જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં સુરક્ષાદળ-આતંકવાદીઓ વચ્ચે ફાયરિંગ સેનાના 2 જવાન શહીદ, સર્ચ-ઓપરેશન ચાલુ

Kishtwar Terrorist Attack: જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં 2 જવાન શહીદ થયા છે જ્યારે 2 જવાન ઘાયલ (Kishtwar Terrorist Attack) થયાની વિગતો છે. કિશ્તવાડના ચટરુ વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યુ હતુ તે દરમિયાન અથડામણ થઈ હતી. કઠુઆ જિલ્લામાં આતંકવાદીઓ સાથેની એક અલગ અથડામણમાં જવાનોએ બે આતંકવાદીઓને ઠાર માર્યા હતા.

જમ્મુ-કાશ્મીરમાં શનિવારે પીએમ મોદીની રેલી પહેલા બે જગ્યાએ સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. બારામુલ્લામાં ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા છે. ગઈકાલે કિશ્તવાડમાં બે જવાનો શહીદ થયા હતા. જ્યારે અન્ય બે ઘાયલ છે. બંને જગ્યાએ સેના અને પોલીસ સંયુક્ત ઓપરેશન ચલાવી રહ્યા છે. વિગતો મુજબ હજુ પણ અથડામણ ચાલુ છે અને સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.

બારામુલ્લા જિલ્લાના ક્રેરીના ચક તાપર વિસ્તારમાં શુક્રવારે (13 સપ્ટેમ્બર) રાત્રે લગભગ 11 વાગ્યે એન્કાઉન્ટર શરૂ થયું હતું. મોડી રાત્રે કામગીરી અટકાવી દેવામાં આવી હતી. આજે સવારે સુરક્ષાદળોએ ત્રણ આતંકીઓને ઠાર કર્યા હતા. તેમની ઓળખ હજુ સુધી થઈ નથી.

કિશ્તવાડના ચત્રુ પટ્ટાના નૈદગામ ગામમાં શુક્રવારે બપોરે લગભગ 3:30 વાગ્યે એન્કાઉન્ટર શરૂ થયું હતું. સેનાને જૈશ-એ-મોહમ્મદના 3 આતંકવાદીઓની હાજરીની ગુપ્ત માહિતી મળી હતી. સર્ચ ઓપરેશન દરમિયાન એન્કાઉન્ટર શરૂ થયું હતું. શહીદ થયેલા જવાનોની ઓળખ નાયબ સુબેદાર વિપિન કુમાર અને કોન્સ્ટેબલ અરવિંદ સિંહ તરીકે થઈ છે.

આજે ડોડામાં PMની રેલી, 18 સપ્ટેમ્બરે કિશ્તવાડ સહિત 3 જિલ્લામાં ચૂંટણી:
વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે (14 સપ્ટેમ્બર) જમ્મુ-કાશ્મીરના ડોડામાં એક મેગા રેલીને સંબોધશે. વિધાનસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોના સમર્થનમાં તેમના ચૂંટણી પ્રચારની આ શરૂઆત હશે. PM  મોદી ચિનાબ ઘાટી, ડોડા, કિશ્તવાડ અને રામબનના ત્રણ જિલ્લાની 8 વિધાનસભા બેઠકોના ઉમેદવારો માટે વોટ માટે અપીલ કરશે. 18 સપ્ટેમ્બરે ત્રણેય સ્થળો પર ચૂંટણીના પ્રથમ તબક્કામાં મતદાન થશે.

જમ્મુ-કાશ્મીરની 90 વિધાનસભા બેઠકો પર કુલ ત્રણ તબક્કામાં ચૂંટણી યોજાશે. બીજા તબક્કાનું મતદાન 25 સપ્ટેમ્બરે અને ત્રીજા તબક્કાનું મતદાન 1 ઓક્ટોબરે થશે. પરિણામ 8 ઓક્ટોબરે આવશે. જમ્મુ-કાશ્મીરમાં 10 વર્ષ બાદ વિધાનસભાની ચૂંટણી યોજાઈ રહી છે. છેલ્લે 2014માં વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી.

જમ્મુ અને કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીના 6 દિવસ પહેલા 12 સપ્ટેમ્બરે સુરક્ષા દળોએ કુપવાડા, કુલગામ અને પુલવામા જિલ્લામાં આતંકવાદીઓના 3 ઠેકાણા શોધી કાઢ્યા હતા. આતંકવાદીઓએ કુપવાડાના કેરન સેક્ટરમાં એક મોટા ઝાડના મૂળમાં ખાડો ખોદીને આ ઠેકાણું બનાવ્યું હતું. મૂળની જગ્યા 5 થી 6 ફૂટ હતી. અહીંથી AK-47ના 100થી વધુ કારતુસ, 20 હેન્ડ ગ્રેનેડ અને 10 નાના રોકેટ મળી આવ્યા છે.