ગાંધીનગર: દહેગામમાં ગણેશ વિસર્જનમાં સર્જાઈ કરુણાંતિકા; મેશ્વો નદીમાં 10 થી વધુ લોકો ડૂબ્યા, પાંચના મોત

Gandhinagar Ganesh Visarjan: પાટણ બાદ હવે ગાંધીનગરના દેહગામમાં ગણેશ વિસર્જન (Gandhinagar Ganesh Visarjan) દરમિયાન ૧૦ લોકો નદીમાં ડૂબી ગયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે.

ગાંધીનગરના દહેગામ તાલુકાના વાસણા સોગઠી ગામ પાસે મેશ્વો નદીમાં ગણેશ વિસર્જન સમયે 10 લોકો ડૂબી જતા પાંચના મોત થયા છે જ્યારે અન્ય પાંચની શોધખોળ હાથ ધરવામાં આવી છે. રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસમાં ગણેશ વિસર્જન દરમિયાન બનેલી આ ત્રીજી દુર્ઘટના છે જેમાં કુલ 10 લોકોના મોત નિપજી ચૂક્યા છે.

મળતી માહિતી અનુસાર આજે ગણેશ વિસર્જન સમયે દહેગામના વાસણા સોગઠી ગામ પાસેથી પસાર થતી મેશ્વો નદીમાં 10 લોકો ડૂબ્યા હતા. જેની જાણ થતા જ દહેગામ ફાયરબ્રિગેડની ટીમ અને બહીયલ તરવૈયાઓની ટીમ ઘટનાસ્થળે પહોંચી છે. જયારે 10માંથી પાંચ લોકોની લાશો મળી આવી હતી. જ્યારે અન્ય લોકોની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

બે દિવસ પહેલા પાટણની સરસ્વતી નદીમાં ગણપતિ વિસર્જન દરમ્યાન દુઃખદ ઘટના બની હતી. જેમાં વેરાઈ ચકલા વિસ્તારમાં રહેતા પ્રજાપતિ પરિવારનાં સભ્યો સરસ્વતી નદીમાં ગણપતિ વિસર્જન કરવા ગયા હતા. આ  દરમ્યાન એક જ પરિવારનાં ચાર સભ્યો નદીમાં ડૂબી જવાથી મોત નિપજવાની દુઃખદ ઘટના બનવા પામી હતી.