આજથી 600 એકરમાં બનેલા ‘પ્રમુખસ્વામી નગર’ના દ્વાર જનતા માટે ખુલ્લા- અમિત શાહ કરશે માનવ-ઉત્કર્ષ ઉત્સવનો શુભારંભ

Pramukh Swami Maharaj Shatabdi Mahotsav: આજથી પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવનો શુભારંભ થઇ ગયો છે. અમદાવાદ(Ahmedabad)ના ઓગણજ-સાયન્સ સિટી વચ્ચે રિંગ રોડ(Ring Road) પાસે આજથી પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની શરૂઆત થઈ રહી છે. જેની માટે 600 એકરમાં વિશાળ સ્વામિનારાયણ નગર તૈયાર કરવામાં આવ્યું છે. જેનું ગઇકાલે પૂજ્ય મહંતસ્વામી મહારાજ અને PM મોદીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ત્યારે આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ આવશે અને આ પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં ભાગ લેશે. અમિત શાહના હસ્તે આજે માનવ ઉત્સવનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. સતત 1 મહિના સુધી નગરમાં માનવ ઉત્સવ ચાલશે.

રોજ 1 લાખ જેટલા મુલાકાતીઓ મુલાકાત લે તેવો અંદાજ:
અમે તમને જણાવી દઇએ કે, સતત 1 મહિના સુધી ચાલનારા આ મહોત્સવમાં રોજ 1 લાખ જેટલા મુલાકાતીઓ મુલાકાત તેવો અંદાજ છે. આ સાથે શનિવાર-રવિવારે તો આ સંખ્યા કદાચ 2થી 3 લાખે પહોંચે તો નવાઈ નહી. ત્યારે આટલા મોટા આયોજનમાં પાર્કિંગથી લઈને મુલાકાતીઓનું સંચાલન કરવા માટેનું ભવ્ય અને જોરદાર આયોજન કરવામાં આવ્યું છે.

પ્રમુખસ્વામી નગરમાં દરોજ જુદા-જુદા પ્રકારના કાર્યક્રમો યોજાશે:
અમે તમને જણાવી દઈએ કે, 1 મહિના સુધી ચાલનારા પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં 15 જાન્યુઆરી સુધીમાં અનેક મહાનુભવો મુલાકાત લેશે. આજથી સામાન્ય જનતા માટે 600 એકરમાં બનેલા નગરના દ્વાર ખુલી જશે. બપોરના 2 વાગ્યાથી રાત્રિના 9 વાગ્યા સુધી આ નગર ખુલ્લું રહેશે. આ પ્રમુખસ્વામી નગરમાં રોજબરોજ અલગ-અલગ કાર્યક્રમો યોજાશે.

જાણો તારીખ મુજબ સમગ્ર કાર્યક્રમ:
15 ડિસેમ્બરે ગૃહમંત્રી અમીતભાઈ શાહથી લઈને દેશ-વિદેશના મહાનુભાવોની ઉપસ્થિતિમાં 30 દિવસીય કાર્યક્રમોના ‘ઈન્ટરનેશનલ કન્વેન્શન ફોર બેટર લિવિંગ’નો આરંભ થશે. જયારે 18-19 ડિસેમ્બરે મંદિર શિલ્પ સ્થાપત્ય પર કોન્ફરન્સની સાથે વિશિષ્ટ મહાનુભાવો લાભ આપશે.

20 ડિસેમ્બરના રોજ આંતરરાષ્ટ્રીય સંવાદિતા દિને તમામ ધર્મોના વડાઓ એકત્રિત થઈને મંચ પરથી એકતાનો સંદેશ આપશે.સાથે જ 21 અને 22ના રોજ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિઓના ઉત્કર્ષ અંગે કાર્યક્રમો થશે, જેમાં ભારતના વિવિધ પ્રાંતોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહેશે.

સાથે જ 25 ડિસેમ્બરના રોજ રાષ્ટ્રીય સંતસંમેલન યોજાશે, જેમાં શ્રીમદ્ શંકરાચાર્યજી સ્વામી સદાનંદજી મહારાજની ઉપસ્થિતિમાં વિવિધ મઠ-સંપ્રદાય-અખાડાઓના પૂર્વ-પશ્ચિમ-ઉત્તર-દક્ષિણના પ્રતિનિધિરૂપ સેંકડો સંતો ઉપસ્થિત રહેશે અને સંત મહિમાનું ગાન કરશે. જયારે 26 ડિસેમ્બરે સ્વામિનારાયણીય સંતસાહિત્યની છણાવટ કરતું વિદ્વત્ સંમેલન થશે.

31 ડિસેમ્બરના રોજ ભારતની સંસ્કૃત યુનિવર્સિટીઓના ઉપકુલપતિઓ અને વિદ્વાનોની ઉપસ્થિતિમાં વિશિષ્ટ તત્ત્વજ્ઞાન સમારોહ યોજાશે, જેમાં પ્રકાંડ વિદ્વાનો દાર્શનિક સંવાદો કરશે. મહત્વનું છે કે, 3-4 જાન્યુઆરીએ બાળ-યુવા સંમેલનો યોજાશે, જેમાં દેશ-વિદેશના બાળકો-યુવાનોની રોમાંચક રજૂઆતો થશે. 5 અને 10 જાન્યુઆરીએ આંતરરાષ્ટ્રીય મહિલા કાર્યક્રમો યોજાશે.

સાથે જ 6 થી 11 જાન્યુઆરી દરમ્યાન નોર્થ અમેરિકા દિન, યુ.કે.-યુરોપ દિન, આરબદેશો દિન, આફ્રિકા ખંડ દિન, ઓસ્ટ્રેલેશિયા દિન વગેરે કાર્યક્રમો દ્વારા જુદા જુદા દેશોના રાજદૂતો અને પ્રખર નેતાઓની ઉપસ્થિતિમાં વિવિધ પ્રસ્તુતિઓ થશે અને 15 જાન્યુઆરીએ મહોત્સવનો શાનદાર પૂર્ણાહૂતિ સમારોહ લાખોની જનમેદની વચ્ચે યોજાશે.

અત્રે ઉલ્લેખનીય છે કે આ કાર્યક્રમોમાં હાજર રહેનારા મહાનુભાવોમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડજી, અમીતભાઈ શાહ, લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા, વિદેશમંત્રી જયશંકર તેમજ વિદેશના મહાનુભાવો સહિત અગ્રણીઓ હાજર રહેશે. પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવ સ્થળે દરરોજ બપોરે 2.00 વાગ્યાથી રાત્રે 9.00 વાગ્યા સુધી પ્રવેશ મળશે. જયારે રવિવારે સવારે 9.00 વાગ્યાથી રાત્રે 9.00 વાગ્યા સુધી પ્રવેશ મળશે. રોજ રાત્રે 10.00 વાગ્યે પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવ સ્થળ બંધ થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *