ગાંધીનગરના લવારપુર અને વાવોલ ખાતે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં 2 ના ઘટનાસ્થળે મોત

Gandhinagar Accident: ગાંધીનગર શહેરમાં અકસ્માતની ઘટનાઓ વધી રહી છે ત્યારે શહેરના ખ-માર્ગ ઉપર આજે સવારના સમયે વધુ એક હિટ એન્ડ રનની ઘટનામાં વાવોલમાં રહેતા રીક્ષાચાલકનું મોત થયું છે. જે ઘટના સંદર્ભે સેક્ટર 7 પોલીસે ગુનો દાખલ કરીને ફરાર થઈ ગયેલા ફોર્ચ્યુનર કારના ચાલકની શોધખોળ શરૃ કરી હતી.તો બીજી તરફ નરોડા ચિલોડા હાઇવે ઉપર લવારપુર(Gandhinagar Accident) ગામના બ્રિજ પાસે આજે સવારના સમયે મોપેડ લઈને પસાર થઈ રહેલા વૃદ્ધને લોડીંગ રીક્ષાના ચાલકે અડફેટે લેતા શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેમનું સ્થળ ઉપર જ મોત થયું હતું.

હિટ એન્ડ રનની ઘટના
પાટનગર ગાંધીનગર શહેરના પહોળા માર્ગો ઉપર અકસ્માતની ઘટનાઓ વધી રહી છે અને તેમાં પણ હિટ એન્ડ રનના બનાવો સતત વધતા જોવા મળી રહ્યા છે. અકસ્માત સર્જીને ફરાર થઈ જતા આવા વાહનો પકડાતા નથી ત્યારે શહેરના ખ માર્ગ ઉપર વધુ એક હિટ એન્ડ રનની ઘટના બનવા પામી છે. જેમાં વાવોલ ગામમાં રહેતા રીક્ષા ચાલકનું મોત થયું હતું. જે ઘટના સંદર્ભે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે વાવોલ ગામમાં રહેતો યુવાન નટવરભાઈ ખોડાભાઈ રાવળ રિક્ષા ચલાવીને પરિવારનું ગુજરાત કરતો હતો.

ફોરચુનર કારે રીક્ષાને અડફેટે લીધી
આજે સવારના સમયે તે તેની રીક્ષા લઈને ખ માર્ગ ઉપરથી પસાર થઈ રહ્યો હતો અને ખ માર્ગ ઉપર હરીનગર ત્રણ રસ્તા પાસે તે વાવોલ તરફ વળવા જઈ રહ્યો હતો. આ દરમિયાન જ પાછળથી ઝડપે આવી રહેલી ફોરચુનર કારે નટવરની રીક્ષાને અડફેટે લીધી હતી અને તેના કારણે તે રોડ ઉપર ફંગોળાયો હતો અને શરીરે ગંભીર ઈજાઓને કારણે તેનું સ્થળ ઉપર જ મોત થયું હતું. અકસ્માતની આ ઘટનાને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરતા તે સ્થળ ઉપર પહોંચી હતી પરંતુ તબીબે નટવરને મૃત જાહેર કર્યો હતો. બીજી બાજુ અકસ્માત સર્જીને ફોર્ચ્યુનર કારનો ચાલક ફરાર થઈ ગયો હતો. જે ઘટનાને પગલે લોકોમાં પણ રોષ જોવા મળ્યો હતો. આ અકસ્માતની ઘટનામાં મૃતકના ભાઈ ભરત રાવળ દ્વારા સેક્ટર ૭ પોલીસ મથકમાં ફરાર થઈ ગયેલા કારના ચાલક સામે ફરિયાદ આપવામાં આવતા પોલીસે ગુનો દાખલ કરીને તેની શોધખોળ શરૃ કરી છે.

બીજા બનાવમાં મોપેડને અડફેટે લીધું
ગાંધીનગર આસપાસના હાઇવે માર્ગો ઉપર અકસ્માતની ઘટના વધી રહી છે ત્યારે શહેર નજીક નરોડા ચિલોડા હાઇવે ઉપર વધુ એક અકસ્માતમાં વૃદ્ધનું મોત થયું છે. જે અકસ્માતની ઘટના અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે હિંમતનગરના દાવડ પેથાપુર ગામે રહેતા અને મંદિરમાં પૂજારી તરીકે કામ કરતા પ્રવીણભાઈ મનુભાઈ સાધુએ ફરિયાદ નોંધાવી હતી કે, તેમના પિતા મનુભાઈ અને માતા અમદાવાદ મહેશ્વરીનગર વિભાગ એક ઓઢવ ખાતે રહેતા હતા અને પ્રાઇવેટ નોકરી કરતા હતા. દરમિયાનમાં આજે સવારના સમયે તેઓ તેમનું મોપેડ લઈને બહેનના ઘરે જમાઈની ખબર કાઢવા માટે નીકળ્યા હતા. તે સમયે નરોડા ચિલોડા હાઇવે ઉપર લવારપુર ગામના પાટીયા પાસે પૂર ઝડપે જઈ રહેલા લોડીંગ રીક્ષાના ચાલકે પાછળથી મનુભાઈના મોપેડને અડફેટે લીધું હતું અને જેના કારણે તેઓ રોડ ઉપર પટકાયા હતા અને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી.

લોડીંગ રીક્ષાના ચાલક સામે ગુનો દાખલ
અકસ્માતની ઘટનાને પગલે આસપાસના લોકો પણ દોડી આવ્યા હતા અને ત્યારબાદ તેમના પરિવારજનોને જાણ કરી હતી. જોકે ગંભીર ઇજાઓને કારણે તેમનું સ્થળ ઉપર જ મોત થયું હતું. ત્યારબાદ આ ઘટના અંગે ડભોડા પોલીસ દ્વારા લોડીંગ રીક્ષાના ચાલક સામે ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૃ કરવામાં આવી છે.