BAPS સ્વામિનારાયણ મંદિર સારંગપુરમાં યોજાયો ગુરુહરિ પ્રસન્નતા વૈદિક મહાયાગ

BAPS Swaminarayan Mandir Sarangpur: 1680 જેટલા યજમાનો દ્વારા ભગવાન અને ગુરુની પ્રસન્નતા માટે, સમગ્ર વિશ્વ અને ભારતમાં શાંતિ પ્રસરે અને રાષ્ટ્રનો વિકાસ થાય(BAPS Swaminarayan Mandir Sarangpur) એ માટે 1,09,200 જેટલા હોમ અર્પણ કરાયા.

વિશ્વવંદનીય પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના ગુરુ યોગીજી મહારાજની 132મી જન્મતિથિ નિમિત્તે સારંગપુરમાં પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજની ઉપસ્થિતિમાં તારીખ 4 જૂન, 2024 ના રોજ ગુરુહરિનું પૂજન અને શુભ સંકલ્પોની પૂર્તિ માટે વિશિષ્ટ મહાયાગનું આયોજન કરવામાં આવ્યું હતું.

પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજની ઉપસ્થિતિમાં વહેલી સવારે 4:30 વાગ્યે મહાયાગનો શુભારંભ કરવામાં આવ્યો હતો જે 7:00 વાગ્યે પૂર્ણ થયો હતો. આ વૈદિક મહાયાગમાં 105 જેટલા યજ્ઞકુંડનું નિર્માણ કરવામાં આવ્યું હતું. જેમાં ભારતના વિવિધ પ્રાંત ઉપરાંત આફિકા, લંડન વગેરે દેશ-વિદેશના 1680 જેટલાં યજમાનોએ સમૂહમાં સ્વાહાના નાદ સાથે કુલ 1,09,200 જેટલી આહુતિઓ અર્પણ કરી હતી.

કુલ ૭ વેદપાઠી બાહ્મણો દ્વારા આ યજ્ઞ કરાવવામાં આવ્યો હતો જેમાં સંસ્કૃત મહાવિદ્યાલયના ૬૦ વિદ્યાર્થીઓ પણ યજ્ઞવિધિમાં જોડાયા હતા. સમગ્ર મહાયાગ દરમિયાન મંદિર પરિસરનું વાતાવરણ વૈદિક વાતાવરણની અનુભૂતિ કરાવનારું બની ગયું હતું. આ મહાયાગ દ્વારા બી.એ.પી.એસ સંસ્થા દ્વારા અહિંસક તથા ભક્તિમય ભારતીય યજ્ઞપરંપરાનું પોષણ થયું હતું.

પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે દેશનો વિકાસ થાય, રાષ્ટ્રનો વિકાસ થાય, સમાજનો ઉત્કર્ષ થાય અને સમગ્ર ભારત દેશ તથા વિશ્વમાં શાંતિ પ્રવર્તે તેવા શુભ સંકલ્પ સાથે યજ્ઞમાં આહુતિઓ આપી હતી. વિશેષ આશીર્વાદમાં તેઓએ આજના દિવસે ગુરુ યોગીજી મહારાજની સ્મૃતિઓ કરી, આજના પરિણામ અંતર્ગત રાષ્ટ્રનો ઉત્તરોતર વિકાસ થાય એ માટે શુભ સંકલ્પ અને પ્રાર્થના કરી હતી.