પહલગામના આતંકવાદી હુમલામાં ભાવનગરના પિતા-પુત્ર અને સુરતના 1 યુવકનું મોત, આજે કાશ્મીર બંધનું એલાન

Pahalgam Terror Attack: જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલામાં કુલ 26 લોકોની હત્યા કરવામાં આવી છે. જેમાં ત્રણ ગુજરાતીઓના મોત (Pahalgam Terror Attack) નિપજ્યા છે. આ ગુજરાતી મૃતકોમાં સુરતના એક અને ભાવનગરના પિતા-પુત્ર એટલે બે લોકોના જીવ ગયા છે. આ સાથે આ આતંકી હુમલામાં કુલ 17 લોકો ઈજાગ્રસ્ત છે. જેમાં ગુજરાતના બે લોકો સામેલ છે. આ તમામની હાલ સારવાર ચાલી રહી છે. નોંધનીય છે કે, પીએમ મોદી પોતાનો સાઉદી અરેબિયાનો પ્રવાસ ટૂંકાવીને દિલ્હી પહોંચી ગયા છે. પીએમ મોદી સાથે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ પણ પહોંચ્યા છે.

ભાવનગર કલેક્ટરે શું કહ્યું
જમ્મુ અને કાશ્મીરમાં થયેલ આતંકી હુમલામાં ગુજરાતનાં લોકો ઈજાગ્રસ્ત થયા છે. ભાવનગર કલેક્ટર મનિષકુમાર બંસલ દ્વારા આતંકી મુદ્દાને લઈ નિવેદન આપ્યું છે. ભાવનગરનાં વિનોદભાઈ ભટ્ટ્ ઈજાગ્રસ્ત થયા હોવાનું કલેક્ટર દ્વારા જણાવ્યું હતું. તેમજ ગુજરાત સરકાર જમ્મુ કાશ્મીર સરકારનાં સંપર્કમાં છીએ. તેમજ વિનોદ ભટ્ટ વિશે માહિતી મેળવી રહ્યા છીએ.

પ્રવાસીઓમાં ગુજરાતીઓ હોવાની માહિતી મળી: હર્ષ સંઘવી
જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલા મુદ્દે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું છે કે, કેન્દ્રીય ગૃહ મંત્રાલય સાથે સતત સંપર્કમાં છીએ. આતંકી હુમલા મુદ્દે માહિતી મેળવી રહ્યા છીએ. તેમજ પ્રવાસીઓમાં ગુજરાતી હોવાની માહિતી મળી છે. ગુજરાતીઓને તમામ બનતી સહાય કરવામાં આવશે.

આ ગુજરાતી પરિવારના મોત
આ આતંકી હુમલામાં સુરતના શૈલેષભાઈ હિમ્મતભાઈ કળથિયાનું મોત નિપજ્યું છે. આ સાથે ભાવનગરના સ્મિત પરમાર અને તેમના પિતા યતિન પરમારનું મોત નિપજ્યું છે. જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલામાં મૂળ સુરતના શૈલેષભાઈનું મોત નિપજ્યું છે. તેઓ છેલ્લા ચારેક વર્ષથી મુંબઈમાં સ્થાયી થયેલા હતા. તેમના પત્ની તેમજ બાળકો સાથે તેઓ જમ્મુ કાશ્મીર ફરવા ગયા હતા.

આતંકવાદી દ્વારા થયેલા ગોળીબારમાં શૈલેષભાઈનું મોત નિપજ્યું છે. હાલ શૈલેષભાઈનો પરિવાર પોલીસ પ્રોટેક્શનમાં છે.જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકી હુમલામાં ભાવનગરના બે લોકોના મોત નિપજ્યા છે. ભાવનગરના કાલિયાબીડ વિસ્તારમાં રહેતા યતીન પરમાર (પિતા) અને સ્મિત પરમાર (પુત્ર)નું હુમલામાં મોત નિપજ્યું છે. નોંધનીય છે કે, જમ્મુ કાશ્મીરમાં યોજાયેલી મોરારીબાપુની કથા સાંભળવા ભાવનગરના 20 લોકો ગયા હતા.