નારાયણ સાંઈને ગુજરાત હાઈકોર્ટે આપ્યા જામીન, આશારામને મળવા જોધપુર જશે

Narayan Sai latest News

દુષ્કર્મના આરોપમાં જેલમાં બંધ નારાયણ સાઈને (Narayan Sai) શરતી જામીન મળ્યા છે. ગુજરાત હાઇકોર્ટ દ્વારા નારાયણ સાંઈને પિતા આશારામ સાથે મુલાકાત કરવા માટે જામીન આપવામાં આવ્યા છે. જોધપુર જેલમાં આસારામ સાથે ચાર કલાક મુલાકાતની મંજૂરી આપવામાં આવી છે.

અવરજવરના ખર્ચ પેટે હાઇકોર્ટ દ્વારા નારાયણ સાંઈને દસ લાખ રૂપિયા ની રકમ જમા કરાવવા માટેનો હુકમ કર્યો છે. આ રકમ જમા કરાવ્યા બાદ નારાયણ સાંઈને તેના પિતા આશારામ સાથે મુલાકાત માટે લઈ જવામાં આવશે. જ્યાં તે ચાર કલાક સુધી પોતાના પિતા સાથે મુલાકાત કરી શકશે.

ઉલ્લેખનીય છે કે એક દિવસ અગાઉ નારાયણ સાંઈને દાંતનો દુખાવો ઉપડતા તેને સુરતની સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. નારાયણ સાઈ સુરતની લાજપોર સેન્ટ્રલ જેલમાં બંધ છે.

ગુજરાતના સુરતની સેન્ટ્રલ જેલમાં બંધ નારાયણ સાંઈએ તેના પિતા આસારામને મળવાની પરવાનગી માંગી છે. શુક્રવારે હાઈકોર્ટમાં નારાયણ સાંઈની અરજી પર સુનાવણી થઈ હતી. નારાયણ સાંઈ બળાત્કાર અને યૌન શોષણના કેસમાં સુરતની લાજપોર સેન્ટ્રલ જેલમાં બંધ છે. અરજીમાં નારાયણ સાંઈએ કહ્યું છે કે તેમના પિતાની તબિયત સારી નથી. એટલા માટે તે તેના પિતાને મળવા માંગે છે. આસારામ બળાત્કાર અને યૌન શોષણના બે કેસમાં દોષિત જાહેર થયા બાદ જોધપુર જેલમાં બંધ છે. હાલમાં જ આસારામને સારવાર માટે પેરોલ આપવામાં આવ્યો હતો. આ પછી આસારામને કડક સુરક્ષામાં મહારાષ્ટ્રના રાયગઢ લઈ જવામાં આવ્યા હતા.

ગુજરાત હાઈકોર્ટમાં નારાયણ સાંઈની અરજી પર સુનાવણી દરમિયાન રાજ્ય સરકારે નારાયણ સાંઈની અરજીનો વિરોધ કર્યો હતો. સરકારે દલીલ કરી હતી કે મોટી સંખ્યામાં અનુયાયીઓ હતા. જો તેઓ ભેગા થાય તો કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગડી શકે છે. સુનાવણી દરમિયાન હાઈકોર્ટે નારાયણ સાંઈને હવાઈ માર્ગે લઈ જવા જણાવ્યું હતું. તેના પર રાજ્ય સરકારે કહ્યું કે પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ પણ નારાયણની સાથે રહેશે અને તેનો ખર્ચ પણ અરજદારે ઉઠાવવો પડશે. આ પછી હાઈકોર્ટે નારાયણ સાંઈને 10 લાખ રૂપિયા જમા કરાવવા કહ્યું. કોર્ટે કહ્યું કે આ મીટિંગ માટે પહેલા આ રકમ જમા કરવામાં આવે. ખર્ચ બાદ કરવામાં આવશે અને બાકીની રકમ પરત કરવામાં આવશે.

હાઈકોર્ટે આપેલી વ્યવસ્થા મુજબ નારાયણ સાંઈને ક્યારે અને કઈ ફ્લાઈટથી લઈ જવામાં આવશે. તેનો સમય શું હશે? તેને કયા માર્ગથી લઈ જવાશે? ભીડ ન થાય તે માટે સરકાર આ બધું નક્કી કરશે. ગુજરાત હાઈકોર્ટે નારાયણ સાંઈ વતી હાજર રહેલા વકીલોને આગામી સાત દિવસમાં સરકાર પાસે રકમ જમા કરાવવા જણાવ્યું છે. આ પછી ગુજરાત હાઈકોર્ટના લેખિત આદેશથી આગળની પ્રક્રિયા શરૂ થશે.