‘ચૈતર વસાવા ન્યાય ના અપાવે ત્યાં સુધી નહીં ઊતરું…’, કેવડિયાનો ખેડૂત માગ ન સંતોષાતાં ટાવર પર ચઢ્યો

Chaitar Vasava: નર્મદા જીલ્લાના ગરુડેશ્વર તાલુકના કેવડીયા ગામમાંથી એક અજીબ કિસ્સો સામે આવ્યો છે. જ્યાં કેવડિયા ગામનો રહીશ અને અસરગ્રસ્ત ખેડૂત ગણપતભાઇ શંકરભાઈ તડવી BSNLના ટાવર પર વહેલી સવારથી ઉપરથી કૂદીને આત્મહત્યા કરવાના ઇરાદે (Chaitar Vasava) ચઢી ગયો છે. આસપાસના લોકો અને ગામજનોએ ટાવર પર વ્યક્તિને જોતા જ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. પોલીસ અને વહીવટી તંત્ર તાત્કાલિક સ્થળ પર દોડી આવી યુવકને ઉતારવાનો પ્રયાસ કર્યો હતો.

આ સાથે જ ફાયરબ્રિગેડ દ્વારા નીચે ઉતારવાની કોશિશ પણ કરવામાં આવી રહી છે, પરંતુ યુવક બસ એક જ રટણ કરી રહ્યો છે- જ્યાં સુધી ‘ચૈતર વસાવા મને ન્યાય નહીં અપાવે ત્યાં સુધી નીચે નહીં ઊતરું, 2 વાગ્યા સુધીમાં ન્યાય ન મળ્યો તો અહીં જ ફાંસો ખાઈ લઈશ.’ આ બનાવની જાણ થતા જ નાંદોદના ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આ સમસ્યાને સમજી સાંભળી તંત્રને આ અંગે સચોટ નિર્ણય લાવે તેમ જણાવ્યું હતું.

ત્યાર બાદ અધિકારીએ ટેલીફોનીક કેવડિયા ગામના આગેવાન ગણપતભાઈ શંકરભાઈ તડવી સાથે વાત કરી હતી. તો તેમણે જણાવ્યું હતું કે, કંઈ સાંભળવું નથી મારે, ચૈતર સાહેબ આવશે પછી હું આવીશ. ત્યાર બાદ ફરજ પરનાં અધિકારીએ જણાવ્યું કે, નાંદોદના ધારાસભ્ય આવ્યા છે. તો ગણપતભાઈએ કહ્યું કે મારે કોઈ ધારાસભ્ય સાથે લેવાદેવા નથી, હું બહુ થાકી ગયો છું ને ત્યાંના હાજર ગ્રામજનોની અધિકારીઓ સાથે ચકમક જોવા મળી હતી.

મળતી માહિત અનુસાર કેવડિયા ગામનો રહીશ ગણપતભાઈ શંકરભાઈ તડવી પોતાની માગણી ન સંતોષાતાં અને અધિકારીઓ જોડેથી ફક્ત ઉડાઉ જવાબો મળતાં  આજે વહલી સવારે BSNLની ટાવર પર આત્મહત્યા કરવાની ચીમકી સાથે ચડી ગયો છે. ત્યારે આ મામલે કેવડિયા કોલોનીના આગેવાન રણજિત તડવીએ ગણપતભાઇ તડવી સાથે ટેલિફોનિક વાત કરી હતી અને તેમણે જણાવ્યું હતું કે અમારું કોઈ સાંભળતું નથી, છેલ્લાં 5 વર્ષથી અમને ધક્કા ખવડાવે છે. વડીલોપાર્જિત જમીનો નિગમે લઈ લીધી અને હવે હોટલો અને મોલ બનાવવા ઉદ્યોગપતિઓને ઊચા ભાવે વેચી રહ્યા છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે અમારી જમીન અમને પાછી આપો નહિ તો યોગ્ય વળતર આપો, અને યુવકે સ્થાનિક રોજગારી આપવાની પણ માંગ કરી હતી,

તાજેતરમાં કેવડિયા સત્તામંડળ દ્વારા વિવિધ વિભાગોમાં ભરતીપ્રક્રિયા કરતા હોવાથી સ્થાનિકોનો સમાવેશ કરતા નથી અને બહારના લોકોને ભરતી કરવામાં આવે છે તેમ જણાવ્યું હતું. વધુમાં તેમણે જણાવ્યું હતું કે જો મારી માગણી 2 વાગ્યા સુધીમાં નહીં પૂરી થાય તો હું ઉપર ગળાફાંસો ખાવાનું લઈને આવ્યો છું… ચૈતર વસાવાને અહીં બોલાવો અને મને ન્યાય અપાવડાવો. 2 વાગ્યા સુધીમાં જો યોગ્ય જવાબ અને ન્યાય નહીં મળે તો હું નીચે ઉતારવાનો નથી ને અહીં જ ફાંસો ખાઈ આત્મહત્યા કરી લઇશ. બીજી તરફ ગણપતભાઇએ CEO એકતાનગર સત્તામંડળને કેટલીક બાબતોની માગ લેખિતમાં આપી હતી. અધિકારીઓ સ્થાનિકોની કોઈ વાત ના સાંભળતા હોવાથી આવું પગલું ભર્યું હોવાની હાલ ચર્ચા ચાલી રહી છે. આ તરફ તંત્ર અને અધિકારીઓ ગણપતભાઈને ટાવર પરથી ઉતારવાની મથામણ કરી રહ્યા છે. હવે જોવું એ રહ્યું કે માગ સ્વીકારાય છે કે નહીં.