ગુજરાતમાં ચાંદીપુરા વાયરસથી નિપજ્યાં 65ના મોત, કેસ 55ને પાર; જાણો વિગતે

Chandipura Virus: ગુજરાતમાં ચાંદીપુરા કેસની સંખ્યા સતત વધી રહી છે. રાજ્યમાં કુલ 61 બાળકોએ ચાંદીપુરા વાયરસને કારણે જીવ ગુમાવ્યા છે. તો કુલ પોઝિટિવ કેસની સંખ્યા 56 છે.નોંધનીય છે કે, ગુરૂવારે (પહેલી ઓગસ્ટ) સુરેન્દ્રનગરના વસ્તડી ગામના 11 વર્ષના બાળકનું ચાંદીપુરાના(Chandipura Virus) કારણે મૃત્યુ થયું હતું. આ બાળકની રાજકોટની હૉસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. જેનો બે દિવસ પહેલાં તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

જાણો ક્યા કેટલા કેસ નોંધાયા
મળતી માહિતી અનુસાર, ગુજરાતમાં હાલ ચાંદીપુરા વાયરસના 56 પોઝિટિવ કેસ છે. જેમાં સાબરકાંઠામાં 6, અમદાવાદ, રાજકોટ, સુરેન્દ્રનગર, અરવલ્લી, દાહોદ, કચ્છમાં 3, ગાંધીનગર, મહીસાગર, સુરત 2, ખેડામાં 5, મહેસાણામાં 5, પંચમહાલમાં 7, જામનગર, મોરબી, વડોદરા, બનાસકાંઠા, દેવભૂમિ દ્વારકા, ભરૂચ, પોરબંદર, પાટણમાં 1 કેસ નોંધાયો છે.

વાયરલ એન્કેફેલાઇટિસના કુલ 27 દર્દી હોસ્પિટલમાં સારવાર હેઠળ
ગુજરાતમાં વાયરલ એન્કેફેલાઇટિસના કુલ 148 કેસ છે. વાયરલ એન્કેફેલાઇટિસના કુલ 27 દર્દી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને 60 દર્દીઓને રજા અપાઈ છે. કુલ 21 જિલ્લામાં ચાંદીપુરાના પોઝિટિવ કેસ નોંધાઇ ચૂક્યા છે. તો બીજી તરફ વડોદરાની સયાજી હોસ્પિટલમાં હાલ ચાર બાળકો વોર્ડમાં અને ચાર બાળકો આઇસીયુમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસની સારવાર લઇ રહ્યા છે જયારે ગોત્રી હોસ્પિટલમાં એક બાળક શંકાસ્પદ ચાંદીપુરા વાયરસની સારવાર હેઠળ છે.

વર્ષ 2010થી આ ચાંદીપુરા વાયરસના કેસ વધારે
મહારાષ્ટ્રના ચાંદીપુરા ગામમાં આ વાયરસનો પહેલો કેસ જોવા મળ્યો હતો. એ સમયે ટેકનોલોજી અને હોસ્પિટલોના અભાવને કારણે કેટલાય બાળકોના મોત પણ થયા હતા, એ સમયે આ વાયરસ ક્યાંથી આવ્યો એ કોઈને ખબર પડી ન હતી, પરંતુ ચાંદીપુરા ગામમાં પહેલો કેસ સામે આવ્યો એટલા માટે લોકો આને ચાંદીપુરા વાયરસ નામથી ઓળખવા લાગ્યા. વર્ષ 2010થી આ ચાંદીપુરા વાયરસના કેસ વધારે દેખાવા લાગ્યા છે.

ચાંદીપુરા વાયરસ ફેલાવતી સેન્ડ ફ્લાય માખી કઈ રીતે જોખમી હોય છે?
સેન્ડ ફ્લાય માખી ઘરની અંદરની બાજુએ કાચી કે પાકી દિવાલ પર ભેજવાળા વાતાવરણમાં થાય છે.
આ સેન્ડ ફ્લાય નરી આંખે જોઈ શકાય તેવી સામાન્ય માખી કરતાં ચાર ગણી નાની હોય છે.
સેન્ડ ફ્લાય ગ્રામ્ય વિસ્તારના ખાસ કરીને માટીના ઘરમાં દિવાલની તિરાડોમાં રહે છે.
સેન્ડ ફ્લાય દ્વારા ચાંદીપુરા ઉપરાંત કાલા આઝાર જેવા રોગ પણ ફેલાય છે.
સામાન્ય રીતે 14 વર્ષ સુધીના બાળકો કે જેમની રોગપ્રતિકારકશક્તિ ઓછી હોય તેમને થવાનું જોખમ રહે છે.