પાટણના સમી-રાધનપુર હાઈવે પર બસ અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા 3ના મોત

Patan Accident: પાટણના સમી-રાધનપુર હાઈવે પર બાઈક અને એસટી બસ વચ્ચે ગમખ્વાર અકસ્માતની ઘટના બની છે. જેમાં એસટી બસ સાથે ટક્કર વાગતા બાઈક (Patan Accident) સળગી ઉઠ્યુંં હતું. આ અકસ્માતની ઘટનામાં બાઈક પર સવાર એક મહિલા સહિત ત્રણના મોત થયા છે.

ત્રણ લોકોના થયા મોત
સમી-રાધનપુર હાઇવે ઉપર જલાલાબાદ નજીક એસટી બસને ત્રણ સવારી બાઈક સામે ધડાકાભેર અથડાતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં બસને ટકરાતાં જ બાઈકમાં સવાર રાધનપુર પંથકના બે યુવક અને મહિલા ત્રણેય હવામાં ફંગોળાતા રોડ ઉપર પટકાતાં મોતને ભેટ્યાં હતા. તે જ રફતારમાં બાઈક બસ સાથે અથડાતા જ ગણતરીની સેકન્ડમાં બાઇકમાં આગ ભભૂકી ઉઠતા સળગી ઊઠયું હતું. જેની જ્વાળામાં બાઈક સવાર એક યુવક આવતાં મોઢાનો ભાગ દાઝી ગયો હતો.

ST બસ અને બાઈક અકસ્માત
એસટી બસ સાથે બાઈકની ટક્કર વાગતા બાઈક પર સવાર મંજુલાબહેન, પ્રવિણભાઈ દેવીપૂજક અને મુકેશભાઈ ઠાકોરનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. આ ગંભીર અકસ્માતની ઘટના બાદ થોડી જ વારમાં બાઈક સળગી ઉઠ્યું હતું. સમી-રાધનપુર હાઈવે આ ગમખ્વાર અકસ્માત બાદ સમી પોલીસ અને 108ની ટીમ ઘટના સ્થળે દોડી આવીને ત્રણેય મૃતદેહને હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા.

બાઈકની પેટ્રોલની ટાંકી અથડાતાં સ્પાર્કથી સળગ્યું
અકસ્માત થતાં જ બાઈક સળગી ઊઠ્યું હતું. જે પોલીસના સૂત્રોએ અનુમાન વ્યક્ત કરતા જણાવ્યું હતું કે બાઈક માં પેટ્રોલની ટાંકીનો ભાગ બસ સાથે અથડાતા સ્પાર્ક થવાના કારણે આગ લાગી ગઈ હતી. આગની જ્વાળા નજીક જ યુવક મુકેશ પટકાયો હોય આગની જાળાની લપેટમાં આવતા તેનો મોઢાનો ભાગ દાઝી ગયો હતો. આખો સળગ્યો નથી.