VIDEO: રુદ્રપ્રયાગ પાસે સર્જાયો ભયંકર અકસ્માત: મુસાફરો ભરેલી મીની બસ અલકનંદા નદીમાં પડતાં 8 લોકોએ ગુમાવ્યો જીવ

Rudraprayag Accident: ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ જિલ્લામાં એક મોટી દુર્ઘટના સર્જાય છે. દિલ્હીથી મુસાફરોને લઈને જઈ રહેલી મીની બસ  નિયંત્રણ ગુમાવીને રૂદ્રપ્રયાગ પાસે અલકનંદા નદીમાં પડી ગઈ હતી. આ મીની બસમાં 23 લોકો સવાર હતા. નદીના ધારદાર પ્રવાહમાં બસમાં(Rudraprayag Accident) સવાર તમામ લોકો નદીમાં તણાય ગયા હતા. આ દુર્ઘટનાની માહિતી મળ્યા બાદ પોલીસ પ્રશાસન, જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ, ડીડીઆરએફ અને અન્ય ટીમો ઘટનાસ્થળે પહોંચી અને રાહત કાર્ય શરૂ કર્યું. હાલ નદીમાં લોકોની શોધખોળ શરૂ કરવામાં આવી છે. અત્યાર સુધીમાં આઠ લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે જ્યારે કેટલાક લોકો ઘાયલ છે અને તેમની સારવાર ચાલી રહી છે.

સીએમ ધામીએ ટ્વીટ કર્યું
અકસ્માત બાદ ઉત્તરાખંડના સીએમ પુષ્કર સિંહ ધામીએ ટ્વીટ કર્યું, “…ઘાયલોને નજીકના આરોગ્ય કેન્દ્રોમાં તબીબી સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. જિલ્લા મેજિસ્ટ્રેટને આ મામલે તપાસ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે..

મુસાફરો દિલ્હીથી ચોપટા તુંગનાથ જઈ રહ્યા હતા
એવું કહેવામાં આવી રહ્યું છે કે અકસ્માતનો ભોગ બનેલા 23 મુસાફરો દિલ્હીથી ચોપટા તુંગનાથ જઈ રહ્યા હતા. આ બસમાં ડ્રાઈવર સહિત 23 લોકો સવાર હતા. જો કે આ દુર્ઘટનામાં મૃતકોની હજુ પુષ્ટિ થઈ નથી. જો કે, સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, આ અકસ્માતમાં 10 થી વધુ લોકોના મોત થઈ શકે છે.

આ અકસ્માત બદ્રીનાથ હાઈવેના રેંટોલી પાસે થયો હતો. એસડીઆરએફ અને પોલીસ ટીમ દ્વારા બચાવ કાર્ય કરવામાં આવી રહ્યું છે. અત્યાર સુધી ટીમે બે ઘાયલ લોકોને એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ મોકલી દીધા છે. આ ઘટના અંગે રુદ્રપ્રયાગના એસપી ડૉ. વિશાખા અશોક ભદાનેએ જણાવ્યું કે, માહિતી મળી છે કે રુદ્રપ્રયાગના રંટોલી પાસે હાઈવે પરથી એક મીની ટ્રાવેલ બસ ખાડામાં પડી ગઈ છે.

આ અંગેની માહિતી મળતા જ પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને ઘટનાની તપાસ હાથ ધરી હતી. વાહન પડી જતાં નદીમાં વહી ગયેલા લોકોની શોધખોળ ચાલુ છે.