ગુજરાતમાં ફરી મોટી દુર્ઘટના! સુરતમાં તાશના પત્તાની જેમ તૂટી પડી 5 માળની બિલ્ડીંગ ધરાશાયી; દટાયા 6 પરિવાર

Building Collapsed in Surat: ગુજરાત સહીત સુરતમાં બરાબરનું ચોમાસું જામ્યું છે ત્યારે છેલ્લાં કેટલાંક દિવસથી શહેરમાં વૃક્ષો અને જર્જરિત મકાનો પડવાની ઘટનામાં વધારો થયો છે. હજુ થોડા દિવસ પહેલાં મહિધરપુરામાં એક જૂનું જર્જરિત મકાન તૂટી પડ્યું હતું તે ઘટના ભૂલાઈ નથી ત્યાં આજે સચિન(Building Collapsed in Surat) નજીક આવેલા પાલી ગામમાં 5 માળની બિલ્ડિંગ પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ છે. આ મકાનના કાટમાળ નીચે 8થી 10 લોકો દબાયા હોવાની આશંકા છે. તંત્ર દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું છે.

પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ બિલ્ડીંગ
પ્રાપ્ત માહિતી અનુસાર સચિનના પાલી ગામ વિસ્તારમાં આવેલી ડીએમ નગરમાં એક છ માળની બિલ્ડિંગ ઉભી હતી. આ બિલ્ડિંગ માત્ર 8 વર્ષ જ જૂની હતી. તે આજે અચાનક જ પત્તાના મહેલની જેમ તુટી પડી હતી. બિલ્ડિંગ પડી ત્યારે તેની અંદર લોકો હતાં. આ દુર્ઘટનામાં અંદાજે 15 જેટલાં લોકોને નાની મોટી ઈજા થઈ હોવાનું જાણવા મળ્યું છે.

ફાયર જવાનોએ રેસ્ક્યુ હાથ ધર્યું
ઘટનાની જાણ થતાં સચિન પોલીસ અને આસપાસના ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસ અને ફાયરે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. જમીનદોસ્ત થયેલી બિલ્ડિંગના કાટમાળની નીચે કેટલાંક લોકો દબાયા હોવાની આશંકા સાથે સાવચેતીપુર્વક ફાયરના જવાનોએ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું છે.કાટમાળને ખૂબ જ સાચવીને ખસેડવામાં આવી રહ્યો છે, જેથી કોઈ નીચે દબાયું હોય તો તેને બચાવી શકાય. બીજી તરફ દુર્ઘટનાની જાણ થતાં જ મોટી સંખ્યામાં લોકો પણ ઉમટી પડ્યાં છે. ત્યારે આ બિલ્ડીંગ ક્યા કારણોસર ધરાશાયી થઈ તે અંગે કોઈ સ્પષ્ટતા તંત્ર તરફથી મળી નથી.

રાત્રે પણ રેસ્ક્યુ ઓપરેશન ચાલુ રાખવા લાઈટની વ્યવસ્થા કરાઈ
સુરત મનપાના વોર્ડ નં. 30માં પાલી ગામ ખાતે ડીએમ નગરમાં 5 માળનું બિલ્ડિંગ મેઈન્ટેનન્સના અભાવે ધરાશાયી થયું છે. આ બિલ્ડિંગના કાટમાળમાં 8થી 10 લોકો દબાયા હોવાની આશંકા છે. દુર્ઘટનામાં એક મહિલાને ઈજા થતા તેને સિવિલમાં સારવાર માટે ખસેડાઈ છે. ઘટનાને પગલે જિલ્લા કલેક્ટર, મેયર, ડેપ્યુટી મેયર, ઝોન બીના અધિકારીઓ અને કોર્પોરેટરો ઘટના સ્થળે પહોંચી ગયા છે. દરમિયાન રાત્રિના અંધારામાં પણ રેસ્ક્યુ ઓપરેશન ચાલુ રાખવા કલેક્ટરની સૂચનાને પગલે હેવી લાઈટ ફોક્સની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.

વર્ષ 2016માં ગેરકાયદે બાંધકામ કરાયું હતું
વધુમાં મળતી માહિતી અનુસાર આ દુર્ઘટનામાં 8 લોકો દટાયા છે. આ બિલ્ડિંગ 2016માં ઉભું કરાયું હતું. આ ગેરકાયદે બાંધકામ હતું. ઘણા વર્ષો સુધી બિલ્ડિંગ ખાલી રહ્યું હતું. થોડા સમય પહેલાં આ બિલ્ડિંગમાં બે પરિવાર ભાડે રહેવા આવ્યા હતા.