ધૂણતા ભૂવાઓ સાવધાન: ધોરાજીના સ્મશાનમાં તાંત્રિક વિધિ કરી અંધશ્રધ્ધા ફેલાવનાર યુવકની પોલીસે કરી ધરપકડ

Dhoraji tantric News: ધોરાજી શહેરના નગરપાલિકા સંચાલિત સ્મશાનમાં તાંત્રિક વિધિ કરતો હોય અને સ્મશાનમાં રહેલા અગ્નિદાહના ખાટલા પર બેસી એક યુવક ધુણતો હોય તેવો વીડિયો છેલ્લા કેટલાક દિવસોથી વાયરલ થયો હતો. જેમાં આ વીડિયો વાયરલ થયા બાદ લોકોમાં ભારે (Dhoraji tantric News) ભય અને તાંત્રિક વિધિને લઈને ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો, ત્યારે આ વાયરલ વીડિયો ધ્યાને આવતા ધોરાજી સિટી પોલીસ સ્ટેશનના પી.આઈ આર જે ગૌતમ તેમજ સ્ટાફ દ્વારા સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલા આ વીડિયોને ધ્યાને લઈ યુવકની શોધખોળ અને આ મામલે તપાસ શરૂ કરી યુવકને ઝડપી લીધો હોવાનું સામે આવ્યું છે.

સ્મશાનમાં એક ઇસમ દ્વારા તાંત્રિક વિધિ કરવામાં આવી હતી
ધોરાજીમાં નગરપાલિકા સંચાલિત સ્મશાનમાં એક ઇસમ દ્વારા તાંત્રિક વિધિ કરવામાં આવી રહી હોવાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જે વીડિયો વાયરલ થયો હતો તેમાં એક શખ્સ કાળા કલરની પોલલી લઇને અગ્નિદાહના ખાટલા પર બેઠો હતો અને તાંત્રિક વિધિ કરી રહ્યો હતો. ત્યારબાદ થોડીવારમાં સ્મશાનના ખાટલાની સામે બેસે છે અને મંત્રોચ્ચાર કરતો હોય તેવું લાગી રહ્યું હતું.આ બનાવનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ ધોરાજી પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. જે દરમિયાન બાતમી મળી હતી કે તાંત્રિક વિધિ કરી અંધશ્રદ્ધા ફેલાવીને લોકોમાં ભયનું વાતાવરણ ઉભું કરનાર જે શખ્સ વીડિયોમાં દેખાય છે તેનું નામ અશ્વિન ગોપાલભાઈ મકવાણા છે. જેને ધોરાજી સીટી પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યો હતો અને તેની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી.

ગણતરીની કલાકોમાં ઝડપાયો તાંત્રિક
પૂછપરછ દરમિયાન તેણે ધોરાજી નગરપાલિકાન સ્મશાન ગૃહમા અગ્રીદાહ દેવાના ખાટલા સામે બેસી તાંત્રીક વિધી કરતો હોવાનું તથા અલગ અલગ કાળા જાદુઓની શક્તિઓ ધરાવી ડોળ કરતો હોવાનું જણાવ્યું હતું. જે શખ્સેને ગણતરીની કલાકોમાં ઝડપી તેની વિરુધ્ધ ગુજરાત માનવ બલિદાન અને બીજી અમાનુષી, અનિષ્ટ, અઘોરી પ્રથા અને કાળા જાદુ અટકાવવા અને નાબુદી માટેના કાયદા-2024 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

નવા કાયદા મુજબ આરોપીને સાત વર્ષની સજા, 50 હજારના દંડની જોગવાઈ
અંધશ્રદ્ધા ફેલાવા અંગે બ્લેક મેઝીક એકટ-2024ના નવા કાયદાની જોગવાઇની કલમ-3 મુજબ છ માસથી લઇને સાત વર્ષ સુધીની કેદની સજા અને પાંચ હજારથી લઇને પચાસ હજાર સુધીના દંડની જોગવાઈ કરવામાં આવી છે.તે ઉપરાંત ગુનામાં મદદ કરનાર અથવા આ પ્રકારનો ગુનો કરવાનો પ્રયત્ન કરનારને આ કાયદા હેઠળ ગુનો આચર્યો હોવાનું માની લેવામાં આવશે અને તે મુજબ જ સજા કરવામાં આવશે.આ જ કલમ હેઠળ આ ગુનાને પોલીસ અધિકારનો અને બિન જામીનપાત્ર રહેશે તેવી જોગવાઇ કરી છે. એટલે કે પોલીસને આ ગુના હેઠળ આરોપીને અટક કરવા માટેની સીધી સત્તા આપવામાં આવી છે.

અન્ય મદદગારો સામે પણ કાર્યવાહીની માંગ
આ ધોરાજીના સોનાપુરી સ્મશાન ગૃહમાં કોઈ યુવાન દ્વારા કોઈ પ્રકારની તાંત્રિક વિધિ કરતો હોય તેને લઈને અનેક સવાલ ઊભા થઈ હતા કારણ કે, હાલના સમયમાં વિજ્ઞાન ખુબ જ આગળ વધી રહ્યું છે અને રાજ્ય સરકાર દ્વારા કાયદો પણ ઘડયો છે કે, તાંત્રિક વિધિ કરનાર પર કાયદેસર પગલા લેવા અને સજા પાત્ર ગુનો દાખલ કરવો ત્યારે આવા તાંત્રિક વિધિ કરનાર ઉપર તંત્ર દ્વારા કાયદેસર પગલા લેવા જોઈએ તેવું લોકો જણાવી રહ્યા હતા. આવી તાંત્રિક વિધિને કોઈ આ આધુનિક યુગમાં જગ્યા જ નથી. આવા ત્યારે ધતિંગ ના થવા જોઈએ અને ધોરાજી સોનાપુરી સ્મશાન ગૃહમાં જે લોકોએ યોગ્ય ધ્યાન નથી રાખવામાં આવ્યું તેમની ઉપર પણ કડક પગલા લેવા જોઈએ તેવી પણ માંગ ઉઠી હતી, ત્યારે આ મામલે પોલીસ ગણતરીની કલાકોમાં આ યુવકને ઝડપી પડ્યો હતો.