જગન્નાથ રથયાત્રામાં પહેલું આમંત્રણ હનુમાનજીને જ શા માટે આપવામાં આવે છે? જાણો આ પરંપરાનું રહસ્ય

Jagannath RathYatra 2024: ભગવાન જગન્નાથની રથયાત્રામાં લાખો શ્રદ્ધાળુઓ ભારત અને વિદેશથી જોડાય છે અને દર્શન કરવા જાય છે. જો કે સામાન્ય રીતે આપણે ત્યાં શુભ પ્રસંગ હોય ત્યારે સગા સંબંધીઓને પત્રિકા લખી આમંત્રણ આપવામાં આવતું હોય છે. તો બીજી તરફ આપણે આપણા માતાજી કુળદેવીદેવતાઓને પણ આમંત્રણ પાઠવતા હોય છીએ. ત્યારે આ પરંપરા મુજબ મંદિરના આગેવાનો રથયાત્રાના થોડા દિવસો પહેલા સૌથી પહેલું આમંત્રણ હનુમાનજીને આપવામાં આવે છે. આ વિશે જગન્નાથજી(Jagannath RathYatra 2024) મંદિરના ટ્રસ્ટીએ જણાવ્યું હતું કે, અમદાવાદમાંથી નીકળતી ભગવાન જગન્નાથજીની રથયાત્રા પુરી પછીની ખૂબ જાણીતી રથયાત્રા છે.

જગન્નાથજીની રથયાત્રાની પહેલી કંકોત્રી હનુમાનજીને આપવામાં આવે છે
હનુમાનજીએ ભગવાન શ્રી રામની અનન્ય સેવા કરી હતી. કુરુક્ષેત્રમાં પણ કૌરવો-પાંડવો વચ્ચે થયેલા મહાભારત યુદ્ધમાં અર્જુનના રથમાં ભગવાન કૃષ્ણ સારથી હતા અને રથના ઊપરના ભાગે હનુમાનજીએ બિરાજમાન થઈને સેવા આપી હતી. હનુમાનજી ચિંરજીવી છે અને તેમની અનન્ય સેવાના માનમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાની પહેલી કંકોત્રી રામભક્ત હનુમાનજીને લખવામાં આવે છે.

પહેલેથી આ પરંપરા ચાલી આવી છે
ભગવાન જગન્નાથજીના મંદિર પરિસરમાં આવેલા હનુમાનજીના મંદિરમાં કંકોત્રી લખવામાં આવે છે અને ત્યારપછી જ બીજા બધાને કંકોત્રી લખવામાં આવે છે. અમદાવાદમાં જ્યારે પહેલી રથયાત્રા નીકળી ત્યારથી આ પરંપરા ચાલી આવી છે. વિશ્વની જાણીતી ઓડિસાની પુરીમાં નીકળતી જગન્નાથજીની રથયાત્રામાં પણ આ રીતે રામભક્ત હનુમાનજીને પહેલું આમંત્રણ આપવામાં આવે છે.

15 દિવસ પહેલા ભગવાન જગન્નાથ બીમાર પડી જાય છે
તો બીજી તરફ ભગવાન જગન્નાથની રથયાત્રામાં લાખો શ્રદ્ધાળુઓ ભારત અને વિદેશથી જોડાય છે અને દર્શન કરવા જાય છે પણ રથયાત્રાની શરૂઆતના 15 દિવસ પહેલા ભગવાન જગન્નાથ બીમાર પડી જાય છે. કારણ કે 15 દિવસ પહેલા ભગવાન જગન્નાથને વિશેષ સ્નાન કરાવવામાં આવે છે, ત્યારબાદ એવું માનવામાં આવે છે કે ભગવાન જગન્નાથ બીમાર થઈ ગયા છે અને તેમની મૂર્તિને એક વિશેષ સ્થાન પર રાખવામાં આવે છે અને દર્દીની જેમ તેમની સંભાળ રાખવામાં આવે છે.

ત્રણ બહન-ભાઈ પોતાના માસીના ઘરે ફરવા આવ્યા હતા
ઓડિશાના પુરીમાં સ્થિત ભગવાન જગન્નાથનું મંદિર એકલું એવું મંદિર છે જ્યાં જગન્નાથજી પોતાના ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાની સાથે બિરાજમાન છે. કહેવાય છે કે પુરી ભગવાન જગન્નાથના માસીનું ઘર છે અને આ ત્રણ બહન-ભાઈ પોતાના માસીના ઘરે ફરવા આવ્યા હતા. તે સમયે તેમની તબિયત ખરાબ થઈ જાય છે અને પછી દવા આપીને તેમને સાજા કરવામાં આવે છે.

ભગવાનની તબિયત ખરાબ હોવા પાછળની માન્યતા
કહેવાય છે કે ભગવાન જગન્નાથે એક ભક્તની બીમારી 15 દિવસ સુધી પોતાના પર લીધી હતી. પ્રાચીન દંતકથાઓ અનુસાર ભગવાનના પ્રખર ભક્ત માધવ દાસ ઓરિસ્સા પ્રાંતના જગન્નાથ ધામમાં રહેતા હતા. એકવાર માધવદાસને પેટમાં ગડબડ થઈ અને તે એટલો કમજોર બની ગયો કે તે ઉપર બેસી શકતો ન હતો. તેમ છતાં તેણે ઈશ્વરની સેવા કરવાનું બંધ કર્યું નહીં.