“બા બેસી ગયા” પદ્મિનીબાને હવે ભાજપમાં જવાના અભરખા જાગ્યા? કે કેસથી બચવા હથિયાર મુક્યા?

Padmini ba Vala: ક્ષત્રિય સમાજના આંદોલનમાં એક વખતે મહત્વની ભૂમિકા ભજવ્યા બાદ નાટકીય રીતે યૂ ટર્ન લઇ સંકલન સમિતિ સામે સવાલો ઉઠાવનાર રાજકોટના પદ્મિનીબા વાળાએ (Padmini ba Vala) રૂપાલાને માફી આપવાની જાહેરાત કરી હતી, તેમજ ભવિષ્યમાં પોતે ભાજપમાં જોડાઇ શકે તેવા નિવેદન પણ આપ્યા હતા.પદ્મિનીબા વાળાએ પત્રકાર પરિષદ યોજીને કહ્યું હતું કે,અમારું આંદોલન નિષ્ફળ ગયું છે તેમ છતાં અમે રૂપાલાને માફ કરી રહ્યા છીએ. સંકલન સમિતિ સમાજને ગુમરાહ કરી રહી છે. સમાજના આગેવાનો સામાજિક ન રહી શક્યા.

લોકોએ પદ્મિની બા પર કર્યાં આક્ષેપો
શુક્રવારે પદ્મિનીબા વાળા મીડિયા સમક્ષ આવ્યા હતા અને તેમણે કહ્યું હતું કે, લોકસભાની ચૂંટણીનું મતદાન પૂરું થયા બાદ પણ ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ પાંચમી વખત માફી માગી તે તેમની માનવતા દર્શાવે છે, તેમની ઉંમર અને તેમણે પાંચ પાંચ વખત માફી માગતા પોતે તથા તેમની ટીમ રૂપાલાને માફી આપે છે.

ત્યારે સોશિયલ મીડિયામાં આ અંગે ઘણા લોકોએ આક્ષેપો કર્યાં હતા કે, આખરે જોર જોરથી રાડું નાખવા વાળા તેમજ લોકોને ગેરમાર્ગે દોરવા વાળા પદ્મિની બા આખરે ભાજપુત બની ગયા. હવે ક્યાં ગયું નારીનું સન્માન?, આટલું જલ્દી કોઈ કેવી રીતે પલ્ટી શકે?,આ બીજું કઈ નાઈ સમાજના નામે ચરી ખાય છે.

પદ્મિની બા બેઠા પાણીમાં
આ એ જ પદ્મિની બા છે જેઓએ રૂપાલા વિરુદ્ધ ઉપવાસ કર્યા,અને તબિયત લથડી હતી. કેટલીક સમજાવટ બાદ તેઓએ પારણાં કર્યા હતા. હવે પદ્મિની બાએ ક્ષત્રિય સમાજ સંકલન સમિતિની મહેચ્છાઓ સામે સવાલ ઉઠાવી કેટલાક સદસ્યોને પણ ચોખ્ખું સંભળાવી દીધું હતું.

ત્યારબાદ, સંકલન સમિતિએ આંદોલન વિરામની ઘોષણા કરી. જો કે, શંકરસિંહ વાઘેલાએ આંદોલનની દિશા અંગે ખોડલધામમાં જ મીડિયાને ઈશારો કરી દીધો હતો. અને લગભગ,સ્ક્રીપ્ટ પણ એ જ પ્રમાણે હતી. હવે અમદાવાદમા કરણી સેના સેનાએ પત્રકાર પરિષદમાં રૂપાલા અને ભાજપ સામે ગંભીર આરોપો લગાવ્યા છે .

‘ પી.ટી.જાડેજાએ પોતાનો ફોન બંધ કરી દીધો…’
પદ્મિનીબાએ સંકલન સમિતિને આડેહાથ લેતા ફરીથી કહ્યું હતું કે, સંકલન સમિતિએ તેમને તથા તેમની ટીમને હાથો બનાવી છે, તાજેતરમાં સંકલન સમિતિએ હાલ પૂરતું આંદોલન પૂરું થયાની જાહેરાત કરી તે કોને પૂછીને કરી?, સંકલન સમિતિઅે રૂપાલાને માફ કરવા જોઇએ અથવા આંદોલન કરવું જોઇએ, પરંતુ સમાજના હિતની વાતો કર્યા બાદ સંકલન સમિતિ હવે આગામી દિવસોમાં ટિકિટ મુદ્દે પણ લડત કરવાની વાતો કરી રહી છે તે અયોગ્ય છે. સંકલન સમિતિના કરતૂતોનો ભાંડાફોડ કરવાની વાતો કરનાર પી.ટી.જાડેજાએ પોતાનો ફોન બંધ કરી દીધો છે અને તમામ અંદરો અંદર ખીચડી પકવી રહ્યા છે અને સમાજને ગેરમાર્ગે દોરી રહ્યા છે.