હવસખોરનું રાક્ષસી કૃત્ય: નરાધમે 77 વર્ષીય વૃદ્ધા પર આચર્યું દુષ્કર્મ, જાણો સમગ્ર ઘટના

Surendranagar Rape Case: સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે. ફાયરિંગ, મારામારી, જૂથ અથડામણ, છેડતી, ચોરી, લૂંટફાટ, હત્યાની સાથે-સાથે દુષ્કર્મના બનાવોમાં પણ ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે. એવામાં સુરેન્દ્રનગર (Surendranagar Rape Case) જિલ્લાના લીંબડી તાલુકાના ભોંયકા ગામે માનવતાને શર્મશાર કરે તેવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં 77 વર્ષીય વૃદ્ધ મહિલા પર અજાણ્યા ઈસમે દુષ્કર્મ ગુજારતા તેમને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

નરાધમએ વૃદ્ધાની એકલતાનો લાભ ઉઠાવી આચર્યું દુષ્કર્મ
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, દુષ્કર્મનો ભોગ બનેલી 77 વર્ષીય વૃદ્ધ મહિલા જામનગરમાં રહેતી પોતાની પુત્રીને ત્યાં રહેતી હતી. જો કે આજથી 10 દિવસ અગાઉ જ તે સુરેન્દ્રનગરના ભોંયકા ગામ સ્થિત પોતાના વતને પરત ફરી હતી. જ્યાં બળાત્કારી યુવક પહેલા ગટર કાઢીને વૃદ્ધાના ઘરમાં ઘૂસી ગયો હતો અને પૈસાની માંગણી કરી હતી.

જે બાદ વૃદ્ધાની એકલતાનો લાભ ઉઠાવીને તેના પર બળાત્કાર ગુજારીને ફરાર થઈ ગયો હતો. આ ઘટના બાદ વૃદ્ધાને તાત્કાલિક સારવાર અર્થે સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. જ્યાં તેઓની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.

પરિવારે ન્યાયની માંગ કરી
બીજી તરફ આ બનાવની જાણ થતાં DySp સહિતનો કાફલો દોડતો થઈ ગયો છે. હાલ તો આ ઘટનાને લઈને તાત્કાલિક તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે. જ્યારે દુષ્કર્મ પીડિતાની જામનગર રહેતી પુત્રી પણ પોતાના પરિવાર સાથે સુરેન્દ્રનગર સિવિલ દોડી આવી હતી. જ્યાં તેણે ન્યાયની માંગણી કરી છે.તેમજ 77 વર્ષની વૃદ્ધા સાથે દુષ્કર્મની ઘટના બનતા આસપાસના વિસ્તારમાં ચકચારી મચી છે.