પાટીદાર અનામત આંદોલન દરમિયાન થયેલા 167 કેસ પરત ખેંચાતા લોકોમાં ખુશીનો માહોલ, હાર્દિક પટેલે કહી આ વાત

PAAS 167 cases withdrawn: 2017માં પાટીદાર અનામત આંદોલન સમયે થયેલા 167 કેસ સરકારે પરત ખેંચ્યા છે. પાલનપુરના ગઢ વિસ્તારમાં 167 વ્યક્તિઓ સામે ફરિયાદ થઈ હતી. આ આંદોલન (PAAS 167 cases withdrawn) દરમિયાન પાલનપુરમાં 2 યુવકોના મૃત્યુ થયા હતા. લોક અદાલત દ્વારા આવતીકાલે ચુકાદાની નકલ આપવામાં આવે તેવી સંભાવના છે. આ સમગ્ર ઘટનાને લઇ કેસ પરત લેવાતા બનાસકાંઠાના પાટીદારોમાં ખુશીની લહેર જોવા મળી છે.

પાટીદાર નેતાઓ સામે થયેલા રાજદ્રોહના કેસ
વર્ષ 2015માં પાટીદાર સમાજના યુવકોને અનામત મળે તે માટે સમાજના યુવાનો દ્વારા સરકારના વિરોધમાં સમગ્ર રાજ્યમાં ઉગ્ર આંદોલન કરવામાં આવ્યું હતું. આંદોલનની શરૂઆતમાં ઓગસ્ટ 2015માં અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે મોટી સંખ્યામાં પાટીદાર સમાજના યુવાનો એકત્ર થયા હતા. આ યુવાનોએ સરકાર વિરુદ્ધ સૂત્રોચાર અને અનામતની બુલંદ માંગ કરી હતી. જોકે આંદોલનને વિખેરી નાખવા માટે સરકારી લાઠી ચાર્જ પણ કર્યો હતો અને જવાબદાર યુવકો વિરુદ્ધ રાજદ્રોહ કક્ષાના કેસ નોંધ્યા હતા. હાલના ધારાસભ્ય હાર્દિક પટેલ, પાટીદાર આગેવાન દિનેશ બાંભણિયા, અલ્પેશ કથીરિયા, ચિરાગ પટેલ, કેતન પટેલ સહિતના સમાજના યુવા નેતાઓ પર રાજગૃહના કેસ થયા હતા.

ધારાસભ્ય હાર્દિક પટેલે આભાર માન્યો
પાટીદાર અનામત આંદોલન સમયે થયેલા કેસ પાછા ખેંચાયાની વાત સામે આવતા હાલ ધારાસભ્ય હાર્દિક પટેલે સરકારનો આભાર માન્યો છે. આ આંદોલનથી સવર્ણોને ફાયદો થયો છે તેવું હાર્દિક પટેલનું માનવું છે. સવર્ણોને 10% ઈડબલ્યુએસનો લાભ પ્રાપ્ત થયો છે. હજારો કરોડનું યુવા સ્વાવલંબન પેકેજ પણ સરકાર તરફથી જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે જ હાર્દિક પટેલે પ્રધાનમંત્રી મોદી અને રાજ્ય સરકારનો આભાર માન્યો છે.

10% અનામત મળી હતી
ભારતીય સંસદમાં 103મો બંધારણીય સુધારો 14 જાન્યુઆરી 2019 ના રોજ પસાર કરવામાં આવ્યો હતો. જે અંતર્ગત આર્થિક રીતે પછાત વર્ગના લોકો માટે 10% અનામતનો ખરડો પસાર કરવામાં આવ્યો હતો. જેના પગલે ગુજરાત સરકારે પણ તે અમલમાં મુકવાનું નક્કી કર્યું હતું. 12 માર્ચ 2019 ના રોજ હાર્દિક પટેલ વિધિવત કોંગ્રેસમાં જોડાયા હતા અને ત્યારબાદ ભાજપમાં ગયા હતા અને હાલમાં વિરમગામથી ભાજપના ધારાસભ્ય છે.