ભારતે નાણાકીય વર્ષ 2023-24માં 4.7 કરોડ નોકરી વધારી; 64 કરોડ લોકોને મળશે રોજગારી, જુઓ RBIના આ આંકડા

RBI Figures: નાણાકીય વર્ષ 2023-24 દરમિયાન ભારતે લગભગ 4.7 કરોડ નોકરીઓ ઉમેરી છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ના ડેટા પરથી આ માહિતી મળી છે. આ સાથે અર્થતંત્રના 27 ક્ષેત્રોમાં રોજગારી મેળવનારા લોકોની કુલ સંખ્યા વધીને 64.33 કરોડ થઈ ગઈ છે. માર્ચ 2023 ના અંતે, આ 27 ક્ષેત્રોમાં કાર્યરત લોકોની સંખ્યા 59.67 કરોડ હતી. આરબીઆઈએ(RBI Figures) આ ડેટાને તેની વેબસાઈટ પર ‘ઉદ્યોગ સ્તરે ઉત્પાદકતા માપન – ઈન્ડિયા KLEMS ડેટા’ શીર્ષક હેઠળ પ્રકાશિત કર્યા છે. અહીં KLEMS એટલે કેપિટલ (K), લેબર (L), એનર્જી (E) મટીરીયલ્સ (M) અને સર્વિસ (S) છે.

નોકરી કરતા લોકોની સંખ્યામાં 6%નો વધારો
આ ડેટા સમગ્ર ભારતીય અર્થતંત્રમાં 27 ઉદ્યોગોને આવરી લે છે. આ રીતે, 2023-24માં કૃષિ, વેપાર અને નાણાકીય સેવાઓ સહિત 27 ક્ષેત્રોમાં નોકરી કરતા લોકોની સંખ્યામાં છ ટકાનો વધારો થયો છે. જ્યારે પાછલા નાણાકીય વર્ષમાં તેમાં 3.2 ટકાનો વધારો થયો હતો.

KLEMS ડેટા અનુસાર, છેલ્લા પાંચ વર્ષમાં કુલ રોજગાર 2019-20માં 53.44 કરોડથી વધીને 64.33 કરોડ થઈ છે. રિપોર્ટ અનુસાર, ‘કૃષિ, શિકાર, વનસંવર્ધન અને માછીમારી’ ક્ષેત્રે નાણાકીય વર્ષ 2022-23માં 25.3 કરોડ લોકોને રોજગારી પૂરી પાડી છે. 2021-22માં આ આંકડો 24.82 કરોડ હતો.

8 કરોડથી વધુ રોજગારીની તકો ઊભી થઈ
અન્ય નોંધપાત્ર રોજગાર પેદા કરતા ક્ષેત્રોમાં બાંધકામ, વેપાર અને પરિવહન અને સંગ્રહનો સમાવેશ થાય છે. આરબીઆઈએ કહ્યું કે ‘ઇન્ડિયા KLEMS ડેટાબેઝ એડિશન-2024’ દસ્તાવેજ તેના મુખ્ય ક્ષેત્રોમાં આર્થિક વૃદ્ધિ અને સંશોધનને પ્રોત્સાહન આપવા માટે તૈયાર કરવામાં આવ્યો છે. સરકારી ડેટા અનુસાર, ભારતે 2017-18 થી 2021-22 દરમિયાન આઠ કરોડથી વધુ રોજગારીની તકો ઊભી કરી છે.

આ રીતે, દર વર્ષે સરેરાશ બે કરોડથી વધુ નોકરીઓનું સર્જન થયું હતું અને 2020-21 દરમિયાન કોવિડ-19 રોગચાળાની આર્થિક આડ અસરો છતાં આ જોવા મળ્યું હતું. નિવેદન અનુસાર, આ નોંધપાત્ર રોજગાર સર્જન વિવિધ ક્ષેત્રોમાં રોજગારને પ્રોત્સાહન આપવાના હેતુથી વિવિધ સરકારી પહેલોની કાર્યક્ષમતાને પ્રતિબિંબિત કરે છે.