સૌરાષ્ટ્રના ત્રણ જળાશયો છલકાતા હાઈ એલર્ટ, રાજ્યના 206 જળાશયોમાં 35 %થી વધુ જળસંગ્રહ

Gujarat Monsoon 2024: ગુજરાત સહિત દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે લોકોને અસહ્ય ગરમીમાંથી મુક્તિ મળી છે. ત્યાર નદી તળાવમાં નવા નીર આવ્યા છે. રાજ્યમાં વરસી રહેલા વરસાદના પરિણામે રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર(Gujarat Monsoon 2024) યોજનામાં જળસંગ્રહ 54%ને પાર કરી ગયો છે.

સરદાર સરોવરમાં હાલમાં 1,81,229 એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના 54.25% જેટલો જળસંગ્રહ જ્યારે રાજ્યના કુલ 206 જળાશયોમાં 1,27,227 એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના 35.38% જેટલો જળસંગ્રહ નોંધાયો છે તેમ, જળ સંપતિ વિભાગના અહેવાલમાં જણાવાયું છે.

આજે સવારે 8 કલાકના અહેવાલ મુજબ સૌરાષ્ટ્ર વિસ્તારમાં છેલ્લા બે દિવસથી વરસી રહેલા વરસાદના પરિણામે ત્રણ જળાશયો સંપૂર્ણ છલકાયા છે. જેમાં જામનગર જિલ્લાનો વાગડીયા અને સસોઈ-૨ ડેમ તથા સુરેન્દ્રનગર જિલ્લાનો વાંસલ ડેમ 100% ભરાતા હાઈ એલર્ટ અપાયું છે.

આ સિવાય રાજ્યના આઠ ડેમ 80 ટકાથી90 ટકા ભરાતા એલર્ટ પર છે જેમાં જૂનાગઢના ઓઝત-૨ અને બાંટવા-ખારો ડેમ, મોરબીના ગોડાધ્રોઈ, રાજકોટના ભાદર-૨ તથા ભરૂચના ધોલી અને બલદેવા, જામનગરના ફુલઝર-1 તથા પોરબંદરના સારણ ડેમને એલર્ટ અપાયું છે. રાજ્યના કુલ સાત જળાશયો 70 ટકાથી 80 ટકા વચ્ચે ભરાતા વોર્નીંગ આપવામાં આવી છે, જેમાં જામનગર જિલ્લાના ફુલઝર(કે.બી.), ઉંડ-3 અને રૂપારેલ, રાજકોટના આજી-2 અને ન્યારી-2 તથા સુરેન્દ્રનગરના ધોળીધજા ડેમનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 38.57%, મધ્ય ગુજરાતના 17માં 37.23%, સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં 31.54%, ઉત્તર ગુજરાતના ૧૫માં 26.33%, કચ્છના 20માં 22.92% પાણીનો સંગ્રહ થયો છે તેમ જળ સંપતિ વિભાગની યાદીમાં વધુમાં જણાવ્યું છે.