ગણેશ વિસર્જને મૂર્તિઓ કેમ પાણીમાં પધરાવી દેવાય છે? મહાભારત સાથે જોડાયેલી છે માન્યતા

Ganesh Visarjan 2024: ગણેશ વિસર્જનના દિવસે ભક્તો નાચતા ગાતા ગણપતિને વિદાય આપે છે અને તેની મૂર્તિને પવિત્ર નદી કે કૃત્રિમ તળાવમાં, તેમજ દરિયામાં વિસર્જિત (Ganesh Visarjan 2024) કરે છે. જતા જતા ગણપતિ મહારાજ પોતાના ભક્તોના શુભ સંકલ્પો પૂર્ણ કરે છે. પરંતુ શું તમે ક્યારેય પણ જાણવાનો પ્રયત્ન કર્યો છે કે શા માટે ગણપતિનું વિસર્જન કરવામાં આવે છે.

ગણપતિ ની વિદાય નું દ્રશ્ય ખૂબ મનમોહક હોય છે. ગણેશ વિસર્જનના દિવસે ભક્તો નાચતાં-ગાતા ગણપતિને વિદાય આપવા માટે જાય છે અને તેની પ્રતિમાને નદીઓ કે દરિયામાં વિસર્જિત કરે છે. જતા જતા ગણપતિ ભક્તોની મનોકામનાઓ પૂર્ણ કરે છે. દસ દિવસ પૂજા અર્ચના કર્યા બાદ ગણપતિની પ્રતિમાને પાણીમાં શા માટે વિસર્જિત કરવામાં આવે છે? આવો તેના વિશે આજે તમને અહીંયા વિસ્તારથી જણાવીએ.

પૌરાણિક માન્યતાઓ અનુસાર ભગવાન શ્રી વેદ વ્યાસજીએ ગણેશ ચતુર્થીના દિવસે ગણપતિ મહારાજને મહાભારતની કથા સતત દસ દિવસ સુધી સંભળાવી હતી. પરંતુ જ્યારે દસ દિવસ બાદ વેદવ્યાસજીએ પોતાની આંખો ખોલી તો તેમને જણાયુ કે દસ દિવસ સખત મહેનત કર્યા બાદ ગણપતિના શરીરનું તાપમાન ખૂબ વધી ગયું હતું. અને તેઓ લાલચોળ થઇ ગયા હતા. એવામાં પછી તરત જ શ્રી વેદ વ્યાસજીએ ગણપતિને નજીકના સરોવરમાં લઈ ગયા અને ઠંડા પાણીથી સ્નાન કરાવ્યું હતું. એટલા માટે જ કહેવામાં આવે છે કે ગણપતિની સ્થાપના કર્યા બાદ ચતુર્દશીના દિવસે તેમને શીતળ કરવામાં આવે છે.

ગણેશ ચતુર્થી અને વિસર્જનનો મહિમા
ભાદરવા માસની શુક્લપક્ષની ચોથની તિથિના દિવસથી ગણેશ ઉત્સવની શરૂઆત થાય છે. ગણપતિની ઉપાસના ચૌદશની તિથિ સુધી કરવામાં આવે છે. શ્રી ગણેશ પ્રતિમાની સ્થાપના ચતુર્થીના દિવસે કરવામાં આવે છે અને વિસર્જન ચૌદસના દિવસે કરવામાં આવે છે. આ નવ દિવસને ગણેશ નવરાત્રી કહેવામાં આવે છે. માન્યતાઓ અનુસાર પ્રતિમાનું વિસર્જન કરવાથી ભગવાન શ્રી ગણેશ ફરીથી કૈલાશ પર્વત પર પહોંચી જાય છે. આ દિવસે ખૂબ શુભ ફળ પ્રાપ્ત થાય છે. એટલા માટે આ દિવસને અનંત ચતુર્દશી પણ કહેવામાં આવે છે.

વિસર્જનના સમયે જરૂરથી કરો આ વિશેષ ઉપાયો
ગણેશ વિસર્જનના સમયે એક પીળા રંગનો કાગળનો. અષ્ટગંધાની સહી અથવા લાલ રંગની સહીની એક પેન લો. પીળા રંગના કાગળ પર સૌથી ઉપરના ભાગમાં એક સ્વસ્તિક બનાવો. ત્યારબાદ તેની નીચે ઓમ ગં ગણપતયે નમઃ લખો. એક પછી એક પછી એક તમારી બધી સમસ્યાઓ તે કાગળ પર લાલ પેન વડે લખી દો.

સમસ્યાના અંતમાં તમારું નામ લખો અને ફરીથી ગણેશ મંત્ર લખો. સૌથી છેલ્લે ફરીથી સ્વસ્તિક બનાવો. હવે આ કાગળને વાળી અને રક્ષા સૂત્ર દ્વારા બાંધી લો. ત્યારબાદ ગણપતિને અર્પણ કરો. અને આ કાગળને પણ ગણપતિની પ્રતિમા સાથે વિસર્જિત કરી દો. ગણપતિના વિસર્જનની સાથે સાથે જ તમારી બધી જ સમસ્યાઓનું પણ વિસર્જન થઈ જશે.