ગુજરાતમાં મેઘ મહેર ખેડૂતો માટે બન્યો કહેર: 4000 ગામડાઓમાં ખેતીને નુકસાનનો અંદાજ, જાણો વિગતે

Heavy rains in Gujarat: ગુજરાત રાજ્યમાં વરસેલા વરસાદે ભારે તારાજી સર્જી છે. જેનો ભોગ જગતના તાત બન્યા છે. ભારે વરસાદને કારણે ખેતીમાં નુકસાન થવા પામ્યું છે. 12 જીલ્લાના 4 હજારથી પણ વધુ ગામડાઓને ખેતીમાં નુકસાન પહોંચ્યું છે. ખાસ કરીને મગફળી, શેરડી, ડાંગર, શાકભાજીનાં(Heavy rains in Gujarat) પાક સહિત કપાસ, મકાઈ, તલ, દીવેલા, ડુંગળીનાં પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. ત્યારે હવે વરસાદે વિરામ લેતાં 600 જેટલી કૃષિ વિભાગની ટીમ હાલમાં સર્વેની કામગીરી કરી રહી છે. તેમજ વરસાદ ન આવે તો ઝડપથી સર્વે પૂર્ણ થઈ શકે છે.

અતિવૃષ્ટિના કહેર વચ્ચે રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલે ખેડૂતો માટે સહાય જાહેર કરી છે. જુલાઈ મહિનામાં રાજ્યમાં ભારે વરસાદ પડવાથી ખેડૂતોને નુકસાન થવા પામ્યું હતું. ત્યારે કૃષિ વિભાગ દ્વારા રાજ્યનાં 9 જીલ્લાનાં 45 તાલુકામાં આશરે 4,06,892 હેક્ટર વિસ્તારમાં સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. જેમાં SDRF ના નિયમ પ્રમાણે 33 ટકાથી વધુ નુકશાન હોય તેવા આશરે 1.50 લાખથી વધુ ખેડૂતોને 2 હેક્ટરની મર્યાદામાં સહાય મળશે.

વિધાનસભા ગૃહમાં ખેડૂતો માટે કૃષિ રાહત પેકેજની જાહેરાત કરતા કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતના કેટલાક જિલ્લામાં જુલાઈ-2024 માસ દરમિયાન વરસેલા અનરાધાર વરસાદના કારણે ખેડૂતોના ખેતી અને બાગાયતી પાકોને વ્યાપક પ્રમાણમાં નુકશાન થયું છે. ત્યારે આવી વિકટ પરિસ્થિતિમાં જગતના તાતને આર્થિક નુકશાનીમાં સહાયરૂપ થવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની મંજૂરીથી રાજ્ય સરકાર દ્વારા ઉદાર હ્રદયે રૂ. ૩૫૦ કરોડની માતબર રકમનું કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે રાજ્યના ખેડૂતો પર આવેલી કુદરતી આપદાના સમયે કેન્દ્ર તેમજ રાજ્ય સરકાર હંમેશા ખેડૂતોની પડખે અડીખમ ઉભી છે. તેથી ખેડૂતોને વાવણીની શરૂઆતના તબક્કે નુકશાનીમાં સહાય મળે અને તેઓ ઝડપભેર ફરી વાવેતર કરી શકે તે માટે તાત્કાલિક ધોરણે આ ખેડૂત હિતલક્ષી નિર્ણય લેવામાં આવ્યો છે.

જુલાઈ માસમાં જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, આણંદ, ભરૂચ, સુરત, નવસારી અને તાપી જિલ્લાના મળી કુલ ૪૫ તાલુકામાં અનરાધાર ભારે વરસાદ વરસતા આશરે ૪,૦૬,૮૯૨ હેક્ટર વિસ્તાર ભારે વરસાદથી અસરગ્રસ્ત થયો હતો. આ અસરગ્રસ્ત વિસ્તારમાં ૨૭૨ ટીમોની રચના કરી વિગતવાર સર્વે હાથ ધરવામાં આવ્યો છે. જેના આધારે આશરે ૧.૫૦ લાખથી વધુ અસરગ્રસ્ત ખેડૂતોને સહાય આપવામાં આવશે.