‘ભાજપે ગુજરાતના એક કરોડ બાળકોનું ભવિષ્ય બગાડ્યું છે’ – મનીષ સિસોદિયા

ગુજરાત(Gujarat): આમ આદમી પાર્ટી(AAP) આજે ગુજરાતના લોકોના ઘરે ઘરે પહોંચી રહી છે. છેલ્લા ઘણા મહિનાઓથી સતત વિવિધ કાર્યક્રમો દ્વારા આમ આદમી પાર્ટીએ ગુજરાતના ખૂણે-ખૂણે પોતાને પહોંચાડી છે અને પોતાનું સંગઠન મજબૂત કર્યું છે. તિરંગા યાત્રા, પરિવર્તન યાત્રા, ડોર ટુ ડોર ગેરંટી રજીસ્ટ્રેશન કેમ્પેન અને પદયાત્રા જેવા અનેક કાર્યક્રમોનું આયોજન આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવ્યું છે. ગયા મહિને આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા અને દિલ્હીના નાયબ મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયા(Manish Sisodia)એ ઉત્તર ગુજરાતના અનેક શહેરોમાં તિરંગા યાત્રાના કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આજે ફરી એકવાર મનીષ સિસોદિયાએ અમદાવાદમાં પદયાત્રા કાર્યક્રમમાં ભાગ લીધો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, પદયાત્રાની શરૂઆતમાં જ મનીષ સિસોદિયાએ ભારત રત્ન બાબાસાહેબ આંબેડકરજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી અને તેમના આશીર્વાદ લીધા હતા. ત્યારબાદ મનીષ સિસોદિયાજી, ઇસુદાન ગઢવી અને ગોપાલ ઇટાલિયાએ પદયાત્રાનો પ્રારંભ કર્યો હતો. આ પદયાત્રામાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓની સાથે અમદાવાદના સ્થાનિક લોકો પણ જોડાયા હતા.

પદયાત્રામાં જોડાયેલા હજારો લોકોની ઉપસ્થિતિએ આમ આદમી પાર્ટીનો ઉત્સાહ બમણો કરી દીધો છે. મનીષ સિસોદિયાએ પદયાત્રા દરમિયાન સ્થાનિક લોકોનું અભિવાદન કર્યું હતું. અમદાવાદની સાથે સમગ્ર ગુજરાતના લોકો અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયા તરફ આશાભરી નજરે જોઈ રહ્યા છે. અને આ જ આશા આમ આદમી પાર્ટીને વધુમાં વધુ મજબૂત બનાવી રહી છે અને તેથી જ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય અને રાજ્ય કક્ષાના નેતાઓ અને સમગ્ર ગુજરાતના કાર્યકર્તોઓ દિવસ-રાત કામ કરી રહ્યા છે. પદયાત્રાની સફળતા જોઈને આજે દરેક લોકો ખુશ છે અને આવનારા સમયમાં હજુ પણ વધારે મહેનત કરવા માટે તૈયાર છે.

દિલ્હીના નાયબ મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયાએ પદયાત્રામાં ઉપસ્થિત હજારો લોકોને સંબોધતા કહ્યું કે, સૌ પ્રથમ, તમને બધાને અભિનંદન, પૂરા ઉત્સાહ સાથે આજે તમે અહીં આવ્યા છો. ઘરોમાં, દુકાનોમાં બેઠેલા લોકોની પ્રતિક્રિયા જણાવી રહી છે કે, ગુજરાત આ વખતે ઘણાં મોટા પરિવર્તન માટે તૈયાર છે. આ ઉત્સાહને બનાવી રાખજો. ચૂંટણી આવવાની છે અને આવનારી ચૂંટણીમાં આ વખતે પરિવર્તન શાળાઓ માટે હશે. ગુજરાતના એક કરોડ બાળકોનું ભવિષ્ય ભાજપે બગાડી દીધું છે.

વધુમાં ઉમેરતા કહ્યું હતું કે, પ્રાઇવેટ શાળાઓમાં ભણતા બાળકોનું ભવિષ્ય તેમણે બગાડ્યું છે, ફીના નામે તેમના વાલીઓ લૂંટાઈ રહ્યા છે અને સરકારી શાળાઓમાં ભણતા બાળકોનું ભવિષ્ય તેમણે બગાડી દીધું છે કારણ કે ત્યાં પણ યોગ્ય શિક્ષણ આપવામાં આવતું નથી. મહેનત કરીને આ વખતે આમ આદમી પાર્ટીની સરકાર બનાવો. ગુજરાતની એક-એક શાળાને દિલ્હીની જેમ શાનદાર બનાવી દેવામાં આવશે. કેજરીવાલએ દિલ્હીમાં કરીને બતાવ્યું છે અને અહીં પણ કરીશું. દરેક ઘરમાં 300 યુનિટ વીજળી મફત, દરેક બહેનના ખાતામાં પૈસા, યુવાનોને રોજગાર અને પેપર લીક સામે કડક કાયદો, પેપર ફોડી નાખનારાઓને જેલમાં ધકેલી દેવાની વ્યવસ્થા એ કેજરીવાલની ગેરંટી છે.

સાથે જ કહ્યું હતું કે, બસ, તમને એક જ વિનંતી છે કે, આ પરિવર્તનની આગને પ્રજ્વલિત રાખો. આ પરિવર્તન બલિદાન પણ માંગે છે. આ પરિવર્તન કુરબાની પણ માંગે છે. અત્યારે દિલ્હીમાં લોકો મારી પાછળ પડ્યા છે, તમારા પાછળ પણ પડશે એવું પણ થઇ શકે છે. પરંતુ એટલી માની લો કે, ભાજપ જેટલી પોલીસને, CBI ને, EDને આગળ કરે છે, એનો અર્થ એ થાય છે કે ભાજપ તમારાથી ડરે છે, આ ભાજપવાળા જેટલા CBI ની પાછળ સંતાય છે, પોલીસની પાછળ સંતાય છે, ED ની પાછળ સંતાય છે, તેનાથી એટલી ખબર પડે છે કે, તેઓ ગુજરાતના યુવાનોથી કેટલા ડરે છે. આ ડરને હજુ વધારો એમનાં મનમાં અને જ્યાં સુધી તેમની હાર ન થાય ત્યાં સુધી આ ડર વધવો જોઈએ. આ વખતે તેમને બતાવી દો કે ભાજપે 27 વર્ષમાં જે નથી કર્યું, અરવિંદ કેજરીવાલજીની સરકાર 5 વર્ષમાં તે કરી બતાવશે જેની જનતાને જરૂર છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં આયોજિત આ પદયાત્રામાં દિલ્હીના નાયબ મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયા સાથે આમ આદમી પાર્ટીના નેશનલ જોઇંટ જનરલ સેક્રેટરી ઇસુદાન ગઢવી અને પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયા હાજર રહ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *