ગુજરાતની આ જગ્યા પર ખોડીયાર માતાજીએ ઈ.સ. 800માં હતો કર્યો ઉતારો, જેના દર્શન માત્રથી પુત્રજન્મના મળે છે આશીર્વાદ

Khodiyar Matanu Mandir: માં ખોડિયાર એટલે તો સદૈવ ભક્તોની વ્હારે રહેતા આઈશ્રી. શ્રદ્ધાળુઓને મન મા ખોડિયાર એટલે તો એ નામ કે જેમના આસ્થા સાથે પૂજન માત્રથી જ ચિંતાઓનું શમન થઈ જાય. માં ખોડિયાર એટલે તો એ નામ કે જેના ઉચ્ચાર માત્રથી જ નિરાશાઓ( Khodiyar Matanu Mandir) વચ્ચે પણ નવી આશાઓનો સંચાર થઈ જાય. ત્યારે અમારે આજે વાત કરવી છે એક એવાં ખોડલમાંના મંદિરની કે જેના સાનિધ્યે પગ મૂકતાં જ ભક્તો પ્રસન્નચિત્ત થઈ જતા હોય છે. આ ધામ એટલે મા ખોડિયારનું વરાણા ધામ. આ એ ધામ છે કે જ્યાં આઈશ્રીના બે-બે દિવ્ય સ્વરૂપોની ગાથા જોડાયેલી છે. ત્યારે મા ખોડિયારના પ્રાગટ્ય દિવસે આવો આપણે પણ તેની મહત્વને જાણીએ.

સંતાનના વજન અનુસાર ભરોભાર પ્રસાદ કરવામા આવે છે
મહાસુંદ આઠમ એટલે મા ખોડિયારનો પ્રાગટય દિવસ છે વરાણાના ખોડિયાર માતાના ઇતિહાસની વાત કરીએ તો મા ખોડિયારનો સવંત 888 મા પ્રાગટય દિવસ ગણાય છે અને તે પરંપરા અનુસાર આજે પણ માતાજી ને લોકો મનથી પૂજન અર્ચન રહયા છે.વરાણા ગામે આવેલા માં ખોડિયાર સૌરાષ્ટ્ર તરફ જતા અહીં રોકાયા હતા અને અહીજ તેઓએ મુકામ કયી હતો ખાસ કરી અને આહીર સમાજના લોકો ના આરાધ્ય દેવ છે,આ જગ્યાનું વિશેષ મહત્વ એ છે કે નવદંપતિ ના ઘરે મા ખોડિયારની બાધા રાખ્યા બાદ પ્રથમ સંતાન ના જન્મ બાદ બાધા માનતા પુરી થતા અહીં પ્રસાદ તરીકે સાની એટલેકે તલ ગોળ અથવા તલ ખાંડ સંતાનના વજન અનુસાર ભરોભાર પ્રસાદ કરવામા આવે છે ત્યારબાદ આ પ્રસાદનું વિતરણ થાયા બાદ માનતા પુરી થાય છે.

આઈશ્રીના બે દિવ્ય સ્વરૂપનો નાતો જોડાયેલો છે
પાટણ જિલ્લાના સમી તાલુકામાં વરાણા નામે નાનકડું ગામ આવેલું છે. સમીથી લગભગ 9 કિ.મી.ના અંતરે વરાણા ગામ સ્થિત છે. અહીં મા ખોડિયારનું અત્યંત ભવ્ય અને સુંદર મંદિર શોભાયમાન છે. પ્રચલિત કથા અનુસાર આ ભૂમિ સ્વયં મા ખોડિયારના ચરણોથી પાવન થઈ છે ! જ્યાં મંદિર મધ્યે મા ખોડિયારની અત્યંત ભાવવાહી પ્રતિમાનું સ્થાપન કરવામાં આવ્યું છે. જેના દર્શન કરી ભક્તો ધન્યતાની અનુભૂતિ કરે છે. આ એ સ્થાનક છે કે જેની સાથે આઈશ્રીના બે દિવ્ય સ્વરૂપનો નાતો જોડાયેલો છે. એક સ્વયં મા ખોડિયારનો અને બીજો માતા વરુડીનો.

મા ખોડિયારના પરચા
આમ તો મા ખોડિયારના જન્મસ્થાન તરીકે ભાવનગરનું રોહિશાળા પ્રસિદ્ધ છે. પરંતુ, એક કથા અનુસાર મા ખોડલનો જન્મ 9 મી થી 11મી સદીમાં રાજસ્થાનના ચાળકનેશમાં થયો હતો. દંતકથા એવી છે કે ચાળકનેશથી ગુજરાત આવતી વખતે માતા ખોડિયાર વરાણાના નેસડામાં રોકાયા હતા. વરાણા એ આહિરોનું ગામ હતું. જ્યાં એક નિઃસંતાન આહિરને માના આશીર્વાદથી પુત્રરત્નની પ્રાપ્તિ થઈ. અને સમગ્ર પંથકમાં મા ખોડિયારનો જય જયકાર વર્તાઈ ગયો. કહે છે કે તે સમયે ખુદ મા ખોડલે જ તેમના ભાઈ મેરખીયાને વરાણામાં ક્ષેત્રપાળ તરીકે બિરાજમાન કર્યા. માએ તેમના ભાઈને વચન દીધું હતું કે “તલવટ તને ચઢશે અને ભક્તોને સંતાન હું આપીશ !”

માતાને તલવટ અર્પણ કરવાનો મહિમા
દર વર્ષે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ સંતાનની કામના સાથે વરાણાની ખોડલની શરણે આવે છે. અને કહે છે કે માના આશિષથી જેમના ઓરતા પરિપૂર્ણ થયા છે તે અહીં સવામણ તલવટ અર્પણ કરે છે. તલવટ એ સાની તરીકે પણ ઓળખાય છે. 25 કીલો સાની અર્પણ કરવાની આ પરંપરા માત્ર વરાણા ખોડિયાર મંદિર સાથે જ જોડાયેલી છે.

ખોડિયાર જયંતીએ મેળો
મહા સુદ આઠમ એ મા ખોડિયારનો પ્રાગટ્ય દિવસ મનાય છે. ત્યારે દર વર્ષે ખોડિયાર જયંતીએ અહીં મેળાનું આયોજન થાય છે. મહા સુદ એકમથી લઈ મહા સુદ પૂનમ સુધી આ મેળો ભરાય છે. આ મેળામાં ભાગ લેવા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીં ઉમટી પડે છે. લોકો વિવિધ ગામેથી સંઘ લઈને અને પગપાળા ચાલીને માના સાનિધ્યે ધજા અર્પણ કરવા પહોંચતા હોય છે. અને માનું શરણું મેળવી ધન્યતાની અનુભૂતિ કરે છે.