વધુ એક પત્રિકા કાંડ: પત્રિકા વાંચીને ભાજપના હોંશ ઉડી ગયા

રાજકોટમાં  ભાજપના લોકસભા ઉમેદવાર રૂપાલાની (Parsottam Rupala Controversy) મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઇ રહી. ગતરોજ રાજકોટ શહેર ભાજપ પ્રમુખની આગેવાનીમાં ગઈકાલે પોલીસ કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી કે  કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ તેમના મળતિયાઓ મારફત લેઉવા-કડવા પટેલ વચ્ચે વૈમનસ્ય ફેલાવતી પત્રિકા બહાર પાડી છે. જેમાં ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાને હાનિ પહોંચે તેવું લખાણ હોવાથી આવું વૈમનસ્ય ફેલાવતા જવાબદારોને ઝડપી પાડવા માગ કરવામાં આવી હતી.

રજૂઆતની ગણતરીની કલાકોમાં પોલીસ એક્શન મોડમાં આવી હતી. અને લેઉવા પટેલ સમાજના જ ચાર યુવકોને ઝડપી લેવામાં આવ્યા હતા. જેને પગલે કોંગી આગેવાનો મોડીરાત્રે ક્રાઈમ બ્રાન્ચ કચેરીએ પહોંચ્યા હતા. અને લેઉવા પટેલોને નિશાન બનાવાતા હોવાનો કોંગી પાટીદાર મહિલા નેતા પીનલબેન સાવલિયા દ્વારા આરોપ લગાવવામાં આવ્યો હતો.

લેઉવા-કડવા પટેલો વચ્ચે વૈમનસ્ય ઊભું થાય તેવી પત્રિકા વાઇરલ કરવામાં આવી હોવાનો આરોપ લગાવાયો હતો. સમગ્ર મામલે પોલીસે કુલ 4 યુવકોને ઝડપી લીધા છે. વોર્ડ નં. 11ના ભાજપ પ્રમુખ મહેશ પીપળિયાની ફરિયાદના આધારે કેતનભાઈ તાળા, પ્રકાશભાઈ વેજપરા, દીપભાઈ ભંડેરી તેમજ વિપુલભાઈ તારપરા વિરુદ્ધ બે સમાજ વચ્ચે વૈમનસ્ય ઊભું કરવા તેમજ જ્ઞાતિ-જ્ઞાતિ વચ્ચે વેરઝેર કરાવવા સહિતની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ભાજપ દ્વારા શું રજૂઆત કરાઈ હતી?

રાજકોટ શહેર ભાજપ પ્રમુખની આગેવાનીમાં ગઈકાલે પોલીસ કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી કે  કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ તેમના મળતિયાઓ મારફત લેઉવા-કડવા પટેલ વચ્ચે વૈમનસ્ય ફેલાવતી પત્રિકા બહાર પાડી છે. ભાજપ પ્રમુખમુકેશ દોશીએ અરજીમાં જણાવ્યું હતું કે, આજે સોશિયલ મીડિયાના માધ્યમથી અમારા ધ્યાન ઉપર આવેલ છે કે, ઘણાં વ્હોટ્સએપ ગ્રૂપમાં તેમજ વ્યક્તિગત મેસેજથી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ તેના મળતિયાઓ દ્વારા કાવતરું ઘડી બદઈરાદાથી ભારતીય જનતા પાર્ટીના અમારા ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાને હાનિ પહોંચાડવા તથા પરેશ ધાનાણીના સપોર્ટમાં સહાનુભુતિ ઊભી કરવાના બદઈરાદાથી કૃત્ય આચરી લેઉવા પટેલ સમાજ તેમજ કડવા પટેલ સમાજ વચ્ચે વૈમનસ્ય પેદા કરવા માટે સોશિયલ મીડિયામાં ‘જાગો લેઉવા પટેલો જાગો’ના હેડિંગ સાથેની નનામી પત્રિકાની પીડીએફ ફાઈલ બનાવી લેઉવા પટેલ અને કડવા પટેલ વચ્ચે ઝનૂન અને વૈમનસ્ય પેદા કરાવી પોતાની તરફેણમાં એટલે કે કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીની તરફેણમાં મતદાન કરાવવા કાલ્પનિક, બદઈરાદાથી ખોટા ન્યૂઝ રિલીઝ કરાવેલ છે. આ વિગતો ધ્યાને લઈ આ પત્રિકા કોમ્પ્યુટરમાં તૈયાર કરનાર, કરાવનાર તેમજ સોશિયલ મીડિયામાં અપલોડ કરનાર અને વાઇરલ કરનાર, કરાવનાર તેમજ તેની નીચે સોશિયલ મીડિયામાં અભદ્ર કોમેન્ટ કરનાર ઈસમો સામે તાકીદે આઈપીસી મુજબ, આઈટી એક્ટ મુજબ, રિપ્રેઝન્ટેશન ઓફ પીપલ્સ એક્ટની જોગવાઈઓ મુજબ વિના વિલંબે ધોરણસર કાર્યવાહી કરવા નમ્ર અરજ છે.

કોંગ્રેસ પ્રવક્તા ડૉ. મનિષ દોશીનો વળતો જવાબ

કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ આ અંગે પ્રતિક્રિયામાં જણાવ્યું કે, રાજકોટ ભાજપના નારાજ નેતાઓ દ્રારા પોતાનુ મિશન પાર પાડવા માટે ખોડલધામ અને કોંગ્રેસને બદનામ કરવાનો હિન પ્રયાસ કરાઈ રહ્યો છે. તંદુરસ્ત ચુંટણીમા અવરોધ પેદા કરવા પોલીસ તંત્રનો થઈ રહ્યો છે દુરુપયોગ. મુળ ભાજપના ભડકેલા પેજ પ્રમુખો પાસે નામ ઠામ વગરની પત્રિકાઓ વહેંચાવી અને ખોડલધામ યુવા સમિતીના કાર્યકરોને ફસાવવાનુ કોણ કરી રહ્યુ છે ષડયંત્ર..?