રાજ્ય સરકારનો ગ્રામીણ વિસ્તાર માટે મોટો નિર્ણય: ગ્રામપંચાયતમાંથી મળશે 67 પ્રમાણપત્રો

E-gram Service: ગુજરાત સરકારે હવે ગ્રામજનો માટે એવી વ્યવસ્થા કરી છે કે જેથી ગ્રામ પંચાયત કચેરીમાંથી પ્રમાણપત્રોઅને થયેલા કામોની વિગત મેળવી શકે. હવે 10ને બદલે 67 પ્રમાણપત્રો VCE દ્વારા ઈ-ગ્રામ સેવા (E-gram service) દ્વારા મેળવી શકાય તેવી મહેસૂલ અને સામાજીક ન્યાય અધિકારિતા વિભાગ દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે.

જેના માટે નાગરિકોએ ઈ-ગ્રામ પંચાયત દ્વારા ફોર્મ ભરવાનું રહેશે અને ત્યારબાદ આ ફોર્મ સંબંધિત તાલુકા કક્ષાના અધિકારીઓને સુપરત કરવાનું રહેશે અને ત્યારબાદ તેમની સહી બાદ નાગરિકોને આ પ્રમાણપત્ર મળશે. ગ્રામ પંચાયતો દ્વારા જમીન પ્રમાણપત્ર અને આવક પ્રમાણપત્ર સહિત લગભગ 10 પ્રમાણપત્રો જારી કરવામાં આવ્યા હતા. હવે, ગ્રામ્ય સ્તરે 67 પ્રકારના પ્રમાણપત્રો જારી થયા પછી, નાગરિકોને તાલુકા પંચાયતમાં જવાની જરૂર રહેશે નહીં.

ગ્રામ્ય સ્તરે મળશે આ સુવિધા
ગ્રામ પંચાયતો પાસેથી આવકના પુરાવા સહિતના પ્રમાણપત્રો સરળતાથી મેળવી શકાય તે માટે, રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2007-08 થી ઇ-ગ્રામ વિશ્વગ્રામ યોજના લાગુ કરવામાં આવી છે. આ યોજના દ્વારા, ગ્રામ પંચાયતોમાં VCE-ગ્રામ કોમ્પ્યુટર ઉદ્યોગસાહસિક દ્વારા ઈ-ગ્રામ સેવા પૂરી પાડવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે ડિજિટલ ગુજરાત 2.0 હેઠળ, રાજ્ય સરકારે આધુનિક ટેકનોલોજી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) નો ઉપયોગ કરીને સરકારી સેવાઓને વધુ કાર્યક્ષમ અને પારદર્શક અને લોકો માટે સરળતાથી સુલભ બનાવવાની યોજના બનાવી છે. આ સુવિધાઓ હવે ગ્રામ્ય સ્તરે ઉપલબ્ધ થશે.

આ પ્રમાણપત્રો મેળવી શકશો
અત્યાર સુધી સાત બાર પ્રમાણપત્ર, ગામનું પ્રમાણપત્ર, આવક પ્રમાણપત્ર, રેશનકાર્ડ, રેશનકાર્ડમાં નામ દૂર કરવા અથવા ઉમેરવા, વરિષ્ઠ નાગરિક પ્રમાણપત્ર, વિધવા સહાય પ્રમાણપત્ર સહિતના પ્રમાણપત્રો આપવામાં આવતા હતા. હવે, મહેસૂલ વિભાગ તરફથી, તમે ઉત્તરાધિકાર, બાકી રકમ, ભોગવટા, દારૂના વેચાણ માટે કામચલાઉ લાઇસન્સ, ચારિત્ર્ય પ્રમાણપત્ર, જમીન મહેસૂલ સંહિતાની કલમ 73AA હેઠળ મંજૂરી, સરકારી જમીનની માંગ, દારૂના વેચાણ અને સંગ્રહ લાઇસન્સ, સ્ટેમ્પ વેન્ડરનું નવીકરણ મેળવી શકો છો. લાયસન્સ, જમીન- મહેસૂલ સંહિતાની કલમ 65 (બિન-કૃષિ) હેઠળ મંજૂરી, રાહત દરે ફાળવવામાં આવેલા પ્લોટ પર બાંધકામનો સમયગાળો વધારવાની માગ, કૃષિ હેતુ માટે જમીન સંપાદનની પરવાનગી, ટ્રાન્સફર, વિસ્ફોટકો નિયમો હેઠળ સંગ્રહ લાઇસન્સ આપવું અને 54 પ્રકારના પ્રમાણપત્રો મંજૂરીઓ મેળવી શકાય છે.

દરેક પ્રમાણપત્ર માટે નાગરિકોએ 20 રૂપિયા ચૂકવવાના રહેશે
સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ પ્રમાણપત્ર, ગુજરાત સરકારનું નોન ક્રિમી લેયર પ્રમાણપત્ર, આર્થિક રીતે નબળા વર્ગ માટે પાત્રતા પ્રમાણપત્ર, અન્ય પછાત વર્ગ નોન ક્રીમી લેયર પ્રમાણપત્ર, જાતિ પ્રમાણપત્ર, આવક અને ભારત સરકારનું મિલકત પ્રમાણપત્ર, ભારત સરકારનું જાતિ પ્રમાણપત્ર, નિરાધાર વૃદ્ધો અને નિરાધાર દિવ્યાંગ વ્યક્તિઓના ભરણપોષણ માટેની યોજના, ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધાશ્રમ પેન્શન યોજના અને વયવંદના યોજના, રાષ્ટ્રીય પરિવાર યોજના, અંતિમ સંસ્કાર સહાય પ્રમાણપત્રો અહીંથી ઉપલબ્ધ થશે.