સિઝનમાં પ્રથમવાર નર્મદા ડેમમાં પાણીની આવકમાં થયો વધારો, નદીકાંઠેના 25 ગામોને કરાયા એલર્ટ

Narmada Dam: ગુજરાતની જીવાદોરી ગણાતા નર્મદા ડેમમાં પાણીની આવકમાં વધારો થયો છે. મધ્ય પ્રદેશમાં પડી રહેલા ભારે વરસાદને કારણે નર્મદા ડેમની જળસાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. જેને લઇને ખેડૂતોમાં ખુશીની માહોલ છે. પાણીની આવક વધતા નર્મદા ડેમની(Narmada Dam) જળસપાટીમાં ધરખમ વધારો થયો હતો. ત્યારે સીઝનમાં પ્રથમવાર 134.59 મીટરે નર્મદા ડેમની સપાટી પહોંચી છે. નર્મદા ડેમની મહત્તમ સપાટીથી 4 મીટર દૂર છે.

ઉપરવાસમાં પડેલા વરસાદને કારણે નર્મદા ડેમના પાણીની આવકમાં વધારો થતાં ડેમનાં 5 ગેટ ખોલવામાં આવ્યા હતા. અને ડેમમાંથી દોઢ લાખ ક્યુસેક પાણી છોડાયું હતું. જેને લઇને નર્મદા નદીના કાંઠા વિસ્તારોને એલર્ટ આપવામાં આવ્યું છે.

ત્યારે આ મામલે ઇન્ચાર્જ કલેકટર મમતા હિરપરાએ જણાવ્યું હતું કે વડોદરા જિલ્લામાં નર્મદા નદી કિનારાના શિનોર, ડભોઇ તેમજ કરજણ તાલુકાના 25 ગામોને સાવચેતીના પગલાં લેવામાં આવ્યા છે. આ ગામોના તલાટી અને તાલુકાના લાયઝન અધિકારીઓને મુખ્ય મથક પર હાજર રહી સાવચેતીના પગલાં લેવા સૂચન કરવામાં આવ્યું છે.

આ ગામોને અપાયું એલર્ટ
વડોદરાના ડભોઇ તાલુકાના ચાંદોદ, કરનાળી અને નંદેરિયાને એલર્ટ આપવામાં આવ્યું છે. શિનોર તાલુકાના અંબાલી, બરકાલ, દિવેર, માલસર, દરિયાપૂરા, મોલેથા, ઝાંઝડ, કંજેઠા, શિનોર, માંડવા, સુરાશામળને એલર્ટ રહેવા જાણ કરવામાં આવી છે. આ સાથે જ કરજણ તાલુકાના પુરા, આલમપુરા, રાજલી, લીલાઇપુરા, નાની કોરલ, મોટી કોરલ, જુના સાયર, સાગરોલ, ઓઝ, સોમજ, દેલવાડા, અરજપુરા ગામોને સાવચેત રહેવા જણાવ્યું છે