ભચાઉ-ગાંધીધામ હાઈવે વિદ્યાર્થીઓની ચીસોથી ગુંજી ઊઠ્યો: સળિયા ભરેલી ટ્રકમાં સ્કૂલવાન ઘૂસી જતાં 1નું મોત

Gandhidham Highway Accident: ગુજરાતમાં સ્કૂલવાનના અકસ્માતો પ્રકાશમાં આવી રહ્યા છે. કચ્છના ભચાઉ નજીક ચોપડવા બ્રિજ પાસેથી પસાર થતી સળિયા ભરેલી ટ્રક પાછળ સ્કૂલવાન ઘૂસી ગયા બાદ પલટી મારી ગઈ હતી. વાનમાં સવાર એક વિદ્યાર્થિનીનું(Gandhidham Highway Accident) મૃત્યુ થયું છે. જ્યારે અન્ય 8 વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત થતા તેઓને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. જેમાં એક વિદ્યાર્થીની હાલત હજી પણ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

સ્કૂલવેનમાં સવાર કુલ 9 વિદ્યાર્થીઓને ઈજા પહોંચી
પ્રાપ્ત વિગતો પ્રમાણે ગાંધીધામ હાઈવે પર ચોપડવા બ્રિજ નજીક આજે સવારે સ્કૂલવાનમાં વિદ્યાર્થીઓ શાળાએ જઈ રહ્યાં હતાં. આ સમયે સ્કૂલવાનના ચાલકે ઓવરટેક કરતા જતા વાન આગળ જઈ રહેલા સળિયા ભરેલા ટ્રકમાં અથડાઈ હતી.

ભચાઉ પોલીસે નોંધેલી ફરિયાદ પ્રમાણે અકસ્માતમાં સ્કૂલવેનમાં સવાર કુલ 9 વિદ્યાર્થીઓને ઈજા પહોંચી હતી. અકસ્માતના કારણે હાઈવે વિદ્યાર્થીઓની ચિચિયારીઓથી ગુંજી ઊઠ્યો હતો.તેમજ થોડીવાર તો અફરાતફરી મચી જવા પામી હતી.

સારવાર દરમિયાન એક વિદ્યાર્થીનીનું મૃત્યુ થયું
ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓને ભચાઉની વાગડ વેલ્ફેર હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યાં હતાં. જેમાં શાંતિ રબારી નામની વિદ્યાર્થિની અને સાહિન ફકીર નામના વિદ્યાર્થીને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે ગાંધીધામ ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં શાંતિ રબારી નામની વિદ્યાર્થિનીનું મૃત્યુ થયું હોવાનું જાણવા મળ્યું છે. સ્કૂલવેનમાં સેન્ટ ઝેવિયર્સ સ્કૂલના 2 છાત્રો હતા જ્યારે 7 કન્યા વિદ્યાલયની છાત્રાઓ હતી.

શાંતિ રબારી નામની વિદ્યાર્થીનીનું મોત
તો બીજી તરફ અકસ્માતનું પ્રાથમિક તારણ આપતા કહ્યું હતું કે, સળિયા ભરીને આગળ જતાં ટ્રેલરમાં સ્કૂલવેન ઓવરટેક કરતા સમયે અથડાઈને પલટી ગઈ હતી. જેના કારણે શાંતિ રબારી નામની વિદ્યાર્થીનિનું મૃત્યુ નીપજ્યું છે.ત્યારે આ વિદ્યાર્થિનીનું મોત થતા તેના પરિવારમાં ભારે રોકકળ મચી જવા પામી હતી.