી હતી, જેમાં ખાસ કરીને આદિવાસી વિસ્તારમાં બનતી ઘટનાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, અને કહેવાયું હતું કે આ અંગે કોઈ કાયદો ન હોવાના કારણે ગુનો કરનાર કાયદાની ચુંગાલમાંથી છટકી જાય છે.

અંધશ્રદ્ધા રોકવાની જવાબદારી રાજ્ય સરકારની છે: હાઇકોર્ટ
આ અરજીને ધ્યાનમાં રાખીને હાઇકોર્ટે સરકારને જણાવ્યું કે, રાજ્ય એક વેલ્ફેર સ્ટેટ છે. અંધશ્રદ્ધા રોકવાની જવાબદારી રાજ્યની છે. અને ત્યાર બાદ અંધશ્રદ્ધા રોકવા રાજ્ય સરકાર શું પગલાં લેશે તેનો જવાબ માંગ્યો હતો. ત્યારે હવે રાજ્યના ગૃહ વિભાગના સક્ષમ અધિકારી એફિડેવિટ ફાઇલ કરશે. અંધશ્રદ્ધા દ્વારા થયેલા કૃત્યોથી માનવ હક તેમજ બંધારણીય હકોનું હનન થાય છે. કોર્ટે આ કેસમાં રાજ્યના ગૃહ વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરીને પક્ષકાર બનાવવા નિર્દેશ આપ્યા હતા.

અંધશ્રદ્ધા જેવા દૂષણો દૂર કરવા આવનારા વિધાનસભા સત્રમાં ખરડો પસાર કરવામાં આવશે
હાઈકોર્ટના આદેશ બાદ સંદર્ભે ગૃહ વિભાગના ઇન્ચાર્જ ડેપ્યુટી સેક્રેટરી અને અંડર સેક્રેટરીએ હાઇકોર્ટમાં જવાબ રજૂ કર્યો હતો. આ મામલે ગૃહ વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી, એડિશનલ ડિરેક્ટર જનરલ ઓફ પોલિસ, એડિશનલ ડાયરેક્ટર જનરલ ઓફ CID અને ગૃહ વિભાગના સેક્રેટરીએ મિટિંગ યોજીને આ મુદ્દે ગહન ચર્ચા કરી હતી. આ બેઠકમાં નક્કી કરાયું છે કે આવનારા વિધાનસભા સત્રમાં રાજયમાંથી કાળોજાદુ, અઘોરી પ્રવૃત્તિ તેમજ અમાનવીય પ્રવૃત્તિઓ જેવા દૂષણો દૂર કરવા ખરડો લાવવામાં આવશે.