અમદાવાદ-ઇન્દોર હાઇવે પર હિટ એન્ડ રનમાં જૈન સાધ્વી સહિત બેના મોત, જાણો વિગતે

Ahmedabad Highway Hit and Run: ગુજરાતના દાહોદમાં હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. ગુરૂવારે (13 ફેબ્રુઆરી) વહેલી સવારે દાહોદના કંબોઈ (Ahmedabad Highway Hit and Run) નજીક અજાણ્યા વાહને જૈન સાધ્વી અને શ્રાવકને અડફેટે લીધા અને ફરાર થઈ ગયું હતું. અકસ્માતના કારણે સાધ્વી અને શ્રાવકનું મોત નિપજતા સમગ્ર સમાજમાં શોકનો માહોલ છે.

શું હતી સમગ્ર ઘટના?
હાલ દાહોદમાં 21 થી 25 તારીખ સુધી પંચકલ્યાણ મહોત્સવ અંતર્ગત પ્રાણ પ્રતિષ્ઠાનું આયોજન કરવામાં આવ્યું છે. જેથી રાજ્યભરમાંથી સાધુ-સાધ્વીઓ પગપાળા દાહોદ પહોંચી રહ્યાં છે. આ દરમિયાન ગુરૂવારે (13 ફેબ્રુઆરી) વહેલી સવારે એક જૈન સાધ્વી અને શ્રાવક પણ દાહોદ તરફ વિહાર કરી રહ્યાં હતાં.

ત્યારે અચાનક પાછળથી પૂરપાટ ઝડપે આવતાં એક અજાણ્યા વાહને સાધ્વી અને શ્રાવકને ટક્કર મારી અને ફરાર થઈ ગયું. અકસ્માત એટલો ગંભીર હતો કે, સાધ્વી અને શ્રાવકનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.

પોલીસે હાથ ધરી તપાસ
આ ઘટનામાં અકસ્માત સર્જ્યા બાદ વાહન ચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો.જે બાદ બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ ખાતે મોકલી પોલીસે હિટ એન્ડ રનનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. નોંધનીય છે કે, હજુ સુધી આ અજાણ્યા વાહન વિશે કોઈ માહિતી મળી શકી નથી. પોલીસે વાહન અને ડ્રાઇવર બંને વિશે તપાસ કરી રહી છે.