‘દીકરી જગત જનની’- પી.પી.સવાણીના આંગણે CM ભુપેન્દ્ર પટેલના હસ્તે કરાયું કન્યાદાન, 150 દીકરીને સાસરે વળાવી

સુરત(Surat): છેલ્લા એક દાયકાથી પિતાવિહોણી દીકરીઓને ભવ્ય લગ્ન સમારોહ(wedding ceremony) યોજીને વિદાઈ આપવા માટે જાણીતા સમાજસેવક એવા પી.પી.સવાણી(PP Savani) પરીવારના આંગણે આજે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર…

સુરત(Surat): છેલ્લા એક દાયકાથી પિતાવિહોણી દીકરીઓને ભવ્ય લગ્ન સમારોહ(wedding ceremony) યોજીને વિદાઈ આપવા માટે જાણીતા સમાજસેવક એવા પી.પી.સવાણી(PP Savani) પરીવારના આંગણે આજે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ(Bhupendra Patel) સહિતના આગેવાનોના હસ્તે કન્યાદાન કરીને 150 જેટલી દીકરીને સાસરે વળાવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 150 નવદંપતિઓને સુખમય દામ્પત્યજીવનના આશીર્વચન પણ પાઠવ્યા હતા. પિતાની હૂંફ સાથે હિંદુ, મુસ્લિમ, ઈસાઈ ધર્મ સહિત સર્વ જ્ઞાતિઓની પિતાવિહોણી દીકરીઓએ પ્રભુતામાં પગલા પાડ્યા હતા.

મુખ્યમંત્રી સહિત કેન્દ્ર અને રાજ્ય સરકારના મંત્રીગણની હાજરીમાં એક લાખથી વધુ લોકોએ સ્વૈચ્છિક અંગદાનનો સંકલ્પ લઈને અનોખો રેકોર્ડ નોંધાવી ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે. આ સાથે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે માતાપિતા વિહોણા, દિવ્યાંગ અને આર્થિક રીતે નબળા જરૂરિયાતમંદ 1000 વિદ્યાર્થીઓ માટે ‘વિદ્યાર્થી દત્તક યોજના’નો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેમાં CFE-કોટા સાથે મળીને અનાથ, દિવ્યાંગ કે આર્થિક રીતે નબળા પરિવારના 1000 બાળકોને દત્તક લઈને એમને મેડિકલ, એન્જિનીયરીંગ, CAના ઉચ્ચઅભ્યાસ માટેની પ્રવેશપરીક્ષાની તૈયારી કરાવવામાં આવશે. વિશેષમાં આઝાદીના અમૃત મહોત્સવ તેમજ પ્રમુખ સ્વામીજીના શતાબ્દી વર્ષ નિમિતે ‘દીકરી જગત જનની લગ્નોત્સવ’ પૂ.શ્રી પ્રમુખસ્વામી મહારાજને સાદર અર્પણ કરવામાં આવ્યો છે.

આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવતા કહ્યું હતું કે, પિતાની છત્રછાયા વિનાની હજારો દીકરીઓના લગ્નથી લઈને આજીવન જવાબદારી નિભાવવી એ સમાજ સેવાનું વિરલ ઉદાહરણ છે. ‘કન્યાદાન મહાદાન’ના સૂત્રને સાર્થક કરીને અન્ય લોકો માટે, શ્રેષ્ઠીઓ માટે દાખલારૂપ બનેલા સવાણી પરિવાર આયોજિત આ લગ્નોત્સવ સદ્દભાવ, સમભાવ અને મમભાવનું પ્રેરણા કેન્દ્ર બનશે તે પ્રકારનો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો હતો.

મહત્વનું છે કે, પીપી સવાણી ગ્રુપ અને જાનવી લેબ ગ્રોન ગ્રુપ આયોજિત દીકરી જગત જનની સમૂહ લગ્ન હેઠળ પીપી સવાણી સ્કૂલ પાસે અબ્રામા ગામના વિશાળ પટાંગણમાં શનિવારના રોજ પ્રથમ ચરણમાં 150 દીકરીઓના ધામધૂમ પૂર્વક લગ્ન યોજવામાં આવ્યા હતા. જેમાં બે મુસ્લિમ અને એક ખ્રિસ્તી યુગલે પણ નવજીવનમાં પગલા માંડ્યા હતા. લગ્ન પ્રસંગને માણવા માટે મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડ્યો હતો અને ઢબુકતા ઢોલ સાથે સમી સાંજે 6 વાગ્યે વર-વધુનું લગ્નમંડપમાં આગમન થયુ હતુ અને ત્યારબાદ વેદોક્ત મંત્રોચ્ચાર સાથે લગ્નવિધિ શરૂ કરવામાં આવી હતી. સાથે આ પ્રસંગે પધારેલા રાજકીય અને સામાજિક અગ્રણીઓનું સન્માન કરવામાં આવ્યુ હતુ.

મહેશભાઈ સવાણી દ્વારા મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતુ અને દીકરીઓને 10 શિખામણનો કરિયાવર પણ આપવામાં આવ્યો હતો. ત્યારબાદ એક લાખથી વધુનો અંગદાન સંકલ્પ અને 1000 વિદ્યાર્થી દત્તક યોજનાની જાહેરાત પણ કરવામાં આવી હતી. અંગદાનના સંકલ્પની ત્રણ રેકોર્ડ બુકમાં નોંધ લેવામાં આવી છે.

મહત્વનું છે કે, મહેશભાઈ સવાણી અત્યાર સુધીમાં પિતાની છત્રછાયા ગુમાવી ચુકેલી હજારો દીકરીઓના પાલક પિતા બની વર્ષ 2012થી સામૂહિક લગ્નોત્સવ પછી હવે આ વર્ષે પણ સપ્તાહમાં જાનવી લેબગ્રોન ગ્રુપના રમેશભાઈ લખાણી પરિવારના સહયોગથી તેઓ ‘દીકરી જગત જનની’ યોજી રહ્યા છે, જેનો સહર્ષ ઉલ્લેખ કરતા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સવાણી અને લખાણી પરિવારને અભિનંદન પાઠવ્યા હતા. તેમની સેવાકીય પ્રવૃત્તિઓની સરાહના કરતા જણાવતા કહ્યું હતું કે, જાતે કમાઈને જાતે ખાવું એ પ્રકૃતિ છે, પણ જાતે કમાઈને અન્યને ખવડાવવું એ તો આપણી સંસ્કૃતિ છે. જેની પ્રતીતિ સવાણી અને લખાણી પરિવારે કરાવી છે. આઝાદીના અમૃત કાળના અવસરે દામ્પત્યજીવનનો પ્રારંભ કરી રહેલી દીકરીઓ સાસરે સુખ, સમૃદ્ધિ, એકતા સંપ અને કાર્યદક્ષતાના અમૃત કાળનું સર્જન કરે એવી અપેક્ષા તેમણે વ્યક્ત કરી હતી.

આ પ્રસંગે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલે જણાવતા કહ્યું હતું કે, પિતા વિહોણી દીકરીઓની ધામધૂમથી લગ્ન જીવનની બક્ષિસ આપીને સમાજને નવો સંદેશ આપવામાં આવ્યો છે. સુરત આંગણે એક જ દિવસમાં એક લાખ વ્યક્તિઓ સંકલ્પબધ્ધ થઈને અંગદાનમાં જોડાયા એ સુરતના નામે વધુ એક સિધ્ધી કહી શકાય. આ સમૂહ લગ્ન થકી નવા, ઉમદા વિચારો દ્વારા સમાજના દરેક વર્ગના લોકોને એક સાથે જોડીને પરિવારને એક તાંતણે બાંધ્યો છે તેનું ઉત્તમ ઉદાહરણ છે.

આ શુભ પ્રસંગે કેન્દ્રીય રેલવે અને ટેક્ષટાઈલ રાજ્ય મંત્રી દર્શના જરદોશ, ગૃહ,રમતગમત રાજ્યમંત્રી હર્ષ સંઘવી, વન અને પર્યાવરણ, પાણી પુરવઠા રાજ્યમંત્રી મુકેશ પટેલ, સંસદીય બાબતો, પ્રાથમિક,માધ્યમિક, ઉચ્ચ શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરિયા, પ્રદેશ સંગઠન અધ્યક્ષ સી.આર.પાટીલ, સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ,સુરતના અધ્યક્ષ કાનજી ભાલાળા, પદ્મશ્રી મથુર સવાણી સહિત ધારાસભ્ય વિનોદ મોરડીયા, પુર્ણેશ મોદી, જીતુભાઈ વાઘાણી, મનુભાઈ પટેલ, પ્રવિણભાઈ ઘોઘારી, સંદિપ દેસાઈ, મોહન ઢોડિયા, કાંતિ બલર, સંગીતા પાટીલ, મેયર હેમાલી બોઘાવાલા, અગ્રણીઓ, સંતો મહંતો સહીત અનેક મહાનુભાવો હાજર રહ્યા હતા.

સ્વાગત પ્રવચન કરતા પી.પી. સવાણી ગ્રુપના મહેશભાઈ સવાણીએજણાવતા કહ્યું હતું કે, પી.પી.સવાણી પરિવાર અને સહયોગી દાતાઓ દ્વારા આજ સુધી લગભગ 4572 દીકરીઓનું કરિયાવર સાથે કન્યાદાન કરવામાં આવ્યું છે. તેમણે જીવનના નવા પડાવમાં જઈ રહેલી દીકરીઓને શિખામણ આપતા કહ્યું કે, સાસરે જઈને પરિવારને સ્નેહના તાંતણે બાંધજે, વહુ નહીં પણ દીકરી બનીને રહેજે. ઉત્તમ નારીત્વનુ ઉદાહરણ પૂરૂ પાડજે, ઉત્તમ વહુ અને માતા બનીને ઉચ્ચ સંસ્કારયુકત સંતાનોને જન્મ આપવાની પણ શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *