ઝુપડપટ્ટીમાં આગનો કહેર: 4 બાળકો સહિત કુલ 5ના મોત, 15 બાળકો ગુમ

Bihar slum fire: બિહારના મુઝફ્ફરપુર જિલ્લામાં એક હચમચાવી નાખતી ઘટના સામે આવી છે. બુધવારે, બરિયારપુર પોલીસ સ્ટેશન વિસ્તારના રામપુર મણિ પંચાયતમાં સ્થિત દલિત વસાહતમાં ભીષણ આગ લાગી હતી, જેમાં 50 થી વધુ ઝૂંપડાં બળીને રાખ થઈ ગયા હતા. (Bihar slum fire) આ અકસ્માતમાં 4 માસૂમ બાળકો સહિત 5 લોકોના મોત થયા હતા, જેના કારણે સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાયો છે.

શોર્ટ સર્કિટના કારણે આગ લાગી
સ્થાનિક માહિતી અનુસાર, ગોલક પાસવાનના ઘરમાં શોર્ટ સર્કિટના કારણે આ આગ લાગી હતી. થોડીવારમાં આ આગ આખા ઝૂંપડપટ્ટી વિસ્તારમાં ફેલાઈ ગઈ હતી. જે બાદ ભારે પવનને કારણે આગએ ભયંકર સ્વરૂપ ધારણ કર્યું હતું.

મુઝફ્ફરપુરના ડીએમ સુબ્રત કુમાર સેને જણાવ્યું હતું કે શોર્ટ સર્કિટને કારણે આગ લાગતાની સાથે જ ગ્રામજનો કંઈ સમજે તે પહેલાં જ આગ વધુ તીવ્ર બની ગઈ હતી. બાળકોને બહાર નીકળવાની તક પણ મળી નહીં, અને તેઓ આગમાં ફસાઈ ગયા.

એક જ પરિવારના ત્રણ માસૂમ બાળકો
સ્થાનિક લોકોએ જણાવ્યું કે રાજુ પાસવાનને ત્રણ બાળકો હતા – 12 વર્ષ, 9 વર્ષ અને 8 વર્ષ. ત્યારે આ અકસ્માતમાં દાઝી જવાથી તેમનું મોત થયું હતું.ત્યારે આ ઘટનાના પગલે ગામમાં શોક અને અરાજકતાનું વાતાવરણ છે.

વહીવટીતંત્રે રાહતની જાહેરાત કરી
ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરી રહી છે અને બચાવ કામગીરી ચાલુ છે. ડીએમએ માહિતી આપી કે મૃતકોના પરિવારોને વળતર આપવામાં આવશે અને વહીવટીતંત્રે બે દિવસ માટે ખાવા-પીવાની વ્યવસ્થા કરી છે. પોલીસે તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે SKMCH મોકલી આપ્યા છે. હાલમાં વહીવટીતંત્ર અને જિલ્લા અધિકારીઓ ઘટનાસ્થળે છે અને રાહત કાર્ય ચાલી રહ્યું છે.