કતારગામની જનતા માટે નવી સુવિધા, હવે સરકારી પ્રમાણપત્રો મેળવવા બહુમાળીમાં નહીં ખાવા પડે, જાણો કઈ નવી સુવિધા શરૂ કરાઈ

Jan Seva Kendra Katargam

Opening of Jan Seva Kendra at Katargam: વિદ્યાર્થીઓ, અરજદારોની સરળતા અને સુવિધા માટે જિલ્લા વહીવટી તંત્રએ કતારગામ ખાતે કાર્યરત કરેલા નવા જનસેવા કેન્દ્રને ધારાસભ્ય વિનોદ મોરડીયાએ ખૂલ્લું મૂક્યું હતું.દર વર્ષે નવા શૈક્ષણિક વર્ષમાં વિદ્યાર્થીઓને આવકનું પ્રમાણપત્ર, જાતિના દાખલા, E.W.S., ડોમિસાઈલ તેમજ સરકારની વિવિધ સહાયકારી યોજનાઓ જેવી કે R.T.E. તેમજ વિવિધ આવાસ યોજનાઓના લાભ માટે વિવિધ દાખલાઓ મેળવવા માટે સુરત શહેરના વિવિધ જનસેવા (opening of Jan Seva Kendra at Katargam) કેન્દ્રો પર ભારે ભીડ જોવા મળતી હોય છે. આથી ઉનાળાની ઋતુ તેમજ આગામી દિવસોમાં શરૂ થનાર નવા શૈક્ષણિક સત્રના કારણે અરજદારોની વધનારી સંખ્યાને ધ્યાને લઈ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કતારગામ તાલુકા વિસ્તારના કેન્દ્ર આવેલા સિનિયર સિટિઝન કેન્દ્ર, યોગા હોલ, એસ.એમ.સી. વોર્ડ નં.૭ ની ઓફિસની બાજુમા, હાથીવાળા મંદિર રોડ, આંબાતલાવડી, કતારગામ ખાતે શુભારંભ થયો છે.

આ પ્રસંગે ધારાસભ્ય વિનોદ મોરડીયા(Vinod Moradiya MLA) એ જણાવ્યું હતું કે, નવું જનસેવા કેન્દ્ર શરૂ થવાથી કતારગામની જનસુવિધાઓની યશકલગીમાં નવું મોરપિચ્છ ઉમેરાયું છે. આગામી દિવસોમાં કતારગામ વિધાનસભા વિસ્તારમાં નવું અને વધુ સુવિધાવાળું અદ્યતન કાયમી જનસેવા કેન્દ્ર શરૂ કરવાનું આયોજન છે. અહીં એક જ સ્થળે મામલતદાર, નાયબ મામલતદાર, તલાટી કમ મંત્રી, ક્લાર્ક, સહાયક સ્ટાફ ઉપલબ્ધ રહેશે.

નવું જનસેવા કેન્દ્ર કાર્યરત થવાથી કતારગામ તાલુકા વિસ્તારના નાગરિકોને પ્રમાણપત્રો મેળવવામાં પડતી મુશ્કેલીઓ દૂર થશે. કતારગામ તાલુકાના નાગરિકોને બહુમાળી ભવન સુધી જવું પડે, જેથી લોકોનો સમય અને ઉર્જા બચશે એમ જણાવી કતારગામ વિસ્તારના વધુમાં વધુ નાગરિકોને નવા જનસેવા કેન્દ્રની વ્યવસ્થાનો લાભ લેવા મોરડીયાએ અનુરોધ કર્યો હતો.

નોંધનીય છે કે, કતારગામ તાલુકો ભૌગોલિક રીતે મોટો વિસ્તાર હોય જેમાં વોર્ડ નં.૧ થી ૧૨ અને કતારગામ, વેડ, સિંગણપોર, ડભોલી, ટૂંકી, અઠવા, કોસાડ, છાપરાભાઠા, ઉત્રાણ, અમરોલી, વરિયાવ, રાંદેર, પિસાદ, ઉમરવાડાના મળીને અંદાજિત ૧૨ લાખથી વધુ નાગરિકો માટે બહુમાળી ભવનમાં એક જ જનસેવા કેન્દ્ર ઉપલબ્ધ હોવાથી કતારગામ તાલુકાના નાગરિકોને સરળતા રહે તે હેતુથી બીજું નવું જનસેવા કેન્દ્ર કાર્યરત કરવામાં આવ્યું છે. તેમજ અરજદારોને પાયાની સગવડો મળી રહે તે માટેની જરૂરી વ્યવસ્થા કરાઈ છે. પારદર્શક વ્યવસ્થા માટે અરજદારોની સંખ્યા વધશે ત્યારે ટોકન સિસ્ટમ પણ રાખવામાં આવશે. વધુમાં અરજદારોને ઝડપથી વિવિધ દાખલાઓ મળી રહે તે માટે અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે.

આ પ્રસંગે મનપાની સાંસ્કૃતિક સમિતિના ચેરમેન સોનલબેન, પ્રાંત અધિકારી(સુરત ઉત્તર) નેહાબેન સવાણી, મામલતદાર દિનેશભાઈ ગામીત, કોર્પોરેટરો, કતારગામ મામલતદાર કચેરીના સ્ટાફગણ અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.